Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એ દુષ્ટ અશ્વ મને જે મહાન અટવીને વિષે લઈ ગયો ત્યાં પુચ્છના આઘાતના રવથી વનરાજ- સિંહો ગર્જના કરી રહ્યા હતા. ચિત મદના ઝરવાથી અનેક ભ્રમરોને સંતુષ્ટ કરતા હસ્તિઓ મેઘની પેઠે ગાજી રહ્યા હતા. વળી ક્યાંક શીંગડાના આઘાતથી અગ્નિના તણખા ઉત્પન્ન કરતા મહિષોના ટોળાં યુદ્ધ કરી રહ્યા હતા. કોઈ સ્થળે શરીરે અલમસ્ત એવાં ભુંડ, ક્ષેત્રકાર હળવડે ભૂમિ ખોદે છે તેમ, પોતાનાં નસકોરાવતી ભૂમિ ખોદી રહ્યા હતા, તે જાણે આદિ વરાહાવતારને શોધી કાઢવાને માટે જ હોય નહીં ! વળી ક્યાંક તો નિત્ય લીલું અને અત્યંત પ્રિય એવું ઘાસ ચરી ચરીને પુષ્ટ થયેલા હરિણો, જાણે ચંદ્રમાના અંકને વિષે રહેલા પોતાના સજાતીય (મૃગ) ને મળવાને માટે જ હોય નહીં એમ આકાશમાં ફાળ મારી રહ્યા હતા. કોઈ સ્થળે તો, હે સુંદરી ! સ્વેચ્છાએ ચર્ચા કરતી ચમરીગાયો પોતાની વાળવાળી પુછડીઓને કોઈ કાપી જશે એવા ભયથી વાંસની ઝાડીમાં ભરાઈ જતી દેખાતી હતી.
આ સ્થળે ગ્રીષ્મઋતુના તાપથી અત્યંત અકળાઈ ગયેલો હું, દુશ્મનથી પણ ચઢી જાય એવી દુષ્ટ તૃષાથી પીડાવા લાગ્યો. પણ એટલામાં તો અશ્વ પરથી ઉતરી જળની શોધમાં ભટકતાં એક સુંદર સરોવર મારી દૃષ્ટિએ પડ્યું; ગુફામાં કોઈ સજ્જન નજરે પડે તેમ. તીરપર ઉગેલાં અનેક વૃક્ષોને લીધે શ્યામ જણાતું એ સરોવર, અંદર રહેલા વિકસ્વર શ્વેત કમળોને લીધે, અનેક તારાગણને ધારણ કરતા શરદઋતુના આકાશના જેવું શોભી રહ્યું હતું. વળી એ કાંઠે રહેલી અનેકવર્ણી શેવાળને લીધે, જાણે મુઠ પાસે વિવિધરંગી વસ્ત્રથી વીંટળાયલું કોઈ ચકચકિત ખડ્ગ હોય નહીં એવો ભાસ થતો હતો. ચક્રવાકરૂપી સુવર્ણના અલંકારોવાળા, વાયુએ હલાવેલા મોજાંરૂપી હસ્તોવડે, પાસે રહેલા પોતાના વૃક્ષોરૂપી પુત્રોને, એ સરોવર જાણે આલિંગન દેતું હતું ! ક્રીડા કરતા અને સાથે સાથે મધુર રાગવડે આલાપ દેતા અનેક હંસોના સમૂહને લીધે પોતાની વિવિધતા સ્થાપન કરતું એ (સરોવર), વળી જાણે આ જગતને વિષે અદ્વૈતવાદનો નિષેધ કરતું હતું ! હે સુંદરી ! એ સરોવર નીહાળતાં મને હૃદયને વિષે જે આનંદ થયો તે હું વર્ણવી શકતો નથી. પણ ત્યાં જે ખરી મધુરતાયુક્ત કૌતુકમય ઘટના બની તે હવે મને યાદ આવે છે તે કહું છું.અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)
૭