Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સાધ્વીજી સંઘ સ્વયં સ્વઉન્નતિના શિખર પર આરૂઢ થવાની હિંમત અને ભાવના રાખે.
આપણા સાધ્વીસંઘમાં સેંકડો તેજસ્વી અને વિદુષી સાધ્વીઓ તૈયાર થઈ શકે તેમ છે, માત્ર જરૂર છે એ દિશામાં સમજપૂર્વક પ્રયાસ કરવાની.
કેટલાંક સાધ્વીજી મહારાજમાં અભ્યાસવૃત્તિ, વિદ્યાપ્રાપ્તિની લગની અને શાસ્ત્રાભ્યાસની તીવ્ર ઇચ્છા દૃષ્ટિગોચર થાય છે, પરંતુ તેમને એ માટે અનુકૂળતા સાંપડતી નથી. આને માટે શ્રીસંઘોએ ખાસ વ્યવસ્થા અને વિશેષ અનુકૂળતા કરી આપવાની આવશ્યકતા છે.
ભારતની રાજધાની દિલ્હીમાં શહેરથી દૂર, પ્રશાંત વાતાવરણમાં ખેતરોની હરિયાળીની વચ્ચે પ્રકૃતિના સાન્નિધ્યમાં પૂ. યુગદ્રષ્ટા, અજ્ઞાનતિમિરતરણી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું મહાપાવન સ્મારક બની ગયું. એમાં શ્રી ભોગીલાલ લહેરચંદના નામથી એક શોધપીઠ ચાલે છે. એમાં ઉચ્ચ અભ્યાસ કરનારાઓ સંશોધન અને સંપાદનનું કાર્ય કરી શક્શે. એ સિવાય નાની-નાની સાધ્વીજી અને દીક્ષાર્થી બહેનોને માટે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, કોષસાહિત્ય, ન્યાય આદિ ધાર્મિક અભ્યાસની પૂર્ણ વ્યવસ્થા અને અનુકૂળતા કરવામાં આવશે.
દીક્ષાર્થી બહેનોને માટે ઓછામાં ઓછાં ત્રણ વર્ષ અને વિશેષ ઉચ્ચ અભ્યાસને માટે પાંચ વર્ષનો અભ્યાસક્રમ ઘડવો જોઈએ. આગમોના અભ્યાસમાં શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી નંદીસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી સૂયગડાંગ સૂત્ર વગેરેનો અભ્યાસ કરાવવાની સાથોસાથ દર્શન, યોગ, કાવ્યસાહિત્ય, પ્રાકૃત આદિ વિષયોના નિષ્ણાત પંડિતોને એકઠા કરીને અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે તો નિર્ધારિત સુંદર પરિણામ પ્રાપ્ત થશે. સાધ્વીજી મહારાજના અભ્યાસની પ્રગતિની દેખરેખ માટે વિદ્વાન શ્રાવકોની એક સમિતિ હોય અને સુજ્ઞ શ્રાવકોની એક અન્ય સમિતિ પણ બનાવવામાં આવે, જે આ અંગે જરૂરી વ્યવસ્થા કરે કે સાધ્વી મહારાજ એમની સંયમયાત્રાની સાથોસાથ સ્વસ્થતાપૂર્વક જ્ઞાનાભ્યાસ કરી શકે.
આપણા સમાજમાં પૈસાની કમી નથી. ઉત્સવો અને અન્ય કાર્યોમાં
૫૪
પરિશિષ્ટ-પ
ઉદારતાપૂર્વક ખર્ચ કરવામાં આવે છે. ધર્મકાર્યો પણ યોગ્ય સમય અને યોગ્ય ક્ષેત્ર અનુસાર ચાલી રહ્યાં છે, પરંતુ એ બધામાં આ કાર્ય તો અતિ મહત્ત્વનું છે. આ દિશામાં સ્થાનકવાસી શ્રીસંઘે મુંબઈ-ઘાટકોપરમાં શ્રમણી વિદ્યાપીઠની સ્થાપના કરીને અત્યંત સુંદર કાર્ય કર્યું, જે પ્રશંસનીય અને અભિનંદનીય છે.
આજકાલ ગૃહસ્થ પોતાનાં બાળકોને અભ્યાસાર્થે બોર્ડિંગ, પાઠશાળા, કૉલેજો તેમજ છેક વિદેશ સુધી મોકલે છે. પૂજ્ય સાધ્વીજી મહારાજ પણ પોતાની શિષ્યાઓને વિદુષી બનાવવા માટે ૨૦-૨૫ અથવા ૫૦-૧૦૦ માઈલ દૂર કેમ ન મોકલે ? જેનાથી એમનું જીવન મહાન થાય, સંઘનું હિત સધાય અને દેશમાં ધર્મપ્રચારના ઉપકારનો લાભ મળે.
અભ્યાસાર્થી સાધ્વી સંઘના ગુરુ-સાધ્વીજી મહારાજોને આ મારી વિનમ્ર વિનંતી છે.
(વિજયાનંદ, જાન્યુઆરી, ૧૯૮૮, પૃ. ૪૩)
લેખ-૩ શ્રાવકનું કર્તવ્ય
જૈનભારતી, મહત્તરા શ્રી મૃગાવતીજી દ્વારા ૧૯૭૭ની ૧૧મી જુલાઈએ મોહનદેઈ (હાલ લુધિયાણા)માં આપવામાં આવેલા પ્રવચનનો સાર વિજયાનંદના ૧૯૮૪ એપ્રિલના અંકમાં પ્રકાશિત થયો હતો. આમાં શ્રાવકની ગુણસમૃદ્ધિની સરળ છતાં માર્મિક ચર્ચા કરી છે.
ધર્માનુરાગી ભાઈઓ અને બહેનો,
આજના વ્યાખ્યાનમાં શ્રાવકના ગુણોનું વર્ણન કરવામાં આવશે. સૌ પ્રથમ તો એ જાણીએ કે સાચો શ્રાવક કોને કહેવાય ? સાચા શ્રાવકની પરિભાષા શી છે અને એનું કર્તવ્ય શું છે ?
સાચો શ્રાવક સદૈવ ધર્મમાં તત્પર રહે છે. મન, વચન અને કાયાથી એ સહુનું ભલું ઇચ્છનારો હોય; એની વાણી એવી મીઠી હોય કે જેના શ્રવણથી પ્રત્યેક વ્યક્તિના હૃદયને ટાઢક મળે અને જે વાણી સહુનું હિત, મિત અને પ્રિય કરનારી
૫