________________
૫૭૯
નિઃશેષઃ विलयः
= સંપૂર્ણ = નાશ થાય છે.
હૃદયગ્રંથિથી મુક્તિ નિર્વિકલ્પ સમાધિના બળે જ્યારે અદ્વૈત આત્માનું દર્શન થાય છે અર્થાત્ નિઃસંદેહ જ્ઞાન થાય છે ત્યારે અજ્ઞાનરૂપી હૃદયગ્રંથિથી સંપૂર્ણ રીતે છૂટકારો થાય છે.
- ઉપરોક્ત કથનથી સમજવાનું કે ગ્રંથિ અર્થાત્ ગાંઠ. વ્યવહારમાં પણ ગાંઠ મારવા દોરીના બે છેડાને પકડી વચ્ચે આંટી મારવાથી મધ્યમાં ગાંઠ થાય છે. તેથી બે છેડા અને ત્રીજી ગાંઠ દ્વારા દોરીમાં ગાંઠથી બંધન જેવું થઈ શકે છે. તે જ પ્રમાણે અવિદ્યા, કામ અને કર્મ ત્રણે ભેગા થઈ ગાંઠ કે ગ્રંથિનું ગઠન કરે છે. અવિદ્યા આવરણ ઊભું કરે, કામ અર્થાત્ કામના કે વાસના વિક્ષેપ ઊભો કરે અને વાસનાની પ્રેરણાથી કે કામપ્રેરિત કર્મો થાય તે કર્મ બંધન પેદા કરે છે. આમ, અવિદ્યા, કામ અને કર્મ દ્વારા હૃદયગ્રંથિનું મજબૂત ગઠન થાય છે અને તેમાંથી મુક્ત થવું અતિ મુશ્કેલ છે. પરંતુ બેશક અશક્ય નથી. તેથી પ્રસ્તુત શ્લોકમાં જણાવાયું છે કે જ્યારે મુમુક્ષુ પુરુષ નિર્વિકલ્પ સમાધિ દ્વારા બ્રહ્મભાવનાનું અવલંબન લઈને તમામ અનાત્માની કે વિજાતીય વૃત્તિ કે વિચારોનું વિસ્મરણ કરતાં કરતાં તમામ પદાર્થાકાર વૃત્તિઓને નામશેષ કરે છે અર્થાત્ તેનો નિરોધ કે નિષેધ કરવામાં સંપૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે, સંકલ્પ-વિકલ્પથી રહિત વિચાર કે વૃત્તિશૂન્ય અદ્વિતીય આત્માં જ અવશેષ રહે છે. તેવા આત્માને પોતાના નિજસ્વરૂપે જે કોઈ અભેદ ભાવે અનુભવે છે, તેને જ વાસ્તવમાં અદ્વૈત આત્માનું દર્શન કે સાક્ષાત્કાર થાય છે અને તેવો પોતાને “જ્ઞાન વહ્ય' અર્થાત જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ કે આત્મા તરીકે જાણે છે. તેથી અવિદ્યાની નિવૃત્તિ થાય છે ત્યારે પોતાને મન અને આકારરહિત જાણે છે. તેથી સ્પષ્ટ છે કે આત્માના શુદ્ધ સ્વરૂપમાં મન નથી તો કામના ક્યાં? અને આકાર કે શરીર નથી તો કર્મ કેવું? તેથી પોતાને આત્મસ્વરૂપે જાણનારો અવિદ્યા, કામ અને કર્મરૂપી ગ્રંથિને ખોલી નાંખે છે અર્થાત્ નિવૃત્ત કરે છે.