________________
૪૧૦ પાંચમું પદ : મોક્ષપદ છેઃ જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનાભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષ પદ છે. છઠું પદ ને મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહિ; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. - શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવા આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારતા તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વ સ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિસ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.
તે સ્વન્દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જીવ જો પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ મોક્ષને પામે.
કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય, તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ - પ્રત્યક્ષ - અત્યંત પ્રત્યક્ષ - અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થોના સંયોગના વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ રોગાદિ બાધા રહિત સંપૂર્ણ માહાત્મનું ઠેકાણું એવું જિનસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે.
જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમપુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે તે પુરુષો સર્વસ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભવિષ્યકાળમાં તેમ જ થશે.
જે પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સહજ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે! તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવમાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ પુરુષો, તેના ચરણાવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો!