Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ મુનિ જિનવિજયજી વગેરે સાથે સત્સંગ, ધર્મચર્ચા, ગોષ્ઠિ અને વિચારોનું આદાનપ્રદાન થતું રહ્યું. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ શાંતિસાગરના ઉપાશ્રયની નજીક રહેતા શેઠ કેશવલાલ લલ્લુભાઈને સાધ્વીજી મહારાજની સઘળી સુવિધા સાચવવાની જવાબદારી સોંપી હતી. - સાધ્વીજીના અમદાવાદમાં શાંતિસાગરના ઉપાશ્રયમાં થયેલા ત્રેવીસ, ચોવીસ અને પચીસમા ચાતુર્માસમાં એમણે મૌનનું પાલન કર્યું. ક્યાંય કોઈ સ્થળે વ્યાખ્યાન આપ્યું નહીં અને પૂર્ણ એકાગ્રતા સાથે આગમોનો ગહન અભ્યાસ કર્યો. અભ્યાસ સંપન્ન થતાં સાધ્વીજી મહારાજે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને જણાવ્યું કે અમે આપને મળવા ઇચ્છીએ છીએ. આપના પ્રત્યે કૃતજ્ઞતાભાવ પ્રગટ કરવા માગીએ છીએ. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈને ખબર પડી કે સાધ્વીજી વિહાર કરીને મારા નિવાસસ્થાને ધન્યવાદ આપવા માટે પધારવાનાં છે, એટલે તેમણે તરત જ કહેવડાવ્યું કે “આપ નહીં, પણ હું આપનાં ચરણોમાં હાજર થઈશ.’ સાધ્વીજીને શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની મિતભાષિતા, કર્તવ્યનિષ્ઠા અને હંમેશાં આવે ત્યારે ત્રણ ખમાસમણ દઈને વંદના કરતી વખતે જોવા મળતી વિનમ્રતા સ્પર્શી ગઈ.
આ પ્રસંગે શ્રેવિર્ય કસ્તુરભાઈ લાલભાઈ શ્રી કેશવલાલ લલુભાઈને લઈને સાધ્વીજીનાં દર્શનાર્થે આવ્યા. એમને વંદના કરી અને કહ્યું કે હજી વધુ થોડું રોકાઈને અભ્યાસ કર્યો હોત તો ? ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે મારાં માતાગુરુ અતિ વૃદ્ધ છે. છેલ્લાં બાવીસ વર્ષથી એમણે તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા કરી નથી. એમની અવસ્થા જોતાં હવે યાત્રા કરવાની એમની ભાવના પૂર્ણ કરવી જોઈએ. વળી, જ્ઞાન તો અપાર છે, એ ક્યાં કદી પૂર્ણ થવાનું છે.
અમદાવાદના ત્રણ વર્ષના જ્ઞાનાભ્યાસ પછી ૧૯૬૩ની છઠ્ઠી નવેમ્બરે સાધ્વીજીએ પાલીતાણા તીર્થ તરફ વિહાર શરૂ કર્યો. રસ્તામાં આવતાં શહેરોમાં વ્યાખ્યાન, વાર્તાલાપ અને ધર્મગોષ્ઠિ ચાલતાં રહ્યાં. સોનગઢ ‘ચારિત્ર રત્નાશ્રમમાં શ્રી કલ્યાણચંદ્રજી બાપા સાથે મેળાપ થયો. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી આદિ સાથે વાર્તાલાપ થયો. દિગંબર મંદિર બ્રહ્મચર્ય આશ્રમમાં કાનજી મુનિનાં દર્શન થયાં અને તેમની સાથે પણ સુંદર વાર્તાલાપ થયો. પાલીતાણાના પ્રવેશની ભવ્ય ઉજવણી થઈ.
આત્મ-કાંતિના ઓજસ પાલીતાણામાં નગરશેઠશ્રી ચુનીલાલભાઈએ અને ડૉ. બાવીસીજી આદિ અનેક શિક્ષિત સજન શ્રાવકોના પ્રયત્નો વડે શ્રાવિકાશ્રમ, શ્રી જિનદત્ત બ્રહ્મચર્યાશ્રમ હાઇસ્કૂલ, મોતીશાની ધર્મશાળા અને ગામમાં ઠેર ઠેર જાહેર વ્યાખ્યાનો થયા. પાલીતાણાથી વિહાર કરીને પોરબંદરમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો, તે દરમિયાન ધણાં ગામોમાં તેમણે વિચરણ કર્યું. તળાજામાં સ્વાધ્યાયશીલ શ્રી અમરચંદ માવજી શાહ તથા મહુવામાં નગરશેઠ બાપા હરિભાઈ અને દલીચંદભાઈ જેવા અગ્રણીઓના પ્રયત્નોથી તેમનાં જાહેર વ્યાખ્યાનો થયાં. ત્યાંથી ખાંભા આવ્યા, જ્યાં પૂ. શીલવતીશ્રીજીના સંસારી ભાઈ શ્રી ભુરાભાઈ ઉદાણી પરિવારે ઉદારતાથી લાભ લીધો. ત્યાં ત્રણ-ચાર જાહેર વ્યાખ્યાનો થયા, તથા ડેડાનમાં જાહેર વ્યાખ્યાનો કરતા અજારા તીર્થમાં આવ્યાં. ત્યાં સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની નિશ્રામાં ‘ચુનીલાલ દુર્લભજી ભોજનશાળા'નું ઉદ્ઘાટન શ્રી ત્રિભુવનભાઈ (પંપુભાઈ) ટી. સી. બ્રધર્સ ભાવનગરવાળાના હાથે થયું. ત્રણ દિવસ વ્યાખ્યાન સાંભળીને આખો પરિવાર બહુ જ પ્રભાવિત થયો. સૌ સાધુસાધ્વીજીના મા સમાન અને દાદાસાહેબ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ચંદનબેન હજી પણ ખૂબ જ શ્રદ્ધાથી સાધ્વીજી મહારાજને યાદ કરતાં હતાં. પૂજ્ય સાધ્વી શ્રીજીની લોકચાહનાને કારણે વાંકાનેર, ગોંડલ, સાવરકુંડલા, માંગરોળ, ભાણવડ જેવાં ગામોમાં પણ તેમનાં જાહેર વ્યાખ્યાનો યોજાયાં. જેતપુરમાં સ્થાનકવાસી મહાસતી શ્રી લીલાબાઈ સ્વામી સાથે તેમણે વ્યાખ્યાન કર્યું.
માર્ગમાં પૂ. સાધ્વીજીએ શારદાગ્રામ જેવી આગવી શિક્ષણદૃષ્ટિ ધરાવતી સંસ્થાનું કાર્ય નિહાળ્યું. માંગરોળથી ત્રણ કિલોમીટર દૂર શાંત એકાંત, ચોતરફ લીલીછમ ધરતી ઉપર સ્વર્ગ સમાન ગાંધીજીની પાયાની કેળવણીના સાક્ષાતરૂપ એવી આ ‘શારદાગ્રામ’ એક આદર્શ સંસ્થા છે. ત્યાં ગાંધીવાદી મનસુખભાઈ જોબનપુત્રા અને જાની આદિ કાર્યકર્તાઓ સમર્પિત ભાવથી સેવા આપતા. ભારતીય સંસ્કૃતિનું ગૌમાતાનું સાચું સન્માન અહીં સાક્ષાત્ જોવા મળે છે. સવારે બધા વિદ્યાર્થીઓ ગાયોની રીતસર ધૂપ-દીપ કરીને વાજિંત્રો સહિત આરતી ઉતારે. માની જેમ બધા વિદ્યાર્થીઓ એને વહાલ કરે પછી એમના વાછરડાને પૂરું દૂધ પાઈને દૂધ દોહે છે. ગાંધીજીનું ભારતનું સ્વપ્ન અહીં સાક્ષાત્ જોવા મળ્યું.
વિદ્યાર્થીઓ પોતાના રૂમ અને સ્કૂલના રૂમો પણ જાતે સાફ કરે. ચોતરફ