________________
મહાપુરુષો અને ગુરુજનોનો પ્રસંગે પ્રસંગે ગુણાનુવાદ કરતા રહેવું એ પણ એક પ્રકારનો અપૂર્વ સ્વાધ્યાય છે. કોઈપણ વ્યક્તિના નાના પણ ગુણ ગ્રહણ કરવા, ગુણાનુરાગી બનવું એ પણ પ્રમોદભાવના અને અનુમોદનાની અભિવ્યક્તિ અને સાક્ષાત્ અનુભૂતિ છે. અને તેથી જ અંતરમાં આકર્ષણ, આનંદ, અનુપ્રેક્ષા અને અનુગ્રહની સુરમ્ય ધારા પણ પ્રવાહિત બની રહે છે. आदित्य के बिना प्रकाश नहीं होता है । साहित्य के बिना विकास नहीं होता हैं ।
આવા ઐતિહાસિક સાહિત્યના સફળ સમુપાસક અને સર્જક નંદલાલભાઈ દેવલુકે ચારિત્રસંપન્ન મહાવિભૂતિઓના જીવનપરિચયો દ્વારા જૈન ધર્મ, કર્તવ્ય, કળા અને સંસ્કૃતિને જાળવવાનું અને સજાવવાનું જે મહત્ત્વનું કાર્ય કર્યું છે તે પ્રશંસનીય અને અનુમોદનીય છે. તેમની ક્યા શબ્દોમાં અનુમોદના કરવી? વાસ્તવમાં તેમણે જૈનધર્મની ઉજ્જ્વળ યશોગાથાને સુવિસ્તૃત અને ગૌરવાન્વિત કરેલ છે. ખરેખર તેમણે અદ્ભુત પુરુષાર્થ દ્વારા આજસુધીમાં ૨૭ ગ્રંથરત્નોની સર્જનયાત્રા સુદીર્થરૂપે લંબાવી છે. જૈનધર્મમાં અનેક વિષયો સંબંધિત નિતનવી જાણકારી સહજ રીતે આ વિરાટકાય ગ્રંથમણિઓના માધ્યમથી વર્તમાનમાં જ માત્ર નહીં, પણ આવનારા સેંકડો વર્ષો પછી ભવિષ્યકાળમાં પણ મળતી રહેશે.
સાહિત્યસર્જક નંદલાલભાઈ અમને પણ વર્ષોથી સુપરિચિત છે. અમે કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ કે એમની એ જ મનોવિચારધારા, લેશ્યા, અધ્યવસાય અને પરિણતિ વિરાટ્ સાહિત્ય સર્જનની લગનમાં આગળ વધતી રહી છે. એકવીસમી સદીના વર્તમાન સમયે લોકમાનસમાં ગુજરાતી ભાષામાં એક સામાન્ય પત્ર લખવો તે પણ આળસ બની ગયેલ છે; ભાષાસંબંધી અજ્ઞાન પણ ઘણું વધતું રહ્યું છે તેવા સમયે ગુર્જર ગિરાસ્વરૂપ સરસ્વતીની પણ અપૂર્વ કૃપા તેમણે સંપ્રાપ્ત કરી છે. તેઓ સ્વયં જાણે એક કર્મઠ યોગીની જેમ થાક્યા વિના અસ્ખલિત ગતિએ પ્રગતિમાન બની રહ્યાં છે.
તેમના આ અદ્ભુત સંકલ્પ સ્વરૂપે પ્રગટ થતું આ ૨૭મું પ્રકાશન સતત સર્વત્ર પવિત્ર પ્રકાશમાન કિરણો ફેલાવતું રહે!!! ફરી ફરી તેમના આંતર-બાહ્ય પુરુષાર્થની અનુમોદના! સંપાદક દ્વારા રજૂ થયેલ “પૂરોવચન”ની નોંધ વાસ્તવમાં સારગ્રાહી માર્મિક અને અમૂલ્ય માહિતિઓનો ખજાનો છે. ભાગ્યયોગે અમને પણ આ વિરાટ્કાય ૨૭મા ગ્રન્થરત્નના પ્રેરક બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. આ ગ્રન્થ ભાગ-૧ અને ભાગ-૨ના માધ્યમથી અનેક વાંચકો સાહિત્યનો રસાસ્વાદ માણે અને આ જીવનને આરાધનામય બનાવે એ જ શુભાભિલાષા ખીમઈબેન જૈન ધર્મશાળા, પાલિતાણા
ચાતુર્માસ વિ.સં. ૨૦૬૭, શ્રાવણ વદ-૫
-પં. પૂર્ણચન્દ્રવિજયજી
તા. ૧૮-૮-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org