________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૩૩
હકીકત કહી. બે પગા (મનુષ્ય) પ્રાણીના બંધની હકીકત પણ એ પ્રમાણે જાણવી. અર્થાત્ દાસ-દાસી, ચોર કે ભણવામાં પ્રમાદી પુત્ર વગેરેને જો બાંધવાની જરૂર પડે તો તે ચાલી શકે-ખસી શકે કે અવસરે છૂટી શકે તે રીતે (ઢીલા બંધનથી) બાંધવું કે જેથી આગ વગેરેના પ્રસંગે તેનું મૃત્યુ ન થાય. શ્રાવકે બાંધ્યા વિના જ રાખી શકાય તેવા જ બેપગા અને ચોપગા પ્રાણી રાખવા જોઇએ.
વધ— વધમાં પણ બંધની જેમ જાણવું. તેમાં નિષ્કારણ નિરપેક્ષ વધ એટલે કારણ વિના નિર્દયપણે મારવું. સાપેક્ષ વધ અંગે એવો વિધિ છે કે શ્રાવકે ભીતપર્ષદ્ બનવું જોઇએ. જેથી પુત્રાદિ પરિવાર અવિનય વગેરે ન કરે, અને મારવાનો પ્રસંગ જ ન આવે. છતાં કોઇ અવિનય વગેરે કરે એથી મારવાનો પ્રસંગ આવે તો મર્મસ્થાનોને છોડીને લાત કે દોરીથી એક બે વાર મારવું.
છવિચ્છેદ— છવિચ્છેદ અંગે પણ બંધની જેમ જાણવું. નિર્દયપણે હાથ, પગ, કાન, નાક વગેરેનો છેદ કરવો એ નિરપેક્ષ છવિચ્છેદ છે. શરીરમાં થયેલ ગુમડું, ઘા-ચાંદી વગેરેને કાપી નાખવું કે બાળી નાખવું વગેરે સાપેક્ષ છવિચ્છેદ છે.
અતિભાર– શ્રાવકે પશુ આદિ ઉપર તે ન ઉપાડી શકે તેટલો ભાર ન મૂકવો જોઇએ. શ્રાવકે પ્રાણી ઉપર ભાર ઊંચકાવીને આજીવિકા ચાલે તેવો ધંધો ન કરવો જોઇએ. તેમ ન બની શકે તો મનુષ્ય પાસે તે સ્વયં ઊંચકી શકે અને નીચે ઉતારી શકે તેટલો જ ભાર ઊંચકાવવો જોઇએ. બળદો પાસે ઉચિતભારથી કંઇક ઓછો ભાર ઉપડાવવો જોઇએ. હળ, ગાડા વગેરેમાં જોડેલા પશુઓને સમયસર છોડી દેવા જોઇએ. અશ્વ અને હાથી વગેરેને આશ્રયીને પણ આ જ વિધિ છે.
ભક્તપાન વિચ્છેદ- આહાર-પાણીનો વિચ્છેદ કોઇને ન કરવો જોઇએ. અન્યથા અતિશય ભૂખથી મૃત્યુ થાય. ભક્તપાન વિચ્છેદના પણ સકારણ નિષ્કારણ વગેરે પ્રકારો બંધની જેમ જાણવા. રોગના વિનાશ માટે ભક્તપાનનો વિચ્છેદ સાપેક્ષ છે. અપરાધ કરનારને “આજે તને આહારાદિ નહીં આપું” એમ કહેવું. (પણ સમય થતાં આહારપાણી આપવા.) શાંતિ નિમિત્તે ઉપવાસ કરાવવો. સર્વત્ર યતના કરવી, અર્થાત્ વ્રતમાં અતિચાર ન લાગે તેમ કાળજીથી વર્તવું. (૨૫૮)