________________
તા. ૧૬-૨-૯૩
પ્રબુદ્ધ જીવન
જયવંતસૂરિ : કવિ અને કવિ-લક્ષણ
જિયંત કોઠારી
મધ્યકાળના સાહિત્યનાં આપણાં મૂલ્યાંકનો ઘણી વાર પ્રમાણભૂત બની રહેતાં નથી. આનું કારણ એ છે કે મધ્યકાળની આપણી સમજ ઊણી પડે છે. આપણે ચાલુ અભિપ્રાયોથી દોરવાઇએ છીએ અને ખંડદર્શન કરીને અભિપ્રાયો બાંધીએ છીએ. નરસિંહ, પ્રેમાનંદ, શામળ જેવા સિદ્ધપ્રસિદ્ધ કવિઓની તો પ્રશંસા જ કરવાની હોય એમ માનીને આપણે ચાલીએ અને એમની રચનાઓના નિર્મળ અંશોનાં પણ આપણાથી ગુણગાન થઈ જાય. તો સામે વિશ્વનાથ જાની, ગણપતિ, જયવંતસૂરિ જેવા કવિઓના ખરા ઊંચા કવિત્વને આપણે પારખી ન શકીએ અને એમની ઉચિત કદર કરવામાં આપણે સંકોચ અનુભવીએ.
હા, જયવંતસૂરિ વિશે આવું જ થયું છે. એમની એક અત્યંત સુંદર કૃતિ “શૃંગારમંજરી'નો પીએચ. ડી. માટે ઊંડો અભ્યાસ કરનાર કનુભાઈ શેઠ એમને વિશે કહે છે કે “એ ભલે પ્રતિભાશાળી કવિ નથી, પણ એક સારા “રાસકવિ' તો છે જ.’ આ વિધાનમાં જયવંતસૂરિની પ્રતિભાનો સ્વીકાર કરવામાં હિચકિચાટવરતાય છે. સારા રાસકવિ તે પ્રતિભાશાળી કવિ નહિ? કદાચ કનુભાઈ શેઠને સારા રાસકવિ એ શબ્દપ્રયોગમાં કથાકથનની શક્તિ જ અભિપ્રેત છે. પણ છે એથી કંઈક જુદું જ. જયવંતસૂરિની રાસસકૃતિઓનો વિશેષ પણ એમાંનું કાવ્યત્વ-વર્ણન, ભાવનિરૂપણ, અલંકારપ્રયોજન, છંદ-લયસિદ્ધિ, સમસ્યા-સુભાષિત-પ્રાસરચનાદિનું કૌશલ વગેરે છે. કથાઓ તો પરંપરાગત છે. જયવંતસૂરિ કવિ પહેલા છે, અને રાસકાર પછી. સાચા અને પૂરા અર્થમાં પ્રતિભાશાળી કહી શકાય એવા કવિ છે. કાવ્યનાં સર્વ અંગોની એમની સતા અસાધારણ છે અને એમની રસદૃષ્ટિ સતેજ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેમને ગૌરવભર્યું સ્થાન આપવું પડે એવા એ કવિ છે.
કવિ પોતાને જયવંત પંડિત કે જયવંતરિ તરીકે ઓળખાવે છે. પહેલાં પંડિતપદ મળ્યું હશે, પછી સૂરિપદ. એ પોતાનું અપનામ ગુણસૌભાગ્યસૂરિ પણ આપે છે. સૂરિપદ પછીનું આ નામ હોવાની શક્યતા છે, પણ એમણે પોતાની કૃતિઓમાં પોતાને “જયવંત પંડિત” કે “જયવંતસૂરિ' તરીકે જ ઓળખાવવાનું મોટે ભાગે પસંદ કર્યું છે. એમની જ કૃતિઓના ગુટકામાં (લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, હસ્તપ્રત, ક્રમાંક ૩૫૫૮) કેટલીક કૃતિઓને અંતે “સજન પંડિત' એવી નામ છાપ મળે છે. જે કૃતિઓ અન્ય સ્થાને “જયવંત પંડિત' ને નામે છે. આથી “સજન પંડિત' એમણે સ્વીકારેલું ઉપનામ હોવાનું સમજાય છે. એ વડતપગચ્છની રત્નાકર શાખાના સાધુ હતા. એમની કુતિઓમાં એમની ગુરુપરંપરા આ રીતે નિર્દેશાઈ છે : વિજય રત્નસૂરિ-ધર્મરત્નસૂરિ-વિનયમંડન ઉપાધ્યાય-જયવંતસૂરિ. ગુરુના એ સૌથી નાના શિષ્ય હતા. - કવિની જીવનઘટનાઓના સમયનિર્દેશો સાંપડતા નથી. એમનો જીવનકાળ એમની કૃતિઓના જીવનકાળને આધારે જ નક્કી કરવાનો રહે છે. “શૃંગારમંજરી' ૧૫૫૮માં અને “ઋષિદરા રાસ' ૧૫૮૭માં રચાયેલ છે, તેમજ “સીમંઘરસ્વામી લેખ' આસો સુદ પૂનમ ને શુક્રવારે લખ્યાનું કવિએ જણાવ્યું છે. તે તિથિ-વાર સં. ૧૫૬૯ એટલે ઈ. ૧૫૪૩માં પડે છે (કનુભાઇ શેઠ, “શૃંગારમંજરી' પ્રસ્તા. પૃ. ૧૦) તેથી કવિનો કવનકાળ સોળમી સદી મધ્યભાગ અને ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે.
જીવનકાળ વિશેના અન્ય એક-બે આધારો પણ મળે છે. ૧૫૩૧માં થયેલા શત્રુંજયઉદ્ધાર વખતે ગુરુ વિનયમંડનની સાથે જયવંત પંડિત પણ હશે એવું માનીને એ વખતે એમની ઓછામાં ઓછી ઉંમર ૨૦ વર્ષની અંદાજવામાં આવી છે (મો. દ. દેશાઇ, જૈન ગૂર્જર કવિઓ, ભા. ૨, પૃ. ૭૧). બીજી બાજુ, એમણે જ્ઞાનભંડારમાં મુકાવેલી તથા એમની આજ્ઞાથી ધર્મલક્ષ્મી પ્રવર્તિનીએ લખેલી ગોપાલ ભટ્ટની “ કાવ્યપ્રકાશ” પરની વિમર્શિની' ટીકાની પ્રત ૧૫૯૬ની છે.
આ રીતે કવિનો જીવનકાળ સમગ્ર સોળમી સદીમાં વિસ્તરતો ગણાય. , જોકે “શૃંગારમંજરી' પોતે લધુ વયે રચેલી છે એમ જયવંતસૂરિએ કહ્યું છે. ૧૫૩૧માં એ વીસ વર્ષના હોય તો “શૃંગારમંજરી'ની રચના વેળાએ એમની ઉંમર ૪૭ વર્ષની ઠરે, એથી શત્રુજયઉદ્ધાર વખતે એ ઉપસ્થિત હોય અને એમની ઉંમર વીસ વર્ષની હોય એ હકીકત શંકાસ્પદ બને છે. “લધુ વય” એટલે વીસ-પચીસ વર્ષ એવો જ અર્થ કરીએ તો “સીમંઘરસ્વામી લેખનું રચનાવર્ષ ૧૫૪૩ પણ શંકાસ્પદ ઠરે.
કવિને પંડિતપદ મળ્યાનું વર્ષ કનુભાઈ શેઠ (પ્રસ્તા. પૃ. ૧૧) ૧૫૫૮ અનુમાને છે. પરંતુ આ યથાર્થ નથી. એમના અનુમાનના આધારો ભૂલભરેલા છે. એ વર્ષમાં રચાયેલ બે કૃતિઓમાંથી એક શૃંગારમંજરી'માં કવિ પોતાને “પંડિત” તરીકે અને નેમિનાથ બારમાસ વેલપ્રબંધ'માં “સૂરિ' તરીકે ઉલ્લેખે છે તેથી એ વર્ષના અંતમાં કવિને સૂરિપદવી મળી હશે એવું શેઠે અનુમાન કર્યું છે. પરંતુ “શૃંગારમંજરી” (કડી ૧૭)માં “જયવંતસૂરિ' એવો ઉલ્લેખ મળે જ છે (જોકે કેટલીક પ્રતોમાં “જયવંત પંડિત” એવો પાઠ છે) અને “નૈમિનાથ બારમાસ વેલપ્રબંધ'માં રચના સમયનો નિર્દેશ નથી. ડૉ. સાંડેસરાએ “શૃંગારમંજરી'ને આધારે એ વર્ષ મૂકેલું છે. જેનો શેઠે આધાર લીધો છે. આમ, કવિને સૂરિપદવી મળ્યાનું વર્ષ અનિર્મીત જ રહે છે. '
જયવંતસૂરિ જૈન સાધુકવિ છે. એટલે ધર્મબોધનું તત્ત્વ એમની રચનાઓમાં સ્વાભાવિક રીતે જ આવે. એમની બન્ને રાસકૃતિઓમાં નાયકનાયિકા અંતે દીક્ષા લે છે, નેમિનાથ અને સ્થૂલિભદ્ર વિશેનાં ગીતો અંતે સંયમજીવનની વાત પર આવી ઠરે છે ને રાસકૃતિમાં પ્રસંગોપાત્ત ધર્મબોધ વણાયો છે. પરંતુ કેળવ ધર્મબોધની ને સાંપ્રદાયિક કહી શકાય એવી એમની કૃતિ બહુ થોડી છે-થોડાં ગીતો અને “બાર ભાવના સેક્ઝાય” માત્ર. તીર્થકરોને અનુલક્ષીને કરેલી એમની રચનાઓ પણ પ્રબળ પણે ભાવાત્મક છે. ઘણીવાર એ પ્રેમભક્તિની રચનાઓ બની આવી છે, તો “શૃંગારમંજરી' “ઋષિદત્તા રાસ' તથા રાજુલ ને કોશાનાં ગીતોમાં સ્નેહરસની જે જમાવટ જોવા મળે છે તે તો અનન્ય છે. “સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ' જેવી કેટલીક કૃતિઓ તો જૈન કથાસંદર્ભને બાદ કરતાં નરી કાવ્યકતિ જ છે-એ જૈન સાધુકવિની રચના હોવાની એમાં બીજી કોઈ નિશાની નથી. આ બધામાંથી જયવંતસૂરિની શુદ્ધ કાવ્યદૃષ્ટિ દેખાઈ આવે છે.
જયવંતરિ પંડિત કવિ છે. શાસ્ત્રજ્ઞ, લોકવ્યવહારજ્ઞ અને રસશ કવિ છે. એટલે કે જેમણે લોક, શાસ્ત્ર અને કાવ્યનું અવેક્ષણ કર્યું હોય એવા કવિ છે. “કાવ્યપ્રકાશ'ની ટીકાઓ ભેગી કરવામાં કાવ્યશાસ્ત્રની, દશ સ્મ૨દશા વિરહદશાની ગણનામાં કામશાસ્ત્રા-૨સશાસ્ત્ર, વિવિધ શકુનોનાં ફલ નોંધવામાં શકનશાસ્ત્રની, દ્વિવ્યસ્તજાતિ, સર્વતોભદ્રજાતિ, વર્ધમાનાક્ષરજાતિ, અપહૃતિજાતિ જેવા અનેક સમસ્યાબંધો નામનિર્દેશપૂર્વક પ્રયોજનવામાં સમસ્યાશાસ્ત્રની, સંખ્યાબંધ રાગોના નિર્દેશોમાં સંગીતશાસ્ત્રની-એમ જાતભાતની વિદ્યાઓની કવિની અભિજ્ઞતા દેખાય છે. “શૃંગારમંજરી'નાં નગરવર્ણન તથા વનકેલિવર્ણનમાં કવિના દૃષ્ટિકેમેરાએ ઝીલેલી લાક્ષણિક માનવચેષ્ટાઓની છબીઓ તેમજ ડહાપણભર્યા સુભાષિતો ને લોકપરિચિત ઉપમાનો એમના સંસારવ્યવહારના બારીક નિરીક્ષણનાં ફળ છે. કવિના કાવ્યપરંપરાના પરિચયની તો શી વાત કરવી? એ તો પ્રગાઢ છે. ઋતુવર્ણનો શું કે રસનિરૂપણો શું. અલંકારરચનાઓ શું કે ઉક્તિભંગિઓ શું-સર્વત્ર સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુગંધ અનુભવાય છે. ‘ઋષિદત્તા રાસ'માં ઋષિદત્તાની પિતાના આશ્રમેથી વિદાય કાલિદાસના “શાકુન્તલ'માંની શકુન્તલાની વિદાયને યાદ કરાવે છે. અણખિયાં, પનિહાં, બારમાસી વગેરે કાવ્યપ્રકારો, પ્રાસ, ધુવા, પદરચનાનાં વૈચિત્ર્ય-એ બધું