Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મ-ક્રાંતિના ઓજસ
પર્વાધિરાજ પર્યુષણમાં બારસાસૂત્રનાં પૃષ્ઠો દર્શાવવાની બોલી થતી ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજી કોઈ રકમની બોલી બોલાવવાને બદલે ધાર્મિક કાર્યોને અનુષંગે બોલી બોલાવતાં હતાં. કોઈ પણ પ્રકારની શુભ પ્રવૃત્તિ નહીં કરનારને શુભપ્રવૃત્તિ કરવાનો નિયમ આપતાં. રોજ પ્રભુદર્શન, નવકારશી, સામાયિક, સ્વાધ્યાય, મૌન વગેરેના નિયમો લેવડાવતાં. આ ઉપરાંત પાંચ તિથિએ કષાયનો, અસત્યનો, લોભનો, કૂડ-કપટનો, ક્રોધનો, કટુવાણીનો વગેરેમાંથી કોઈ એકનો ત્યાગ કરવાનું કહેતાં. હજી આજે પણ મૈસૂરના શ્રાવકોએ સાધ્વીજીએ શરૂ કરેલી શુભસંકલ્પની પ્રથા અવિરત ચાલુ રાખી છે.
મૈસૂર યુનિવર્સિટીના કુલપતિશ્રી કાલુરામ માલીની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિ ઊજવવામાં આવી. આ સમયે પંજાબથી પરમ ગુરુભક્ત લાલા રતનચંદજી અંબાલા કોલેજના વિદ્યાર્થીઓની મંડળી સાથે તથા પોતાના કુટુંબીજનોને લઈને આવ્યા હતા. રાત્રે ગુરુભક્તિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જોશ અને ઉત્સાહથી સુમધુર ભજનો રજૂ થયાં. પંજાબી ભક્તોની ઉત્કટ ભક્તિની અસર એટલી બધી પડી કે ઘરઘરમાં ગુરુ વલ્લભનાં ભજનો ગવાવા લાગ્યાં .
મૈસૂરનો આ મંગલમય ચાતુર્માસ પૂરો થતાં મૈસૂરથી વિહાર કરીને શ્રીરંગપટ્ટનમ થઈને મંડિયા પધાર્યા. ત્યાં ‘સમાજમાં સંપ અને શાંતિ' વિષયનું વ્યાખ્યાન સાંભળીને બધા ગદ્ગદ્ થઈ ગયા. ત્યાંના અતિ આગ્રહથી થોડીક સ્થિરતા કરીને ચેન્નપટ્ટણા થઈને રામનગર પધાર્યા, જ્યાં બેંગલુરુ શ્રીસંઘનો મોટો સમુદાય દર્શનાર્થે આવ્યો. કલકત્તાથી આવેલ શેઠ સવાઈલાલે આત્મવલ્લભ શીલસૌરભ ટ્રસ્ટમાં રૂ. પાંચ હજારનો લાભ લીધો.
આ સમયે સાધ્વીજીએ હલેબિડ, બેલૂર, કારકલ, ધર્મસ્થલ, મુડબિદ્રી આદિ દિગંબર તીર્થોની યાત્રા કરી. ધર્મસ્થળના દિગંબર જૈન રાજા વીરેન્દ્ર હેગડેજીએ પૂ. સાધ્વીશ્રીનો હાથી, ઘોડા, રથ વગેરે રાજકીય ઠાઠ સાથે ભવ્ય નગરપ્રવેશ કરાવ્યો. હાથીએ આવીને સલામી આપી. ધર્મસ્થલના રાજા શ્રી વીરેન્દ્ર હેગડે અને મુડબિદ્રીના ભટ્ટારક ચારકીર્તિજીએ એમના આગમન પ્રસંગે અપાર આનંદ વ્યક્ત કરવાની સાથોસાથ સામૂહિક વ્યાખ્યાનસભાનું પણ આયોજન કર્યું.
જિનશાસનની ચોમેર પ્રભાવના થઈ રહી. શ્રી હેગડેની ઉંમર ત્યારે ૨૨. વર્ષની હતી અને તેઓ અપરણિત હતા તથા બજારની વસ્તુઓનો તેમને ત્યાગ હતો. તેમના આ ત્યાગની પૂ. સાધ્વીજીએ ખૂબ સરાહના કરી. શ્રી હેગડેજી ભેટ આપવા માટે રૂપિયાનો થાળ ભરીને લઈ આવ્યા. તેમને જૈન સાધુના આચારવિચાર સમજાવ્યા પછી તેમણે મરકતમણિની સુંદર મનોહારી પ્રતિમા ભેટ આપીને પોતાની ખુશી વ્યક્ત કરી.
મુડબિદ્રીની યાત્રા દરમિયાન દિગંબર તીર્થોના જીર્ણોદ્ધાર કે તીર્થવિકાસને માટે સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાનાં પ્રવચનોમાં પ્રેરણા આપતાં સારી એવી ધનરાશિ એકઠી થઈ, જેનાથી દિગંબર ભટ્ટારક તથા દિગંબર જૈન વિદ્વાનોએ જણાવ્યું કે આ એક પરમ આશ્ચર્યની ઘટના કહેવાય કે દક્ષિણ ભારતમાં એક શ્વેતાંબર સાધ્વીની પ્રેરણાથી દિગંબર મંદિરો અને દિગંબર સંસ્થાઓ માટે સારી એવી ધનરાશિ એકત્રિત થાય, પણ સાધ્વીજીની પ્રભુભક્તિને કે જિનશાસનની આસ્થાને સાંપ્રદાયિકતાના સીમાડા ક્યાં નડતા હતા ! અનેકાંતવાદમાં તો સહુને આદર હોય. સામાને સમજવાનો સન્નિષ્ઠ પ્રયાસ હોય. દિગંબર વિદ્વાનો સાથે વાર્તાલાપ થયા. મુડબિદ્રીના ભટ્ટારક ચારુ કીર્તિજીએ મહાસતીજી સાથે વ્યાખ્યાન આપ્યું. કન્નડ ભાષાનાં અખબારોએ આ ઘટનાને બિરદાવી.
ઈ. સ. ૧૯૭૦માં બત્રીસમો ચાતુર્માસ બેંગલુરુમાં કર્યાં જ્યાં સંઘવી કુંદનમલજી અને શ્રી જીવરાજ જી ચૌહાણ વગેરેના પ્રયત્નોથી ઘણી રચનાત્મક પ્રગતિ થઈ શકી. યુગવીર જૈન આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજની પુણ્યતીર્થના ઉપલક્ષમાં બંગલુરુ વિશ્વ વિદ્યાલયના વાઇસ ચાન્સેલર પી. કે. તુકોલસાહેબ જૈન તત્ત્વજ્ઞાનના મર્મજ્ઞ પ્રોફેસર રામચંદ્ર રાવ વગેરેએ ગુરુ મહારાજના કાર્યોને ભાવપૂર્વક યાદ કર્યા પછી બેંગલુરુના ટાઉનહોલમાં ગુરુવલ્લભની જન્મશતાબ્દીનું આયોજન થયું, ત્યારે કર્ણાટકના રાજ્યપાલ ધર્મવીર અધ્યક્ષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને બૌદ્ધભિક્ષુ આર્ય બુદ્ધરક્ષિત થેરે પણ પધાર્યા હતા. આ સમયે ગુરુવલ્લભના આદર્શો વિશે દક્ષિણ ભારતના અખબારોએ વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી અને રાજ્ય સરકારે જન્મશતાબ્દી વિશે અઢી મિનિટનું દસ્તાવેજી ચિત્ર પણ તૈયાર કર્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે તેમને પ્રેમ અને શાંતિના દૂત તરીકે બિરદાવ્યા હતા. સાધ્વીજીએ
૦૪