________________
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૪-૯૭ અને તા. ૧૬-પ-૯૩
રહેવાનું અહીં ઉપાશ્રયમાં રાખ્યું છે. બોલ તને ફાવશે ને ?' નેમચંદભાઇએ તે માટે પોતાની તરત સંમતિ દર્શાવી.
તે દિવસથી જ તેમનો અભ્યાસ ચાલુ થયો. જેમ જેમ તેઓ અભ્યાસ કરતાં ગયા તેમ તેમ તેમને એમાં વધુ રસ પડતો ગયો. વળી ત્યાગ-વૈરાગ્યનો રંગ પણ તેમને લાગતો ગયો. એક દિવસ રાતની વિચાર કરતાં કરતાં તેમને લાગ્યું કે “ઘર સંસાર કરતાં સાધુ જીવન કેટલું બધું ચઢિયાતું છે!' તેમની આ ભાવનાનું ઉત્તરોત્તર પોષણ થતું રહ્યું. તે એટલી હદ સુધી કે એમના દાદીમાં ગુજરી ગયાના સમાચાર પિતાશ્રીએ લખ્યા, ત્યારે મહુવા જવાને બદલે તેમણે પિતાશ્રીને સંસારની ક્ષણભંગુરતા સમજાવતો પત્ર લખ્યો. આ પત્રથી પિતાશ્રીને શંકા ગઇ કે રખેને નેમચંદભાઇ દીક્ષા લઇ લે. એટલે એમણે નેમચંદભાઇને કંઈક ખોટું બહાનું કાઢીને તરત મહુવા પાછા બોલાવી લીધા. આ મહુવા આવતાં નેમચંદભાઈ પિતાશ્રીની આ યુક્તિ સમજી ગયા. પણ હવે બીજો કંઈ ઉપાય નહોતો. પિતાશ્રીએ એમને ભાવનગર પાછા જવાની મનાઈ ફરમાવી દીધી. એક દિવસ નેમચંદભાઇએ પોતાના મિત્રો સાથે વાતચીત કરતાં કહી દીધું કે પોતે દીક્ષા લેવાના છે. એ વાત
જ્યારે પિતાશ્રી લક્ષ્મીચંદભાઈના જાણવામાં આવી ત્યારે તેમણે નેમચંદભાઇની અવર-જવર ઉપર કડક જાતો રાખવો ચાલુ કરી દીધો. ઘરમાં પણ બધાને તે પ્રમાણે સૂચના આપી દીધી. આથી નેમચંદભાઈની મૂંઝવણ વધી ગઇ.
લક્ષ્મીચંદભાઈને લાગ્યું કે પુત્ર નેમચંદભાઇનો દીક્ષા લેવાનો વિચાર પાકો છે, પરંતુ હજી એમની વય કાચી છે અને તે અણસમજુ છે. કેટલીક બાબતોમાં ઘરના સ્વજનો કરતાં ત્રાહિત સમજાવે તો તેની અસર વધુ પડે એટલે લક્ષ્મીચંદભાઈએ પોતાના એક મિત્ર રૂપશંકરભાઈને ભલામણ કરી કે તેઓ નેમચંદભાઈને સમજાવે. રૂપશંકરભાઈએ નેમચંદભાઇને એક દિવસ પોતાના ઘરે બોલાવીને, વાતમાંથી વાત કાઢીને દીક્ષા ન લેવા માટે સમજાવવાની કોશિષ કરી, પરંતુ તેઓ સમજાવી ન શક્યા. રૂપશંકરભાઈને ખાતરી થઈ કે નેમચંદભાઈ દીક્ષા લેવાના પોતાના વિચારમાં અડગ છે. આમ છતાં મહુવાના ન્યાયધીશ જો સમજાવે તો તેની વધુ અસર પડે. લક્ષ્મીચંદભાઈને પૂછીને તેઓ નેમચંદભાઈને ન્યાયધીશને ઘરે લઈ ગયા. ન્યાયધીશે સામ, દામ, ભેદ, દંડ એમ જુદી જુદી રીતે નેમચંદભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ધમકી પણ આપી કે જો તેઓ દીક્ષા લેશે તો, તેમની ધરપકડ કરી હાથે પગે બેડી પહેરાવી તેમને કેદમાં પૂરવામાં આવશે. પરંતુ ન્યાયધીશે જોયું કે આવી ઘમકીની આ કિશોર ઉપર કંઈ અસર થઈ નથી. એટલું જ નહિ કિશોરના એકે એક જવાબ તર્કયુક્ત, બુદ્ધિગમ્ય, સાચા અને સચોટ હતા. આથી તેઓ પાછા ફરતા હતા ત્યારે ન્યાયાધીશે રૂપશંકરભાઈને બાજુમાં બોલાવીને જણાવી દીધું કે આ છોકરો કોઈ પણ સંજોગોમાં દીક્ષા લીધા વગર રહેવાનો નથી.
એક બાજુ લક્ષ્મીચંદભાઈએ નેમચંદભાઈ ઉપર કડક નિયંત્રણો મૂકી દીધાં હતાં તો બીજી બાજું નેમચંદભાઈ ઘરમાંથી છટકીને ભાગી જવાનો લાગ શોધી રહ્યા હતા. એ વખતે ગામમાં પિતાવિહોણા એક કિશોર દુર્લભજીને પણ દીક્ષા લેવાની ઈચ્છા હતી. એટલે નેમચંદભાઇએ એની સાથે દોસ્તી બાંધી. મહુવાથી ભાગીને ભાવનગર કેવી રીતે પહોંચવું એનો તેઓ બંને ઉપાય વિચારી રહ્યા હતા. એ દિવસોમાં નજીકના સ્થળે લોકો પગે ચાલીને જતા. દૂર જવું હોય તો ગાડું, ઊંટ, ઘોડા વગેરેનો ઉપયોગ કરતા. બંને કિશોરોને ગામમાં ખબર ન પડે એ રીતે રાતને વખતે ભાગી જવું હતું અને ભાવનગર જલદી પહોંચવું હતું. એટલે ગામને પાદરે કબ્રસ્તાન પાસે રહેતા એક ઊંટવાળા સાથે ભાવનગર જવાની ગોઠવણ કરી. બમણું ભાડુ મળવાની શરતે ઊંટવાળો અડધી રાતે જવા સંમત થયો.
રાતને વખતે નેમચંદભાઈ કંઈક બહાનું કાઢીને ઘરમાંથી છટકી ગયા. દુર્લભજીને ઘરે પહોંચ્યા અને તેઓ બંને ઊંટવાળા પાસે પહોંચ્યા. ઊંટવાળાએ તરત નીકળવાની ના કહી અને મળસ્કે ચાર વાગે પોતે નીકળશે એમ જણાવ્યું. હવે આટલો સમય ક્યાં પસાર કરવો એ આ બંને કિશોર મિત્રો માટે ચિંતાનો પ્રશ્ન થઈ પડ્યો. ઘરે પાછા જવામાં કોઈ અર્થ નહોતો. એટલે તેઓ બંને બાજુમાં કબ્રસ્તાનમાં આખી રાત
સંતાઈને બેસી રહ્યા. સવારે ચાર વાગે તેઓએ ઊંટવાળાને ઉઠાડ્યો. થોડીઘણી આનાકાની પછી ઊંટવાળો તેમને લઈ જવા સંમત થયો. ઊંટ ઉપર તેઓ બંને સવાર થયા. ઊંટ ભાવનગરના રસ્તે ચાલવા લાગ્યું. ઊંટ ઉપર બેસવાનો તેઓનો આ પહેલો અનુભવ હતો. ઊંટની સવારી હાડકાં દુઃખવનારી હોય છે. એટલે તેઓ જ્યારે અડધે પહોંચ્યા ત્યારે તો થાકીને લોથ થઈ ગયા હતા. વળી એવામાં વરસાદ પડવા લાગ્યો હતો. રસ્તામાં એક નદી પાર કરવાનું સાહસ પણ કરવું પડ્યું હતું. રાત પડતાં એક ફકીરની ઝૂંપડીમાં તેઓને મુકામ કરવો પડ્યો હતો. બીજે દિવસે તળાજા, ભડીભંડારિયા વગેરે ગામમાં થઈને તેઓ આગળ વધ્યા. રસ્તામાં કોઈક શ્રાવકને ત્યાં સ્નાન ભોજનની વ્યવસ્થા પણ કરી લીધી. એમ કરતાં તેઓ ભાવનગર પહોંચ્યા. ઊંટવાળાને ભાડું ચૂકવ્યું અને શેઠ જસરાજભાઈના ઘરે તેઓ ગયા. તેઓ બંને દીક્ષા લેવાની ભાવનાથી મહુવાથી ભાગી આવ્યા છે એ વાત એમણે જસરાજભાઈને કરી. જસરાજભાઇએ તેઓની ભોજન વગેરે દ્વારા આગતાસ્વાગતા કરી અને પછી તેઓ બંનેને વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે લઇ ગયા. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે તેઓ બંનેએ દીક્ષા લેવાની વાતનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજે કહ્યું કે માતા-પિતાની સંમતિ વગર પોતે કોઈને દીક્ષા આપતા નથી. - દુર્લભજીભાઇના પિતા નહોતા અને માતાનો ખાસ કંઈ વિરોધ નહોતો એટલે એમને દીક્ષા આપવાની વાતનો વૃદ્ધિચંદ્રજી મહારાજે સ્વીકાર કર્યો, પરંતુ તેમચંદભાઇને દીક્ષા આપવાની તો સ્પષ્ટ ના કહી દીધી.
યોગ્ય મૂહર્ત જોઇને વૃદ્ધિચંદ્રજી મહારાજે દુર્લભજીભાઇને વિધિ પૂર્વક દીક્ષા આપી. નેમચંદભાઈ ઉપાશ્રયમાં રહેતા અને જશરાજભાઇના ઘરે જમવા જતા. માતા-પિતાની સંમતિ લેવા માટે પાછા મહુવા જવાની તેમની ઈચ્છા નહોતી, કારણ કે તેઓ જાણતા હતા કે તેમને સંમતિ મળવાની જ નથી. આથી તેઓ મૂંઝાયા હતા અને કિંઈક વચલો રસ્તો વિચારતા હતા. આમ પણ તેઓ બુદ્ધિશાળી હતા. એટલે એમણે એક અનોખો રસ્તો વિચારી કાઢ઼યો. ઉપાશ્રયમાં વૃદ્ધિચંદ્રજી મહારાજના એક શિષ્ય રત્નવિજયજી નામના હતા. તેમની વૈયાવચ્ચ કરીને નેમચંદભાઈએ તેમને પ્રસન્ન કર્યા. પછી તેમની પાસેથી સાધુનાં વસ્ત્રો માગ્યાં. અને સમજાવ્યું કે ગુરુ મહારાજ મને દીક્ષા નથી આપતા એટલે હું મારી મેળે સાધુના કપડાં પહેરી લેવા ઇચ્છું છું. એમાં તમારી કંઈ જવાબદારી નથી.” એમ કહી સાધુનાં વસ્ત્રો નેમચંદભાઇએ પહેરી લીધાં, પરંતુ ઓઘો લાવવો ક્યાંથી? ઉપાશ્રયમાં સ્વર્ગસ્થ ગચ્છનાયક શ્રી મૂળજીચંદજી મહારાજનો ઓઘો સાચવીને રાખવામાં આવ્યો હતો, એ ઓઘો નેમચંદભાઇએ રત્નવિજયજી દ્વારા મેળવી લીધો. પછી તેઓ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે આવીને સાધુના વેશમાં ઊભા રહ્યા. વૃદ્ધિચંદ્રજી તો તેમને જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું “અરે, નેમચંદ તને દીક્ષા કોણે આપી ?' નેમચંદભાઈએ કહ્યું, “ગુરુ મહારાજ મેં મારી મેળે જ સાધુનો વેષ પહેરી લીધો છે અને તે હવે હું છોડવાનો નથી. માટે આપ મને હવે દીક્ષાની વિધિ કરાવો.”
વૃદ્ધિચંદ્રજી મહારાજ દ્વિઘામાં પડી ગયા. પરિસ્થિતિનો તાગ મેળવતાં એમને જણાવ્યું કે હવે દીક્ષાનો વિધિ કરી લેવો તે જ યોગ્ય માર્ગ છે. - વૃદ્ધિચંદ્રજી મહારાજે દીક્ષાની વિધિ કરાવી લીધી અને નેમચંદભાઈનું નામ મુનિ નેમિવિજયજી પાડ્યું. આ રીતે વિ. સં. ૧૯૪પમાં જેઠ સુદ-૭ના દિવસે નેમચંદભાઈ મુનિ નેમિવિજયજી બન્યા.
આ બાજુ મહુવામાં ખબર પડી ગઈ કે નેમચંદભાઈ અને દુર્લભજી ઊંટ ઉપર બેસી ભાવનગર ભાગી ગયા છે. એટલે લક્ષ્મીચંદભાઈ વિમાસણમાં પડી ગયા.. માતુશ્રી દિવાળીબહેન અને ઘરનાં સ્વજનોએ રડારડ કરી મૂકી. લક્ષ્મીચંદભાઈએ વિચાર કર્યો કે જો તેમચંદભાઇએ દીક્ષા ન લીધી હોય તો તેમને અટકાવવા અને પાછા ઘરે લઈ આવવા. લક્ષ્મીચંદભાઈ અને દિવાળીબહેન મહુવાથી ભાવનગર આવવા નીકળ્યાં. એ દિવસો ઝડપી પ્રવાસના ન હતા. થોડા દિવસે લક્ષ્મીચંદભાઈ ભાવનગર આવી પહોંચ્યા. એમણે ઉપાશ્રયમાં આવીને જોયું કે પુત્ર નેમચંદભાઈએ દીક્ષા લઇ લીધી છે. તેઓ ક્રોધે ભરાયા.