________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૪૧
આમ કરતાં બાર વર્ષે ગુરુ મહારાજનું પાટલીપુરમાં પુનરાગમન થયું. રાજા પ્રજાએ ઘણા બહુમાનપૂર્વક પધરામણી કરાવી અને હોંશે હોંશે સહુ ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. એક પર્વ તિથિના દિવસે ઉદાયી રાજાએ પ્રતિક્રમણ, જિનપૂજા, ગુરુમહારાજને ત્રિવિધ શુદ્ધ દ્વાદશાવર્ત્ત વંદન ખામણ કરી અતિચાર આલોઈ ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ લઈ ગુરુશ્રીને વિનંતિ કરી કે રાત્રિપૌષધની ભાવના છે. કૃપા કરી આપ રાજગઢની પૌષધશાલામાં પધારો તો મારી ભાવના સફળ થાય.' કારણ કે ચારિત્રના હેતુ રૂપ આવશ્યકાદિ કોઈપણ અનુષ્ઠાન ગુરુ મહારાજ સમક્ષ જ કરવું જોઈએ. કદચ ગુરુ મહારાજનો યોગ ન મળે તો સ્થાપનાચાર્ય સમક્ષ કરવું જોઈએ.
તેથી રાજાની વિનતિ સ્વીકારી સાંજે રાજગઢની પૌષધશાલામાં ગુરુ મહારાજ પોતાની સેવામાં સદા તત્પર રહેનાર વિનયરત્નને લઇ પધાર્યા, તેમની સમક્ષ રાજાએ અનન્ય ઉત્સાહે પૌષધ ઉર્જ્યો. મહામાયાવી વિનયરત્નને બાર બાર વર્ષની સાધનાની સફળતા જણાવા લાગી.
રાજાએ ગુરુજીની વૈયાવચ્ચ કરતાં ધર્મચર્ચા આદરી. પ્રથમ પ્રહર પૂર્ણ થયે પૌરિષી ભણાવી સહુએ સંથારા (શય્યા) કર્યા. પરમેષ્ઠિનું સ્મરણ કરી રાજા અને આચાર્ય સૂઇ ગયા. વિનયરત્ન પણ ઊંઘી જવાનો ડોળ કર્યો. રોમેરોમમાં વૈરનું વિષ લઈ ફરતો વિનયરત્ન મધ્યરાત્રિ પછી સાવધાનીપૂર્વક છરી લઇને ઉઠ્યો અને ધર્મને ખોળે નિરાંતે સૂતેલા રાજાનું ગળું ઝડપથી પળવારમાં કાપી નાખ્યું. ઠલ્લે (જંગલ) જવાને બહાને દ્વા૨પાળ પાસે દ૨વાજો ઉઘડાવી તે મહેલમાંથી ભાગ્યો અને ઘોરકર્મી અભવ્ય જીવ ઘોર અંધારામાં ઝડપથી અદૃશ્ય થઇ ગયો.
રાજાના ગળાથી વહેતી લોહી ધારા આચાર્યશ્રીના સંથારે આવી ઉના પાણી જેવા સ્પર્શથી તેઓ જાગી ઉઠ્યા અને રાજાની હત્યા તેમજ વિનયરત્નનું પલાયન જાણી તેઓ હેબતાઇ ગયા. કોઇપણ સંયોગોમાં અડગ ધૈર્યના ધણી ક્ષણવારમાં કંપી ઉઠ્યા. તેમને વિશ્વાસ થઈ ગયો કે હત્યા વિનયરત્ને જ કરી છે. જૈનશાસનં ૫૨ ભયંકર માલિન્યના ઓળા પથરાતા જૈન સાધુઓની છડેચોક થતી નિંદાના ભણકારા વાગતા તે કલ્પી રહ્યા. આમાંથી ઉગરવાનો એક જ રસ્તો હતો અને તે સ્વયંનું મૃત્યુ. પલવારમાં તેમની આંખમાં ચમક આવી. તેમણે નિર્ણય કરી આલોચના, ચતુઃશરણ, ભવચિરમંનું પચ્ચક્ખાણ, ક્ષમાપનાદિ કરી તે જ છરી પોતાના ગળામાં ખોસી દીધી. શાંતિથી મૃત્યુને ભેટ્યા ને સ્વર્ગગામી થયા. સવાર પડતાં રાજમહેલ અને આખા નગરમાં હાહાકાર મચી ગયો. કોઈ શત્રુપક્ષના માણસે સાધુ બની હત્યાઓ કરી એવો સહુને વિશ્વાસ થઇ ગયો. વિનયરત્નની તપાસ તો ઘણી કરી પણ પત્તો ક્યાંય ન લાગ્યો. તેણે ઉજ્જૈન પહોંચી રાજાને ખબર આપ્યા. તેનો તિરસ્કાર કરતાં ત્યાંના રાજાએ કહ્યું-‘ઓ અધમ ! તેં એ ધર્માત્મા જીવને ધર્મના ઓઠે છેતરીને માર્યો ? આખા જૈનધર્મને સંકટમાં નાખ્યો ? શું મોઢું લઇને તું અહીં આવ્યો ? ચાલ્યો જા, મારા દેશમાં તારી છાયા પણ ન જોઈએ. નિરાશ થઇ પોતાની જાતને છુપાવતો તે ત્યાંથી ચાલ્યો ગયો.