Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
૩
જન્મદાતા અને જીવનશિલ્પી
યુગદ્રષ્ટા
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના આદર્શો અને સિદ્ધાંતોએ સહુને અખૂટ પ્રેરણા આપી. એમની પ્રતિભાના પ્રકાશમાં સાધ્વીશ્રી શીલવતીજીએ પોતાના સંયમજીવનને નિર્મળ ગંગાની જેમ વહાવ્યું અને એ ગંગાપ્રવાહમાં પૂજ્ય મૃગાવતીશ્રીજી મહારાજ પણ ગુરુમાતાના પંથે પ્રગતિ સાધવા અને ગુરુ વલ્લભના વિચારોને મૂર્તિમંત કરવા લાગ્યાં.
સાધ્વીશ્રી શીલવતીજી મહારાજની હૈયાઉકલત, વ્યવહારદક્ષતા અને માણસને પારખવાની ચકોર દૃષ્ટિ પણ નવાઈ પમાડે એવી હતી. વખત આવ્યે નિર્ભય બનીને સામી વ્યક્તિને વિવેકપૂર્વક કડવું સત્ય કહી દેવાની એમની પાસે તાકાત હતી. ગુરુ વલ્લભના આશીર્વાદ અને એમની આજ્ઞાને એમણે શોભાવી જાણ્યાં.
સાધ્વીશ્રી શીલવતીજીને સંસારી અવસ્થામાં અભ્યાસનો યોગ સાંપડ્યો નહોતો. માત્ર તેર વર્ષની ઉંમરે એમના સંસારનો પ્રારંભ થયો, પરંતુ સાધ્વી થયા પછી અક્ષરજ્ઞાનનો એવો આરંભ કર્યો કે થોડા જ સમયમાં રાસચરિત્ર એકવાર વાંચે અને સઘળું યાદ રહી જતું. આગમનાં ભાષાંતરોનો અભ્યાસ કરવા માંડ્યો અને ક્યારેક તો અભ્યાસ કરતાં ગોચરીનો સમય પણ ભૂલી જતાં. વળી કોઈ વ્યાખ્યાનમાં
જીવનદાતા અને જીવનશિલ્પી
કશુંક મહત્ત્વનું સાંભળે તો એને નોંધી લેતાં હતાં અને એ રીતે જીવનના પ્રારંભે જ્ઞાનપ્રાપ્તિના સંયોગો નહોતા તે સંયોગો સાધ્વીજીવનમાં પ્રાપ્ત થતાં એમનાં વ્યાખ્યાનોમાં વિચા૨ની વસંત મહોરી ઊઠી. એવા સરસ દોહા કહે કે જે સહુને યાદ રહી જાય, કહેવતો દ્વારા પોતાની વાતને એવી ચોટદાર રીતે રજૂ કરે કે તેમની વાત શીરાની જેમ ગળે ઊતરી જાય.
પૂ. શીલવતીજીએ ધર્મધ્યાન ઉપરાંત સ્ત્રીઉત્થાન માટે પણ અથાગ પ્રયત્નો કર્યા અને સ્ત્રીસમાજની આધ્યાત્મિક અને સામાજિક પ્રગતિ માટે પ્રેરણા આપી. સાધ્વીશ્રી જ્યાં જ્યાં વિહાર કરતાં હતાં, ત્યાં તીર્થંકર ભગવાન મહાવીરનો વિશ્વવાત્સલ્યનો સંદેશો જનસમૂહમાં ફેલાવતાં હતાં. એમની વાણીમાં જૈન અને જૈનેતરના કોઈ સીમાડા નહોતા, પરંતુ એમાં ‘સર્વજન હિતાય અને સર્વજન સુખાય'નો ઉપદેશ હતો. એમનો આ ઉદાર દૃષ્ટિ અને સર્વજનવત્સલતાનો વારસો માતાગુરુની પ્રસાદી તરીકે સાધ્વીશ્રી મૃગાવતીજીને પ્રાપ્ત થયો. પૂજ્ય શીલવતીજી મહારાજ બાળકો અને સ્ત્રીઓનાં તો સાચાં હિતચિંતક હતાં. એમની આસપાસ બહેનો અને બાળકો ટોળે વળીને બેઠાં જ હોય, અને તેઓ સૌને કંઈક ને કંઈક હિત-શિખામણ આપતાં હોય.
શ્રીસંઘના ઉત્થાનમાં તેઓનું મોટામાં મોટું અને ચિરંજીવ અર્પણ હોય તો તે એમનાં પુત્રી શિષ્યા પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી જેવાં તેજસ્વી, નિખાલસ, સ્વતંત્ર ચિંતક, પ્રભાવક અને વિદુષી સાધ્વીરત્નની ભેટ. પોતાની સાધ્વીપુત્રીના અભ્યુદય માટે તેઓ જીવનભર આકરું તપ કરતાં રહ્યાં અને જ્ઞાનચારિત્રની નિર્મળ આરાધના અને વ્યાપક તથા મર્મસ્પર્શી જ્ઞાનોપાસના દ્વારા શ્રી મૃગાવતીજીનો શતદલ કમળની જેમ વિકાસ થાય, એ માટે તેઓ સદા એમની સંભાળ રાખતાં રહ્યાં.
સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ ચારિત્રપાલનની બાબતમાં સોરઠની સિંહણ સમાન હતાં, પરંતુ સાથોસાથ પોતાની બાર વર્ષની પુત્રી શાસ્ત્રાભ્યાસ અને ધ્યાનાભ્યાસમાં કઈ રીતે પ્રગતિ સાધે, તે માટે સતત પ્રયત્નો કરતાં હતાં, આથી સાધુમાર્ગનું સઘળું કામ પોતાને શિરે લઈને સાધ્વીશ્રી મૃગાવતીજીને
૧૯