________________
દેશોન અર્ધપગલપરાવર્ત કાળ એટલે અનંતકાળ. સમ્યકત્વનું આવું ઉત્કૃષ્ટ અંતર બે પ્રકારના જીવોને સંભવે- (૧) વિષયોની તીવ્ર આસક્તિવાળા જીવો અને (૨) દેવ-ગુરુની આશાતના કરનારા જીવો. તેમાં પણ વિષયોની તીવ્ર આસક્તિ વડે સંસારમાં આટલો લાંબો કાળ રખડીને આ અંતર પૂરું કરનારા જીવો કરતા દેવ-ગુરુની આશાતના કરીને સંસારમાં આટલો લાંબો કાળ રખડીને આ અંતર પૂરું કરનારા જીવો વધુ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ-ગુરુની આશાતના દ્વારા જીવ અનંતકાળ સુધી સંસારમાં રખડે છે અને સમ્યકત્વ પણ તેના માટે દુર્લભ બની જાય છે. માટે દેવ-ગુરુની આશાતના બધી રીતે વર્જવી. ઉપર બતાવેલી ગુરુની અને ગુરુસ્થાપનાની બધી આશાતનાઓ પણ અવશ્ય ત્યજવી. એ સિવાયની અન્ય આશાતનાઓ પણ ત્યજવી, આશાતના કરવાથી આપણને કોઇ લાભ નથી થતો, પણ એકાંતે નુકસાન જ થાય છે.
ગુરુ આપણને અતિમહાન લાગવા જોઇએ અને આપણી જાત આપણને અતિઅધમ લાગવી જોઇએ. આવું લાગશે ત્યારે ગુરુની બધી આશાતનાઓ આપણા જીવનમાંથી રવાના થઇ જશે.
ગુરુ એ શ્રેષ્ઠ તત્ત્વ છે. એમની આરાધનાથી મોક્ષ મળે છે. એમની આશાતનાથી સંસારમાં ભટકવું પડે છે. કદાચ ગુરુની આરાધના ન થાય એ હજી ચાલે પણ ગુરુની આશાતના તો કોઇ રીતે ન ચાલે.
માટે બધા પ્રયત્નોપૂર્વક ગુરુની આશાતના વર્જવી.
સમર્પણમ્
સમર્પણમ્