________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૧૯
સેંકડો ફિયાટો અને એમ્બેસેડરો બાજુમાંથી પસાર થઈ જતી હોય ત્યારે ૧૫૧૫ માઈલ ચાલીને લોથ થઈ ગયેલા સાધુઓ એ મોટરમાં બેસવાના સપ્રેમ આમંત્રણને પણ હસી નાખે છે! રોકેટયુગનો મહામાનવ કોને કહેવો એ પ્રશ્ન બુદ્ધિવાદી લોકોને ફરીથી વિચારણાના ટેબલ ઉપર લાવ્યે જ છૂટકો થવાનો છે. સાધુની સાધુતા શું ચીજ છે એ વાતની પૂરી પહેચાન સાધુભક્તોને પણ હશે કે કેમ એ પ્રશ્ન છે.
સાધુભક્તોને પણ એ વાતની ખબર છે ખરી કે આ તે સાધુઓ છે જેમણે મોટા ધનાઢયોની કેટલીય કન્યાઓ તરફથી નજર ફેરવી લીધી છે! રોકેટના યુગમાં ગાડામાં બેસવાનો ય ઈન્કાર કરી દીધો છે! એરકન્ડીશન્ડ રૂમની સગવડના સમયમાં પૂંઠાના પંખાને ય થૂ કરી નાખ્યો છે! કોકાકોલાના જમાનામાં ધગધગતા પાણી સાથે હસતે મોંએ ભિક્ષા કરી છે!
એકટર-એકટ્રેસોના પ્રણયલગ્નોના અહેવાલોમાં પાગલ બની જતા, રોકેટની સિદ્ધિઓમાં અંજાઈને અંધપ્રાયઃ બની જતા, ઠંડકમાં ઠંડાગાર બની જતા લોકોને સાધુતા સમજવા માટે ય કદાચ ભવો કરવા પડશે; અને એને હૈયેથી નમવા માટે તો બીજા કેટલાય ભવો કરવા પડશે.
માત્ર સાધુ ગમશે તેથી ઉદ્ધાર નહિ થાય; સાધુતાને ગમાડો, સાધુતાને પામવાની આગ અંતરમાં જગાડો; પછી ઉદ્ધાર જરા ય દૂર નથી..
સર્વ સમસ્યાનો એક જ ઉકેલ : સાધુ થાઓ
ભૂદાન કાર્યક૨ વિનોબાને કોઈ પૂછે કે રાષ્ટ્રની આબાદી શી રીતે વધે ? લોકો પ્રેમથી શી રીતે રહે ? સાચું લોકશાસન શી રીતે આવે? વિશ્વશાંતિ શી રીતે થાય? દરેકનું આરોગ્ય શી રીતે સારું રહે? આર્થિક ભીડમાંથી શી રીતે મુક્ત થવાય? વગેરે... વગેરે... દરેક પ્રશ્નનો એક જ ઉત્તર તેઓ આપે છે, “ભૂદાન કરવાથી.’’
મને કોઈ આ જ બધા પ્રશ્નો પૂછે કે કોઈ બીજા પ્રશ્નો પૂછે તો તે બધાયનો હું એક જ ઉત્તર આપું કે, ‘ભગવાન જિનેશ્વરદેવે બતાવેલા ચારિત્ર માર્ગે ચાલીને સાધુ બનવાથી.’’
તમારા ઘરમાં કલેશ ચાલે છે? તમે ત્રાસી ગયા છો ? તો સાધુ થઈ જાઓ. પછી એ કલેશ તમને સ્પર્શી પણ ન શકે.