________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૫૫ પત્નીની કુક્ષિમાં જન્મ ધારણ કરવો. અને ત્યાર પછી આપનું નામ બીજા ભાઈઓથી જુદા પાડવા “રસિકલાલ” એવું રહેશે. એટલે એકંદર આપનું આખું નામ નીચે પ્રમાણે અમારી ઑફિસમાં રજિસ્ટર થયેલું રહેશે--
મહેતા, ઓસવાળશાખીય, વિશાજ્ઞાતીય, કૌશિકગોત્રીય, સરદાર કુટુંબમાં, રામચંદ્રના પુત્ર, ક્ષત્રિયવર્ણાય, ઐક્વાકુ વંશીય, પંચેન્દ્રિયજાતીય, રસિકલાલ નામના સંસારી આત્મા વગેરે વગેરે.”
આ પરવાનો લઈને તમે બીજા જીવનમાંથી આ જીવનમાં ઉત્પન્ન થયા છો, આ રીતે બધા જીવો માટે સમજી લેવું. એમને એમ કયાંય ઉત્પન્ન થવાતું નથી. જાતિ જન્મ, તેનાં સ્થળ અને વિભાગ વગેરે નક્કી કરવાનું કામ આ કર્મનું છે. તેના મુખ્ય પાંચ વર્ગો છે. અને દરેકના ઉત્તરોત્તર પેટા ભેદો અનેક છે. જે આત્માની આજુબાજુ વર્ગ પ્રમાણે આ કર્મનાં કૂંડાળાં ગોઠવે છે.
૫૩. ૫. ૧. એકેન્દ્રિયજાતિનામકર્મ–એકેન્દ્રિયના વર્ગનાં નાનાં મોટાં કૂંડાળામાં ગમે ત્યાં યોગ્યતા પ્રમાણે ઉત્પન્ન થવાને પ્રેરક અને તે તે નામ ધારણ કરાવનાર કર્મ. તેના અનેક પેટા ભેદો થાય છે. પૃથ્વીવર્ગ, પાણીવર્ગ, અગ્નિવર્ગ, વાયુવર્ગ અને વનસ્પતિવર્ગ. તે દરેકના પણ પુષ્કળ પેટા ભેદો થાય છે. જેમકે, વનસ્પતિ વર્ગમાં, પ્રત્યેક અને સાધારણ, પ્રત્યેકમાં ઝાડ, વેલા, છોડ, ઘાસ એમ અનેક રીતે પેટા ભેદો છે. તેમાં પણ ફૂલ સહિત, ફૂલ વિના, અમુક જાતના પાંદડાવાળા કે અમુક જાતના ફળવાળા એમ વર્ગો પાડતા પાડતા ઠેઠ એક વ્યક્તિ સુધી જઈ શકાશે. જેમકે, લીંબડો આંબો વગેરે, તોપણ માત્ર જેઓને સ્પર્શ નામની એક ઇંદ્રિય અને તેને લગતી જ માત્ર બીજી સામગ્રી હોય એટલી સમાનતાવાળો પ્રાણી વર્ગ જ આ વર્ગમાં આવી શકે છે, બીજો ન આવી શકે. - ૫૪. ૬. ૨. બેઈન્દ્રિયજાતિનામકર્મ--સ્પર્શ અને રસ [જિલ્લ] એ બે ઇંદ્રિયોવાળા પ્રાણીવર્ગમાં ઉત્પન્ન કરાવી તેના પેટા વિભાગો પ્રમાણે નામ ધારણ કરાવનાર આ કર્મ છે. બેઇંદ્રિય અને તેને લગતી બીજી સમાન સામગ્રીવાળ પ્રાણીવર્ગ આ જાતિમાં ગણાય છે. તેની પણ અનેક શાખા પ્રશાખાઓ હોય છે. અળસિયાં, પોરા, કોડા વગેરે વગેરે.