________________
૮૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથઃ ૧
સાહિત્યિક રચનાઓ ઓછી છે. સ્વરૂપે અને ભાવનાએ તે, ઘણા પ્રમાણમાં, ઉચ્ચ કે “વિદગ્ધ હોવા કરતાં લૌકિક કોટિનું છે. આ વિધાનો આ સાહિત્યના સર્વસામાન્ય પ્રકાર અને પ્રકૃતિ પરત્વે સમજવાનાં છે. તેમાં તેની ગુણવત્તા વિશેનો કશો પૂર્વનિર્ણય અભિપ્રેત નથી.
પ્રાચીન પ્રશિષ્ટ સાહિત્યમાંથી પ્રધાનપણે પોષણ મેળવતું આ ભાષાસાહિત્ય અભિવ્યક્તિની પોતાની જ તરેહો વિકસાવે છે. છંદોવિધાન, સ્વરૂપ-વિધાન, ભાવાલેખન, કથનશૈલી અને વર્ણનશૈલી પરત્વે તે પોતીકા માર્ગે વિચરે છે. હવે સાહિત્ય અત્યંત મર્યાદિત ઉચ્ચ વર્ગની મૂડી ન રહેતાં, થોડેઘણે અંશે પણ વ્યાપક જનજીવનના ધબકાર ઝીલવા લાગે છે, અને એટલા પ્રમાણમાં તે જીવંતપણું અને તાજગી ધરાવતું થાય છે. આનું સવિસ્તર દર્શન આ પછીના બીજા વિભાગમાં આપણે કરીશું.