Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
૧૯૬૭ના ચાતુર્માસમાં મુંબઈના પાયધૂની ખાતે શ્રી નમિનાથજીના ઉપાશ્રયમાં તેઓ પાટ પર બેસીને વ્યાખ્યાન આપતા હતા અને મોટી સંખ્યામાં જનસમુદાય વ્યાખ્યાન-શ્રવણ માટે આવતો હતો. આ સમયે જૈનસમાજના એક વર્ગે સાધ્વીજીથી પુરુષો સમક્ષ વ્યાખ્યાન આપી શકાય નહીં, એમ કહીને વિરોધનો વંટોળ જગાડ્યો અને નનામી પત્રિકાઓ પ્રકાશિત કરી. ભીરુ લોકો આવા જ માર્ગો અપનાવે ને !
એના પ્રત્યુત્તર રૂપે શાસ્ત્રીય પુરાવાઓ સહિત શ્રી રસિકભાઈ કોરાએ ‘ભગવાન મહાવીરે પ્રવર્તાવેલ સંસ્કૃતિના ખમીરના બળે જ સાધ્વી સમુદાય પોતાના અસ્તિત્વને ટકાવી શક્યો છે અને સાધ્વી શક્તિઓ જૈન ધર્મના પ્રચાર માટે વ્યાખ્યાન આપે’ એ પ્રકારનું તર્કબદ્ધ અને પુરાવા સહિતનું લખાણ તૈયાર કર્યું. આ લખાણ મહત્તરાજીને બતાવવામાં આવતાં એમણે કહ્યું કે લખાણમાં દર્શાવેલી શાસ્ત્રીય વાતો સર્વથા યોગ્ય છે, પરંતુ એનાથી આ વિરોધીઓ શાંત નહીં થાય. આનો કશો જ જવાબ આપવાની જરૂર નથી. આપણે તો આપણી શક્તિ અને સમયનો સદુપયોગ કરવાનો છે. આપણે ઘણું કામ કરવાનું છે, ધર્મઆરાધના કરવાની છે. આ વિરોધીઓ તો આપમેળે શાંત થઈ જશે. તેમની ચિંતા કરવી નહીં. વિરોધને વિનોદમાં પલટાવી નાખો. જીવનમાં સુખી થવાનો એક જ ઉપાય છે કે કોઈપણ વિવાદથી અળગા રહેવું અને ચિત્ત પર એનો કશો ભાર ન રાખવો. સત્કાર્યોની અનુમોદના અને તનાવમુક્ત જીવન જ આત્માને તારી શક્શે.'
સાધ્વીજીની આ વ્યાપક દૃષ્ટિને કારણે હિંદુ સમાજના કેટલાય ભાઈબહેનો એમના પરમ ભક્ત બન્યા અને જૈન ધર્મ પ્રમાણેના આચાર-વિચારનું પાલન કરવા લાગ્યા. એમણે માંસ, ઇંડા, દારૂ, સિગારેટ જેવાં વ્યસનોનો ત્યાગ કર્યો. સાધ્વીજીએ પંજાબની ધરતી પર વિચરણ કરતાં જોયું કે દહેજને કારણે સમાજ પાયમાલીને પામ્યો હતો. કન્યાના પિતાને દહેજમાં મોટી રકમ આપવાની થાય એટલે એ દેવું લઈને પણ એ રકમ આપે અને તેને પરિણામે પોતાની બાકીની જિંદગી દેવાના ડુંગર નીચે પસાર કરે. એ જ રીતે વર પક્ષના લોકો પણ દહેજની મોટી મોટી અપેક્ષા રાખે અને એ દહેજ ઓછું મળે તો એ કન્યાનો સંસાર મહેણાં, કટુવચનો, માર અને ત્રાસથી સળગાવી મૂકે. કેટલીય
૨૧૬
કરુણામયી કર્મયોગિની યુવાન સ્ત્રીઓ આને કારણે આત્મહત્યા કરતી હતી.
સાધ્વીજીએ જોયું કે સમાજ જો રૂઢિઓના બંધનમાં બંધાયેલો હશે તો એ ધર્મનું આચરણ ક્યાંથી કરી શકશે? જ્યાં ઘર ઘરમાં કલહ-કંકાસ અને દમન પ્રવર્તતા હોય, ત્યાં મૈત્રીભાવ, કરુણા કે માનવતાની કલ્પના ક્યાંથી કરી શકાય? આથી એમણે પંજાબમાં જડ ઘાલીને બેઠેલા દહેજ જેવા કુરિવાજોને તિલાંજલિ આપવા માટે પ્રચંડ જનજાગૃતિ સર્જી અને એક જુવાળ જગાવીને અનેક યુવકયુવતીઓને એમાં સામેલ કર્યા. આ યુવાનોએ લગ્ન સમયે દહેજ નહીં લેવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી. આપ્તજનના મૃત્યુ પાછળ દિવસોના દિવસો સુધી સ્ત્રીઓનું રડવા-કૂટવાનું ચાલતું હતું એ એમણે બંધ કરાવ્યું. લગ્નપ્રસંગે થતો ભાંગડા નાચ બંધ કરાવ્યો. ગરીબ વિધવાઓ અને સામાન્ય આર્થિક સ્થિતિના ગૃહસ્થોને સહયોગ આપવા માટે સાધર્મિક ફંડની ઠેર ઠેર સ્થાપના કરાવી. મહિલાઓ, પુરુષો, યુવાનો અને બાળકોમાં ઉત્તમ સંસ્કારો પ્રેરવા માટે ધાર્મિક શિક્ષણ શિબિરોનું આયોજન કર્યું. રાષ્ટ્રની સેવા માટે યુવાસંગઠન અને ધર્મની આરાધના માટે મહિલામંડળોને જાગ્રત કર્યાં અને ગુરુદેવસ્થાપિત શિક્ષણસંસ્થાઓને પગભર બનાવી. આમ સૌરાષ્ટ્રમાં જન્મેલા આ સાધ્વીજીએ પંજાબમાં સામાજિક સુધારા અને ધર્મભાવનાની નવી આબોહવા સર્જી.
જૈન તત્ત્વજ્ઞાનના ઝળહળતા શિખર સમા સ્યાદ્વાદને તેઓએ સહજ અને કુદરતી રીતે આત્મસાત્ કર્યો હતો. પોતાના ધર્મની સાથોસાથ અન્ય ધર્મના સદ્ગુણોની તેઓ પ્રશંસા કરી શકતા હતા. એમના વિચારોમાં ઉદારતા હતી, તો સાથોસાથ એમના વ્યવહારમાં પણ એ ઉદારતા પ્રગટ થતી હતી. એ ક્યારેય કોઈ વ્રત કે બાધા માટે આગ્રહ રાખતા નહીં. માત્ર ધર્મની આરાધના કરવાનું અને અમુક સમયે સ્વાધ્યાય કરવાનું માર્ગદર્શન આપતા હતા.
વળી એમને શિષ્યાઓ વધારવાનો મોહ નહોતો કે પ્રતિષ્ઠાની લેશમાત્ર
આસક્તિ નહોતી. પોતાના માતાગુરુ પ્રત્યે વારંવાર તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરતા હતા, પરંતુ એમનું કોઈ સ્મારક બનાવવાનો એમણે વિચાર સુદ્ધાં કર્યો નહીં. એમણે જે કંઈ કર્યું તે ગુરુવલ્લભના નામે અને પરમાત્માને નામે કર્યું.
પં. રૂપચંદ ભણસાલી નોંધે છે. ‘મને તો વારંવાર એ જ વિચાર આવે છે કે એ આત્મા કેટલો ઉચ્ચ હતો કે જેને ‘હું’ પદ કે ‘અહં’ની ભૂખ નહોતી.
૨૧૭