Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૬
નથી. મૃત્યુ ક્યારે પણ ન આવે અને શાશ્વત જીવન મળે તે માટે આપણું મૂળભૂત આત્મસ્વરૂપ પ્રગટ કરવું જરૂરી છે. આપણું આત્મસ્વરૂપ પ્રગટયા પછી જ અજરામર શાશ્વત જીવન મળે છે અને આપણી શાશ્વત જીવનની ઈચ્છા પૂરી થાય છે.
(૨) જીવની બીજી ઇચ્છા જ્ઞાન મેળવવાની છે. આપણે આખું ભારત ફરી આવીએ, છ ખંડની પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવીએ, તો પણ નવું જાણવાની (જ્ઞાન મેળવવાની) ઇચ્છા પૂરી થતી નથી. અખિલ બ્રહ્માંડ ખૂંદી વળીએ તો પણ જ્ઞાન મેળવવાની ઇચ્છા સંપૂર્ણ થતી નથી. આપણી અંદર એક જ્ઞાન એવું બેઠું છે કે જેના વડે સર્વ જીવ અને સર્વ પુદ્ગલના ત્રણે કાળના સર્વ પર્યાયોને એક સમયમાં જાણી શકાય. આ લોકાલોક પ્રકાશક જ્ઞાન પ્રગટ થયા સિવાય જીવની જ્ઞાન મેળવવાની ઇચ્છા કદી પણ પૂરી થતી નથી. માટે `જ્ઞાન મેળવવાની ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે.
(૩) જીવની ત્રીજી ઇચ્છા સુખ મેળવવાની છે.
જીવને એવા સુખની ઇચ્છા છે કે મારા કરતાં કોઇની પાસે અધિક સુખ ન હોવું જોઇએ. આપણી પાસે એક ક્રોડ છે, પણ બાજુવાળા પાસે સવા ક્રોડ હોય તો આપણે એક ક્રોડનું સુખ ભોગવી શકતા નથી. વળી આપણે એવું સુખ જોઇએ છે કે જે મળ્યા પછી કદી પણ જાય નહીં અને જેમાં જરા પણ દુ:ખનું મિશ્રણ ન હોય. આવા સુખની પ્રાપ્તિની તીવ્ર ઇચ્છા જીવને હોય છે, પણ તે કદી પૂરી થતી નથી. અનંત અવ્યાબાધ સુખનો પરમ ભંડાર આત્મામાં પરિપૂર્ણ રહેલો છે. સિદ્ધના જ્વોને કોઇને ઓછું કે અધિક સુખ હોતું નથી. બધાને સરખું હોય છે. તે મળ્યા પછી કદી પણ જતું નથી, તેની વચ્ચે કદી પણ દુ:ખ આવતું નથી. સિદ્ધભગવંતોના જેવું જ અનંત સુખ આપણા આત્મામાં રહેલું છે. આવું આપણું આત્મસ્વરૂપ પ્રગટ કરીએ તો જ સુખ મેળવવાની ઇચ્છા પરિપૂર્ણ થાય છે.
(૪) જીવની ચોથી ઇચ્છા સ્વતંત્ર બનવાની છે.
આપણે પરતંત્રતામાંથી છૂટવા રાતદિવસ પ્રયત્ન કરીએ છીએ. બધી જ બાહ્ય સ્વતંત્રતા મેળવ્યા પછી પણ આ શરીરનું બંધન એવા પ્રકારનું છે કે શરીર માટે રોટલી જોઇએ. તે માટે અનાજ જોઇએ. તે માટે પૈસા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org