Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
અબ હમ અમર ભયે
પામી ગયાં હતાં. તેઓ એમને મળવા આવનારને કહેતા, “મારાં બેંગબિસ્તરા બાંધીને હું તૈયાર બેઠી છું.’
એમણે દૂર-દૂર વિચરતા સાધુસાધ્વીઓને ક્ષમાયાચનાના સંદેશા મોકલાવ્યા હતા. પોતાના પરિચિત એવા સર્વ સંપ્રદાયના સાધુસાધ્વીઓ સાથે ક્ષમાપના કરી હતી. જો કે મહાયોગી આનંદઘનજીનાં પદોનું મોજ થી રટણ કરનાર સાધ્વીજીને ભીતરમાં તો ‘અબ હમ અમર ભયે, ન મરેંગે'ની ભાવના ગુંજતી હતી.
ગુરુવલ્લભે જેમ જીવનના આદર્શો આપ્યા હતા, એ જ રીતે એમણે મૃત્યુ વિશે કહ્યું હતું,
“મૃત્યુ માટે સદાય તૈયાર રહો. મૃત્યુથી ડરો નહીં અને મૃત્યુની આકાંક્ષા પણ ન કરો. આવતીકાલે મોત આવતું હોય તો આજે આવે અને આજે આવતું હોય તો અત્યારે આવે, હું દરેક અવસ્થામાં પ્રસન્ન છું અને મારું ધ્યાન પ્રભુનાં ચરણોમાં લીન છે.'
આ જ રીતે મૃત્યુ સમીપ જોતાં મહારાજીના મનમાં લેશમાત્ર સંતાપ નહોતો, કારણ કે આવા પ્રભુ, ગુરુ, શિષ્યા અને શ્રીસંઘ પામ્યા હોવાથી તેઓ તો કહેતા કે મને ચોથા આરાનો અનુભવ થાય છે. પ્રભુની સમાધિમાં એમનો આત્મા લીન હતો. ગુરુની ભક્તિથી એમાં પ્રસન્નતા પ્રગટી હતી. સાધ્વીજી પોતાની શિષ્યાઓની સેવાથી પરમ સંતુષ્ટ હતા અને આ સમયે દિલ્હી, પંજાબ અને અન્ય સ્થળોના સંઘો એમની સેવામાં ખડેપગે ઊભા હતા, તેથી વિશેષ જોઈએ શું ? - જેમની ભાવના ઊંચી, એને માટે જગત ઉત્કૃષ્ટ અને સુંદર કોઈ દૃષ્ટિ એવી હોય છે કે જેને સર્વત્ર કંટક નજરે પડે છે અને કોઈ દૃષ્ટિ એવી હોય છે. કે જેને ચોતરફ ગુલાબ ને ગુલાબ જ દેખાય છે. સાધ્વીજી મહત્તરાજી પાસે ભીતરની પ્રસન્નતા હતી અને તેથી એમની નજર જ્યાં જ્યાં પડતી, ત્યાં ત્યાં એમને ગુણોનું સૌંદર્ય દેખાતું હતું. શરીરમાં વેદના હતી, પણ એનાથીય ઊંચી સમાધિ હતી. કહેતા પણ ખરા કે, “કોણ જાણે પ્રભુની મારા પર કેટલી કૃપા વરસી રહી છે. મને વ્યાધિની કોઈ વેદના, પીડા કે બળતરા નથી. બસ, માત્ર
૧૮૬
થોડી શ્વાસની તકલીફ છે. જો એ બરાબર થઈ જશે તો આજે પણ પાટ પર બેસીને એક કલાક વ્યાખ્યાન આપી શકું તેમ છું.”
મુશ્કેલીઓમાં મોજ જોવાની એમની દૃષ્ટિ તો જુઓ ! વ્યાધિને કારણે આ સમયે એમને આખી રાત ઊંઘ આવતી નહીં. શિષ્યાઓ, શ્રીસંધ અને ચિકિત્સકો પણ ભારે ચિંતામાં ડૂબેલા રહેતા, ત્યારે કોઈ લાગણીપૂર્વક તેઓને પૂછતા, ‘આપ અપાર પીડાને કારણે રાતોની રાતો જાગીને પસાર કરો છો ?'
ત્યારે ઉત્તર આપતાં મહત્તરાજી કહેતા કે, “અરે, હું તો રાત્રે ગિરનાર, શત્રુંજય, આબુ, સમેતશિખર જેવાં તીર્થોની માનસયાત્રા કરું છું. રાતના એકાંતમાં મારી ધ્યાનસાધના સરસ ચાલે છે. આનાથી મોટું સદ્ભાગ્ય બીજું કયું હોય ?” - એક અઠવાડિયા પૂર્વે પૂ. સાધ્વીજીને તાવ આવતો હતો, ત્યારે એમણે શ્રીસંઘને પહેલાં જ કહી દીધું કે મને હવે હૉસ્પિટલમાં ન લઈ જશો. ત્યારે ઓસવાલ પરિવારે જણાવ્યું કે અમે અહીંયા હૉસ્પિટલ ઊભી કરી દઈશું. અમારાં બધાં ડૉક્ટરો અને સાધનો અહીં આવશે, તેની પણ પૂ. સાધ્વીજીએ ના પાડી. ત્યારે તેઓએ નિષ્ઠાવાન, પરગજુ સર્જન ડૉ. સતીશભાઈને મોકલ્યા. તેઓએ ત્રણ-ચાર દિવસ ત્યાં જ રહીને ખૂબ સેવા કરી.
પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની અસ્વસ્થતા વધતી જતી હતી, ત્યારે ત્યાંના શ્રીસંઘે અંદરોઅંદર નક્કી કર્યું કે દરરોજ કોઈ એક દંપતી અહીં સૂવા માટે આવે. આ વ્યવસ્થા પ્રમાણે એક વાર દિલ્હી રૂપનગરના મહિલા મંડળના પ્રમુખ, એમ.એલ.બી.ડી. પરિવારનાં પુત્રવધુ શ્રીમતી અનુરાધા જૈન અને પ્રકાશબાબુ સ્મારકમાં સૂતા હતા. અચાનક એક વાગે સુવ્રતાશ્રીજી અનુરાધા જૈનની પથારી પાસે આવીને બોલ્યા, ‘ભાઈને લઈને અંદર આવો. મહારાજની તબિયત નાદુરસ્ત છે.'
અનુરાધા જૈન અને પ્રકાશ બાબુ ગભરાઈ ગયા, પણ મનોમન પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરીને અંદર ગયા, તો જોયું તો મહારાજજીનો શ્વાસ બરાબર ચાલતો નહોતો. છેલ્લા ઘણા લાંબા વખતથી એમને શ્વાસની તકલીફ રહેતી હતી.
૧૮૭
—