Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ સાધ્વીશ્રીની ભાવના હતી કે વલ્લભસ્મારકના પ્રાંગણમાં શાસનદેવીની સ્થાપના થાય. તેનાથી આ સ્થાનમાં આવનારની ધર્મઆસ્થા દૃઢ બને. સાધ્વીશ્રીએ તીર્થકરોની પૂજા, અર્ચના અને વંદના પર સતત ઝોક આપ્યો, પરંતુ કેટલાક ધર્મમાર્ગથી વિમુખ થઈને અન્ય દેવોની અર્ચના કરનારને નિજધર્મ એવા જિનધર્મમાં સ્થિર કરવા માટે એમણે શાસનદેવી પદ્માવતીના મંદિરનું નિર્માણ કરાવ્યું અને દેવી પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરાવી, જેના પ્રમુખ લાલા રામલાલજી, કોષાધ્યક્ષ વિશમ્મરનાથજી અને મંત્રી મનમોહનજી બહુ સારી રીતે કર્તવ્ય બજાવ્યું. હાલ પ્રમુખ પરમ ગુરુભક્ત શ્રી રાજકુમારજી (ફરિદાબાદવાળા), મંત્રી શ્રી મનમોહનજી અને કોષાધ્યક્ષ શ્રી નવલભાઈ ખૂબ જ નિષ્ઠાથી કાર્ય સંભાળી રહ્યા છે.
માતા પદ્માવતીની અતિ મનોહારી પ્રતિમા જોનાર મંત્રમુગ્ધ બની જાય છે. એમની દિવ્યદૃષ્ટિ અને વાત્સલ્યપૂર્ણ મુખાકૃતિનાં દર્શન કરનારનાં નેત્ર અને હૃદયમાં એ આપોઆપ સમાઈ જાય છે. આ ભવ્ય પ્રતિમા અને મહારાજીના તપ, જપ અને સાધનાને કારણે આજે દૂર દૂરથી લોકો અહીં દર્શનાર્થે આવે છે. અને આ વાસ્તુકલાને અનુરૂપ એવા કલાત્મક મંદિરને જોઈને અપાર આંતરિક પ્રસન્નતા અનુભવે છે. પોષ વદ દશમીએ અહીં વાર્ષિક મેળાનું આયોજન થાય છે અને દર મહિનાની વદ દસમે અહીં મેળો ભરાય છે, જેમાં જૈન-જૈનેતર સહુ કોઈ શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે પધારે છે.
સ્મારક નિધિને માટે ૧૯૮૪ની ૧લી સપ્ટેમ્બરે સંસ્થાના મંત્રીશ્રી રાજ કુમાર જૈન સ્વ-ખર્ચ વિશ્વ પ્રવાસે નીકળ્યા અને ઠેર ઠેર જઈને સહુને સ્મારકના વિરાટ કાર્યની ઝાંખી આપી. શ્રી રાજ કુમાર જૈનની અપ્રતિમ ગુરુભક્તિનો સહુ કોઈને હૃદયસ્પર્શી અનુભવ થયો. વલ્લભ-સ્મારકના સર્જનકાર્યમાં આવી વ્યક્તિઓનું સ્વાર્પણ સહુને માટે પ્રેરક બને તેવું છે.
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં સતત એક ભાવના રહેતી હતી. એમણે જૈનસમાજમાં સાધ્વીઓને આગમોનો અભ્યાસ કરાવવા માટે આગ્રહ સેવ્યો હતો અને એ સમયમાં એમણે એમની આજ્ઞાનુવર્તી સાધ્વીઓને હસ્તપ્રતસંરક્ષણ અને ગ્રંથસંરક્ષણનું કાર્ય સોંપી દીધું. પૂ. સાધ્વીજી સુવ્રતાજી મ. તથા પૂ. સાધ્વીશ્રી સુયશાજી મહારાજે ત્રણેક વર્ષ દરમિયાન ૧૧,000 જેટલી
નવી પેઢીનું નૂતન તીર્થ હસ્તપ્રતો અને ગ્રંથોનું વર્ગીકરણ કર્યું. વિખ્યાત લિપિવિશેષજ્ઞ શ્રી લક્ષ્મણભાઈ ભોજ કે આ અંગે માર્ગદર્શન આપ્યું અને સાથોસાથ મહત્તરાજીએ સાધ્વી સુપ્રશાજીને અંગ્રેજી ભાષામાં અનુસ્નાતકની પદવી અપાવી, જેથી યુવાન પેઢીને એ ઉચિત માર્ગદર્શન આપી શકે. પોતાની સાધ્વીજીઓના જ્ઞાનવિકાસ અને અધ્યાત્મ-ઉત્કર્ષ માટે મહત્તરાજી સતત જાગ્રત અને પ્રયત્નશીલ રહેતાં હતાં.
વલ્લભસ્મારકને સાકાર કરવા માટે ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરીને મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજે જે કાર્ય કર્યું, તે નારી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ અંકિત થયું છે. આ તીર્થની માટીની રજેરજમાં એમની ધર્મભાવના, ઉત્કૃષ્ટ પુરુષાર્થ અને પ્રબળ આત્મબળનો અનુભવ થાય છે. વલ્લભસ્મારકનું આ સર્વગ્રાહી નવતીર્થ આવનારી નવી પેઢીને નૂતન પંથ બતાવશે અને નવીન ઇતિહાસનો પ્રારંભ થશે. એ જોઈને મહાન ગુરુનું સ્મરણ થશે, જેમના આશીર્વાદ લઈને આજે વલ્લભસ્મારક તીર્થ બન્યું છે..
સ્મારક ગહન જ્ઞાનની વિદ્યાપીઠ, વિરાટ નવીન તીર્થ અને લોકકલ્યાણનું કેન્દ્ર બની રહ્યું. આવા ત્રિવેણીસંગમને કારણે સહુ કોઈ અહીં પોતાની ભાવનાનું ભાતું લઈને પાવન થવા માટે આવવા લાગ્યા.
૧૯૮પના જાન્યુઆરી મહિનામાં નવી દિલ્હીમાં યોજાયેલી ત્રીજી આંતરરાષ્ટ્રીય જૈન કોન્ફરન્સના અધિવેશનમાં ભાગ લેવા આવેલા વિદ્વાનોએ વલ્લભસ્મારકની મુલાકાત લઈને પ્રસન્નતા પ્રગટ કરી. સાધ્વીશ્રીને સહુ કોઈની ચિંતા હતી. વિરાટ નિર્માણની સાથે સામાન્યમાં સામાન્ય માનવી તરફ એમની અનુકંપા વહેતી હતી. આસપાસના ગ્રામજનો કે જિનાલયમાં કાર્યરત શિલ્પીઓ કે કારીગરોને કઈ રીતે ભૂલી શકે ? એમણે અહીં કાર્ય કરતા શિલ્પીઓ અને આસપાસના ગ્રામજનોને ચિકિત્સાનો લાભ મળે તે માટે ચિકિત્સાલયનો પ્રારંભ કરવાની પ્રેરણા આપી. લાલા ધર્મચંદજી ભાભુએ આની જવાબદારી સ્વીકારી અને થોડા જ સમયમાં વલ્લભ સ્મારકના પ્રાંગણમાં ૧૯૮૫ની પંદરમી જૂને ‘શ્રી આત્મવલ્લભ ધર્મ જ શવંત મૅડિકલ ફાઉન્ડેશન' સંચાલિત ‘વિજયવલ્લભ જૈન હોમિયોપેથિક ઔષધાલય'નો લાલા ધર્મચંદના હસ્તે શુભારંભ થયો. સ્મારકમાંથી સદા સેવા, શિક્ષા અને સાધનાની ત્રિવેણી વહેતી રહેવી જોઈએ.