Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મ-ક્રાંતિનાં ઓજસ
અંગે ઉચિત માર્ગદર્શન મળ્યું. સાધ્વીશ્રીએ જાણ્યું કે આગમનો ઊંડો અભ્યાસ કરવો હોય, તો જૈનોની નગરી ગણાતા અમદાવાદમાં વસતા વિદ્વાનો પાસે અધ્યયન કરવું જોઈએ.
દિલ્હીના રૂપનગરમાં જિનાલયની પ્રતિષ્ઠા સમયે શ્રેષ્ઠિવર્ય કસ્તુરભાઈ લાલભાઈ આવ્યા. ભારતના કુશળ ઉદ્યોગપતિ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ અને જૈનસમાજના સમર્થ આગેવાન શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સાધ્વીજીના આગમોના અભ્યાસની સઘળી જવાબદારી સ્વીકારી લીધી.
૧૯૬૧ની ચોથી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આવેલા રૂપનગર જિનાલયની પ્રતિષ્ઠાનું કાર્ય શાંતમૂર્તિ આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી દ્વારા સંપન્ન થયું અને તેમની આજ્ઞાથી સાધ્વીજીએ અમદાવાદ તરફ વિહાર શરૂ કર્યો. માર્ગમાં આવતાં ગુડગાંવ, રિવાડી, કિશનગઢ, અજમેર, બ્યાવર જેવાં શહેરોમાં સાધ્વીજીનાં વ્યાખ્યાન યોજાયાં. બીજોવા , વરાણા, નાડોલ, ધાણેરાવ, સાદડી, લાઠારા, સવાડી, પાલનપુર થઈને ૧૯૬૧ની ૨૬મી જૂને સાધ્વીજી અમદાવાદની નજીક આવેલા સાબરમતીમાં પધાર્યા, જ્યાં તેમને ત્યાં બિરાજમાન આચાર્ય વિજયઉમંગસૂરિજી મહારાજના દર્શન-વંદન કરવાનો લાભ મળ્યો.
એ જ દિવસે હઠીસિંહની વાડીમાં આવ્યા બાદ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની વંદના માટે અને આગમોના અભ્યાસનું માર્ગદર્શન મેળવવા માટે ગયાં. બીજા દિવસે હઠીસિંહની વાડીમાં શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ મળવા આવ્યા અને એમના આગમ-અભ્યાસ અંગેની તમામ વ્યવસ્થા કરી આપી. બીજી જુલાઈએ સાધ્વીશ્રી પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીને મળવા ગયા અને સોળમી જુલાઈએ પંડિત દલસુખભાઈ માલવણિયાને ઘેર જઈને પોતાના સ્વાધ્યાય અંગે ચર્ચા કરી. અમદાવાદમાં સતત ત્રણ વર્ષ સુધી એમનો સ્વાધ્યાય-યજ્ઞ ચાલતો રહ્યો.
૧૯૬૨ની ૧૧મી એપ્રિલની બપોરે એકવાર ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજ એમને મળવા આવ્યા અને સાધ્વીજીને લાગ્યું કે જાણે પ્રભુના દૂત આવ્યા ન હોય ! મહારાજની સાદાઈ, સચ્ચાઈ, જીવનશૈલી અને જીવનદૃષ્ટિ સાધ્વીજીને સ્પર્શી ગયાં.
લોકસેવક રવિશંકર મહારાજે સાધ્વીજી સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું કે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે કેટલાય માણસોની હત્યા થઈ. એ સમયે રસ્તાઓ પર, નાની શેરીઓમાં અને ઘરમાં કેટલાય મૃતદેહો આમતેમ પડી રહ્યા હતા. આ સમયે રવિશંકર મહારાજ પોતાના સાથીઓ સાથે આ મૃતદેહોના સામૂહિક અગ્નિસંસ્કાર માટે ગયા. સહુએ સાથે મળીને આ કામ કર્યું. પરંતુ એ પછી કેમેય કરીને આ સેવાભાવી કાર્યકરોના હાથમાંથી એ ગંધ જતી નહોતી. આથી લોકસેવક રવિશંકર મહારાજને કાર્યકરોએ આ વાત કરી તો એમણે કહ્યું કે સત્કર્મ અને સુગ સાથે ન રહી શકે. જે માણસને સુગ હોય, તે કોઈ પ્રકારનું સત્કર્મ કરી શકે જ નહીં.
આ વાર્તાલાપ સમયે કોઈએ માણસાઈના દીવા સમા રવિશંકર મહારાજને કહ્યું, મહારાજ, કેવી ભયાવહ ઘટના બની, કેટલા બધા માનવીઓની હત્યાઓ થઈ. આ સમયે રવિશંકર મહારાજે વેદનાભર્યા અવાજે કહ્યું, કે માણસો તો મરી ગયા, પણ માણસાઈ મરી ગઈ તેનું દુઃખ વધારે છે.
કોઈએ વળી રવિશંકર મહારાજને પૂછ્યું કે, ‘માણસને હાથપગ તો મળ્યા છે પરંતુ કયા હાથ અને કયા પગ સારા ગણાય ?'
એમણે કહ્યું, ‘બહારથી દેખાવડા લાગતા સુંદર હાથ-પગ સારા જ હોય એવું કાંઈ જરૂરી નથી, પરંતુ જે હાથ સત્કર્મો કરતાં થાકે નહીં તે સારા ગણાય અને જે પગ દોડીને સતત લોકકલ્યાણનાં કાર્યો કરતા રહે તે સુંદર કહેવાય.’
સાધ્વીશ્રી મૃગાવતીજી અને લોકસેવાના ભેખધારી રવિશંકર મહારાજ પ્રત્યે સેવાભાવનાનો એક એવો સેતુ રચાયો કે એ પછી સાધ્વીજીને ખબર પડે કે પૂ. રવિશંકર મહારાજ અહીંયાં છે તો તેઓને અવશ્ય મળવાનું રાખતાં.
માનવકલ્યાણની ભાવના કેવી સુગંધ પ્રસરાવે છે !
અમદાવાદમાં શ્રેષ્ઠિવર્યશ્રી ત્રિકમલાલ મહાસુખરામ અને તેમનાં પત્ની ચંપા શેઠાણીના આગ્રહથી પ્રારંભમાં પંદર દિવસ તેમના નિવાસસ્થાને રહ્યાં. તે સમયે એમને વિમલા ઠકાર, દાદા ધર્માધિકારી આદિનો મેળાપ થયો અને પંડિત સુખલાલજી સંઘવી, પંડિત બેચરદાસ દોશી અને પંડિત દલસુખભાઈ માલવણિયાની સાથોસાથ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ,
જ ૮૬
-