________________
પાઠ ૭મો
આઠ કરણો
બંધન : નિદ્ધતિ : નિકાચના : સંક્રમણ :
(૧)
બંધુઓ ! કર્મબંધ કેવી રીતે થાય છે ? તેના મૂળ મુદ્દાઓ વિસ્તારથી પહેલા ભાગમાં, અને આ ભાગના ૬ઠ્ઠા પાઠ સુધીમાં આપણે સમજી ગયા. કર્મબંધ થયા પછી તેના ઉપર બીજા સમયથી શી શી ક્રિયાઓ થાય છે ? તે વિચારવાનું બાકી છે, તે હવે વિચારીશું.
જેવી રીતે, એક સમયે કર્મબંધ થાય છે તેવી રીતે દરેક સમયે કર્મબંધ ચાલુ જ હોય છે, એ વાત ફરીથી કહેવી પડે તેમ નથી જ ને.
ના,
એટલે, પ્રથમ સમયે જે પ્રમાણે બંધ થાય છે, તેવી જ રીતે, બીજે સમયે પણ જેવું યોગસ્થાનક, અને જેવું અધ્યવસાયસ્થાનક, તેના પ્રમાણમાં પ્રદેશ વધતાઓછા, સ્થિતિ ને રસ વધતા-ઓછા, પ્રકૃતિઓ પણ વધતીઓછી હોય છે. એ ફરીથી સમજાવવું પડશે કે ?
નહીં, નહીં જ.
(૨)
કોઈ પણ સમયે બંધ થતી વખતના યોગ અને અધ્યવસાયના એક સામટા બળની અસર જેમ તે જ વખતે બંધાતા કર્મ ઉપર થાય છે, તેવી જ રીતે પૂર્વે બંધાયેલાં કર્મો ઉપર પણ થાય છે.