Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન પરિચય
એકવીસમું અધ્યયન કારક શ્રી છે છે ક ક ક ક ક ટ ક હ
પરિચય
,
આ અધ્યયનનું નામ સમુદ્રપાલીય છે. તેમાં સમુદ્રપાલ નામના વેપારીના જન્મથી મુક્તિ સુધીની જીવન ઘટનાઓનું વર્ણન છે. ભગવાન મહાવીરનો શ્રાવક શિષ્ય પાલિત મોટો વેપારી હતો. તે અંગદેશની ચંપાનગરીમાં રહેતો હતો. તે સમુદ્રમાં ચાલતાં મોટાં-મોટાં વહાણોથી દેશ-વિદેશમાં પોતાનો માલ લઈ જઈને વેચતો હતો અને ત્યાં ઉત્પન્ન થતો માલ સ્વદેશમાં લઈ આવતો હતો. એક વખત તે સોપારીના વેપાર માટે વહાણમાં પિહુડનગર ગયો અને વેપાર કરતાં ત્યાં ઘણો સમય રહ્યો. તેની ચતુરાઈ, પ્રામાણિકતા અને વ્યવહારદક્ષતાને કારણે તે પિહુડનગરમાં પ્રસિદ્ધ થઈ ગયો. ત્યાંના એક સમૃદ્ધ શેઠની પુત્રી સાથે તેણે લગ્ન કર્યા. કેટલોક સમય ત્યાં વ્યતીત કરીને તે પાલિત શ્રાવક પોતાની ગર્ભવતી પત્ની સાથે વહાણમાં ચંપા- નગરી પાછો ફરતો હતો, ત્યારે તેની પત્નીએ રસ્તામાં(વહાણમાં) પુત્રને જન્મ આપ્યો. સમુદ્રમાં જન્મ થવાથી તેનું નામ સમુદ્રપાલ રાખ્યું. તે ઘણો સુંદર હતો. સમય જતાં તે ૭૨ કળાઓમાં નિપુણ થયો. તેના પિતાએ રૂપિણી નામની સુંદર કન્યા સાથે તેનો વિવાહ કર્યો. તે પોતાના પરિવાર સાથે આનંદથી રહેવા લાગ્યો. એક દિવસ તે પોતાના મહેલના ઝરૂખામાં બેસીને નગરની શોભાનું નિરીક્ષણ કરતો હતો ત્યારે રાજમાર્ગ ઉપર એક અપરાધીને રાજાના સિપાહીઓ વધસ્થંભ તરફ લઈ જતા હતા. તેની ડોકમાં લાલ કરેણના ફૂલોની માળા પહેરાવેલી હતી, તેના ઉઘાડા શરીરે લાલ ચંદનનો લેપ કરવામાં આવ્યો હતો. ગધેડા ઉપર બેસાડી તેને આખા ગામમાં ફેરવવામાં આવી રહ્યો હતો. સિપાહીઓ તેના દુષ્કૃત્યની જોર-જોરથી ઘોષણા-જાહેરાત કરતાં કહેતા હતા કે આવા અપરાધ માટે આવી મૃત્યુદંડની સજા થાય છે. આવી સજા દ્વારા ફરી કોઈ એવો અપરાધ ન કરે તેવી લોકોને સમજણ અપાતી હતી. આ દશ્ય જોઈને સમુદ્રપાલની આંખ ઉઘડી ગઈ તે કર્મ અને કર્મફળ વિષે વિચારવા લાગ્યો. વાવેલું કદી અફળ જતું નથી. તેથી શુભ કર્મોનું વાવેતર કરી, શુભ સંયોગો પામી શુદ્ધ થવું, તે માનવ જીવનનું શ્રેષ્ઠફળ છે. ઊંડાણથી વિચારતાં તેનું મન અંતે સંસાર ઉપરથી ઊઠી ગયું. તે સંવેગ અને વૈરાગ્ય ભાવથી રંગાઈ ગયો.વિષયભોગો અને કષાયોના કીચડથી થતાં કર્મબંધનમાંથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય નિગ્રંથ શ્રમણ ધર્મનું પાલન કરવું તે જ છે, તેમ સમજી જતાં માતા-પિતાની અનુમતિ મેળવી તેણે મુનિધર્મની દીક્ષા લીધી. પંચ મહાવ્રતના પાલન સાથે (૧) સરળતા (૨) તિતિક્ષા(સહનશીલતા) (૩) નિરભિમાનતા (૪) અનાસક્તિ (૫) નિંદા અને પ્રશંસામાં સમભાવ (૬) જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ (૭) એકાંતવૃત્તિ અને (૮) સતત અપ્રમત્તતા, આ આઠ ગુણોની આરાધના કરી સંયમી જીવનને સફળ બનાવ્યું અને ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરી. આ રીતે આ અધ્યયનમાં તે યુગના ખરીદ-વેચાણ(ક્રય-વિક્રય), સજા અને વંધ્ય વ્યક્તિના દંડ, વૈવાહિક સંબંધ અને મુનિચર્યાની સાવધાની વગેરે તથ્યોનો મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છે. જે