Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સાધુતાની સુવાસ
સાંજે પ્રતિક્રમણ શ્રાવિકાઓ અને શ્રમણી મંડળ સાથે મળીને કરતા હતા. પ્રતિક્રમણ કરતી વખતે છ આવશ્યક પૂર્ણ થઈ જાય ત્યાં સુધી મૌન રહેતા અને રાત્રે પ્રતિક્રમણ થઈ જાય પછી કોઈ શ્રાવકને મળતા નહીં. ધર્મક્રિયાઓ અને સંયમ આરાધનાની ક્રિયાઓ સમયસર થવી જ જોઈએ એવો એમનો આગ્રહ હતો. સવારની માળાનો જાપ સવારે જ કરવો. સાંજની માળાનો જાપ સાંજે જ કરવો. જો સવારે વિહાર હોય તો પણ બધું કરીને જ વિહાર કરવો. રાત્રે વ્યાખ્યાન આપવું નહીં અને રાત્રી સમયે યોજાતા કોઈપણ પ્રકારના સમારોહમાં ભાગ લેવો નહીં. ચાતુર્માસના સ્થળેથી સંયમનિર્વાહની આવશ્યક વસ્તુઓ ન વહોરવી અને જો ક્યારેક લેવી પડે તો અલ્પમાત્રામાં જ લેવી. વિહાર સમયે શ્રીસંઘને કોઈ બિનજરૂરી ખર્ચ કરાવવો નહીં. સાધ્વીજી શ્રીસંઘની સતત કાળજી લેતા અને પોતાને નિમિત્તે એમને ઓછામાં ઓછી જવાબદારી આપતા.
દરરોજ એકસો ગાથાનો સ્વાધ્યાય પોતે કરતા અને શિષ્યાઓને કરાવતા. શિષ્યાઓના ઉત્કર્ષની સદા ખેવના રાખતા. નવદીક્ષિત સાધ્વીઓને દસ વર્ષ સુધી ગોચરી માટે જવા દેવી નહીં, એમને જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, મૌન, વિવેક વગેરે શીખવતા.
સાધ્વીજી આરંભ-સમારંભથી સદાય અળગા રહેતા. એમનો પત્રવ્યવહાર અત્યંત અલ્પ હતો. તેઓ ક્યારેય પોતાના સમાચાર લખતા નહીં, તેઓ પોતે ન લખે, પોતાની નાની સાધ્વીઓ પાસે પણ ન લખાવે અથવા તો શ્રાવકશ્રાવિકાઓ પાસે પણ લખાવતા નહીં. વળી એ ક્યારેય પોસ્ટથી પાર્સલ મંગાવતા અથવા મોકલતા પણ નહીં. પોતાના નામના કોઈ લેટરપેડ, આંતરદેશીય પત્ર કે પોસ્ટકાર્ડ પણ છપાવતા નહોતા. ક્ષમાપનાની પત્રિકા કે દિવાળી કાર્ડ જેવા કોઈપણ કાર્ડ તેઓ છપાવતા નહીં અને એ અંગે બિનજરૂરી ખર્ચ બંધ કરવાનો આગ્રહ સેવતા. ૫૦ વર્ષની ઉંમર સુધી એમણે પોતાનો એકલાનો ફોટો કોઈને પાડવા દીધો નથી.
ઈ. સ. ૧૯૫૫માં પ્રવેશ સમયે લુધિયાણાના શ્રીસંઘે બૅન્ડનો ઉપયોગ કર્યો હતો. એ પછી તેઓ નાનાં નાનાં ગામોમાં પધારતા, ત્યાં પણ આવો ઉપયોગ થવા લાગ્યો, ત્યારે એમણે આ વ્યર્થ ખર્ચને રોકવા માટે નિયમ કર્યો કે ગામમાં પ્રવેશ થાય ત્યારે બેન્ડવાજા વગાડવા દેવા નહીં.
સાધ્વીજીના જીવનમાં સહજતા હતી. કશુંય દબાણપૂર્વક, દમનથી કે લેશમાત્ર આગ્રહથી થાય નહીં તેની સાવધાની રાખતા. આથી ક્યારેય કોઈને બાધા લેવા માટે બળપૂર્વક આગ્રહ કરતા નહીં. તેઓ માનતા હતા કે કોઈને અનિચ્છાએ અથવા તો આગ્રહ કે હઠથી પચ્ચકખાણ આપીએ, તો તે પચ્ચક્ખાણ ટકતા નથી. આથી પચ્ચક્ખાણ આપવાના હોય કે દાન માટે પ્રેરણા આપવાની હોય તો તે બધામાં તેમના પ્રેમનો સ્પર્શ અનુભવાતો. જે કંઈ કરવું, તે સહજ રીતે થાય તે રીતે કરવું, સાચા દિલથી કરવું, ખરા ભાવથી કરવું. અનિચ્છાએ કે પરાણે કરવું નહીં.
બજારની બધી વસ્તુઓ - મીઠાઈ, આટો, મેંદો, સોજી, બેસન વગેરેનો આજીવન ત્યાગ કર્યો હતો. પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખવી અને દવાને બદલે દુવા, પ્રભુપ્રાર્થના, સંતોના આશીર્વાદ અને લોકોની શુભકામના પર વધુ વિશ્વાસ રાખવો.
આ રીતે સાધ્વીજીએ અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા, પરંતુ એમનું જીવન કોઈ આક્રોશ કે આવેગને બદલે પ્રસન્નતાથી ભર્યું ભર્યું રહ્યું. તેઓ જે કોઈ કાર્ય હાથમાં લેતા તેમાં લીન થઈ જતા અને એ પૂર્ણ થાય ત્યારે જ પગ વાળીને બેસતા.
એમની પાસે શીધ્ર નિર્ણયશક્તિ, દઢ સંકલ્પશક્તિ, અખૂટ સાહસિકતા અને કાર્ય પરત્વે આશાવાદી દૃષ્ટિકોણ હતો. એ ગાંધીજીની ભાવનાઓને જીવનમાં સાકાર કરતા હતા, પણ વખત આવ્યે અશક્ય કે અન્યાયના પ્રતિકાર માટે પૂરા જોશથી ઝઝૂમી લેતા હતા. સદા મધ્યસ્થ ભાવમાં રહેતા. સાધ્વીજીને વિદ્વાનો, કલાકારો, સાહિત્યકારો જેવા કલાસાધકો પ્રત્યે ઘણો આદર હતો તો બીજી બાજુ દીન, દુઃખી, રોગી કે અસહાયને સહાય કરવા માટે પોતાની મેળે સદાય તત્પર રહેતા.
કોઈની અતિશયોક્તિભરી પ્રશંસા કે કટુ નિંદા કરવાની આત્યંતિકતાથી હંમેશાં દૂર રહેતા. એથીય વિશેષ મધ્યસ્થભાવે રહીને સત્ય પારખીને સત્યનો પક્ષ લઈને ધર્મના ગહન ઊંડાણ સુધી જતા. કોઈપણ મહકાર્ય સિદ્ધ થાય, ત્યારે એ એટલું જ કહેતા કે “આને પ્રભુ
- પલ્પ