________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૮૮
ટીકાર્થ— શ્રાવક દેશાવગાશિક વ્રતમાં આનયન પ્રયોગ, પ્રેષ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને બહિ:પુદ્ગલ પ્રક્ષેપ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે.
(૧) આનયનપ્રયોગ– (લાવવા માટે બીજાને) જોડવો તે આનયન પ્રયોગ. આનયન શબ્દનો આ શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે–) મારે આજે અમુક પ્રદેશથી બહાર ન જવું એમ વિશિષ્ટ મર્યાદાવાળા પૃથ્વીપ્રદેશનો અભિગ્રહ કર્યા પછી અભિગ્રહવાળા સ્થાનથી આગળ પોતે ન જઇ શકવાથી ચિત્ત વગેરે દ્રવ્ય લાવવા માટે તારે આ વસ્તુ લાવવી એમ સંદેશો આપીને બીજા પાસેથી વસ્તુ મંગાવવી તે આનયન પ્રયોગ.
(૨) પ્રેષ્યપ્રયોગ– (પ્રેષ્ય એટલે નોકર. નોકરની જેમ બીજાને બળાત્કારથી પોતાના કામમાં જોડવો તે પ્રેષ્યપ્રયોગ. પ્રેષ્યપ્રયોગ શબ્દનો આ શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે—) જવા-આવવાના અભિગ્રહવાળા સ્થાનનું ઉલ્લંઘન થવાના ભયથી “અમુક સ્થળે અવશ્ય જઇને તારે મારી ગાયો વગેરે વસ્તુ લાવવી, અથવા ત્યાં આ કામ કરવું” એમ વસ્તુ લાવવા માટે કે કામ કરવા માટે બીજાને મોકલવો તે પ્રેષ્યપ્રયોગ.
(૩) શબ્દાનુપાત– અનુપાત એટલે ઉચ્ચાર. શબ્દનો ઉચ્ચાર કરવો તે શબ્દાનુપાત. પોતાના ઘરની વાડના પૃથ્વીપ્રદેશથી આગળ ન જવું અથવા પોતાના ઘરના કિલ્લાથી આગળ ન જવું એ પ્રમાણે અભિગ્રહ લીધા પછી અભિગ્રહવાળા સ્થાનથી બહારના સ્થાનમાં કોઇ કામ પડતાં ત્યાં પોતે ન જઇ શકવાથી વાડ કે કિલ્લાની નજીક રહીને બીજાઓ સાંભળે તે રીતે બુદ્ધિપૂર્વક (સમજપૂર્વક) છીંક, ખાંસી આદિ શબ્દ કરીને પરિચિતોને જણાવનારને શબ્દાનુપાત અતિચાર લાગે.
(૪) રૂપાનુપાત— અનુપાત એટલે બતાવવું. પોતાના શરીરનું રૂપ બતાવવું તે રૂપાનુપાત. (અર્થાત્ પોતાનું શરીર બતાવવું તે રૂપાનુપાત.) અભિગ્રહ કરેલા સ્થાનથી બહાર કોઇ કામ પડતાં શબ્દનો ઉચ્ચાર કર્યા વિના જ બીજાને પોતાની નજીક લાવવા માટે પોતાનું શરીર બતાવવું તે રૂપાનુપાત અતિચાર છે.
(૫) બહિ:પુદ્ગલ પ્રક્ષેપ– અભિગ્રહવાળા સ્થાનથી બહાર કામ પડતાં બીજાઓને જણાવવા માટે ઢેફું વગેરે ફેંકવું તે બહિ:પુદ્ગલ પ્રક્ષેપ. જવા-આવવાથી જીવહિંસા ન થાય તે માટે દેશાવગાશિક વ્રત છે.