Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
એ પછી યુગદ્રષ્ટા કલિકાલકલ્પતરુ જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના સ્વર્ગારોહણનો દિવસ અહીં ઊજવવામાં આવ્યો. કારતક સુદ બીજના દિવસે ગુરુ મહારાજનો જન્મદિવસ ઊજવવામાં આવ્યો. સાધ્વીજી મહારાજની એ વિશેષતા હતી કે એ આવા કાર્યક્રમ માટે કોઈ રાજકીય નેતાને તેઓ વિનંતી કરતાં નહીં. એમને નિમંત્રણ સુધ્ધાં પાઠવતાં નહીં, હકીકતમાં અગ્રણી નેતાઓ સાધ્વીજીની પાછળ એમને શોધતા શોધતા આશીર્વાદ લેવા આવતા હતા.
બેસતા વર્ષની પરોઢે પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ પ્રભુદર્શન માટે દેરાસરમાં ગયાં હતાં. એ સમયે એક કાર્યકરે આવીને સમાચાર આપ્યા કે આ પ્રદેશના શિક્ષણમંત્રી શ્રી દોલતસિંહજી ચૌહાણ સ્વયં એમને મળવા આવ્યા છે. પૂ. સાધ્વીશ્રી મહત્તરાજી અત્યંત શાંતિ અને ભાવપૂર્વક પ્રભુદર્શન કરતાં હતાં. ક્યારેય એમાં સહેજે ઉતાવળ કરતાં નહીં. દેરાસરમાંથી દર્શન કરીને તેઓ બહાર આવ્યાં ત્યારે શ્રી દોલતસિંહજી ચૌહાણે કહ્યું, ‘મહારાજશ્રી, આપના દર્શને આવ્યો છું. નૂતન વર્ષના આશીર્વાદ લેવા આવ્યો છું.'
મહારાજશ્રીએ એમને આશીર્વાદ આપ્યા અને એ પછી તો બંને વચ્ચે ઘણા લાંબા સમય સુધી વાર્તાલાપ ચાલ્યો.
સાધ્વીજીનાં તેજ અને તપનો પ્રભાવ સતત વિસ્તરતો હતો. હિમાચલ પ્રદેશના આ સુમસામ નિર્જન વનમાં માનવ મહેરામણ ઊભરાવા લાગ્યો. ઇતિહાસવિદો અને સંશોધકો આ પ્રદેશના જૈન અવશેષો અને એના પ્રાચીન ઇતિહાસનું પ્રમાણભૂત સંશોધન કરવા લાગ્યા.
વર્ષાકાલીન ચાતુર્માસ વીતી ગયો, પણ શ્રાવકોએ સાધ્વીજી અને તેમના સમુદાયને અન્ય પ્રદેશમાં વિહાર કરીને જવા દીધાં નહીં. એમની ઇચ્છા તો એમના સાન્નિધ્યમાં જ કાંગડા તીર્થના નૂતન જિનાલયનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરાવવાની હતી. સહુએ આદરપૂર્વક કહ્યું કે આપશ્રીએ અહીંની ગ્રીષ્મ અને વર્ષાઋતુનો આનંદ મેળવ્યો છે. હવે હિમાલયની ગોદમાં આવેલા આ તીર્થના કડકડતા શિયાળાનો આનંદ મેળવો, તો સારું. પ્રકૃતિ શીતકાળમાં સાવ અનોખું રૂપ ધારણ કરે છે.
ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયઇન્દ્રદિસૂરિજી મહારાજની નિશ્રામાં બટાલાથી કાંગડાદાદાની યાત્રાએ પંજુ શાહ ધર્મચંદ નારવાલીયા તરફથી
* ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! - પગપાળા ચતુર્વિધસંઘ નીકળ્યો. કાંગડા પહોંચીને ૧૯૭૯ની ૧૦મી ફેબ્રુઆરીએ સવારના સવા આઠ વાગે ગુરુભક્ત રાયસાહેબ રાજ કુમારના હાથે કાંગડાના આ પ્રાચીન જૈનતીર્થમાં નૂતન જિનાલયના ભૂમિખનનનું કાર્ય સિદ્ધ થયું. મધ્યાહ્ન ૧૨-૩૯ના વિજય મુહૂર્ત વિશાળ જનમેદનીના જયજયકારની વચ્ચે બાબુ રિખબદાસના શુભહસ્તે શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો. પછી ફાગણ માસમાં હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને જૈન વિદ્વાન તથા વિચારક શ્રી ટી. યુ. મહેતાની અધ્યક્ષતામાં અહીં હોરી મેળો ઊજવવામાં આવ્યો.
એક સાધ્વીજીના દૃઢ સંકલ્પના પ્રભાવનો સહુને પ્રત્યક્ષ અનુભવ થયો. પૂ. મૃગાવતીશ્રીજી મહારાજે ગુરુભક્ત શ્રી ઉમેદમલ જૈનને લખેલા એ શબ્દો યાદ આવે છે, ‘કાંગડા તીર્થની ભક્તિ મારા હૃદયમાં છે. તીર્થભક્તિ કરતાં મારું કલ્યાણ થાય તેમ હું ઇચ્છું છું.’ એમનાં જપ અને તપની શક્તિનો સમાજને ખ્યાલ આવ્યો. ગુરુ પ્રત્યેની અગાધ આસ્થાનો પરિચય મળ્યો અને એક ઐતિહાસિક પ્રાચીન જૈન મંદિરનો પુનરુદ્ધાર થયો. ભક્તજનોની સુવિધા માટે ધર્મશાળાનો વિકાસ કરવામાં આવ્યો અને નૂતન જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું. સહુકોઈના હૃદયમાં આનંદની અપાર હેલી ચડી હતી.
એ પછી પણ આ પરંપરા ચાલુ રહી અને મહત્તરા સાધ્વીજી કાળધર્મ પામ્યા બાદ એમની જ પાવન પ્રેરણાના બળે એમનાં સુશિષ્યા પરમવિદુષી સુવ્રતાજી મહારાજે જિનમંદિરના નિર્માણમાં પૂર્ણ યોગદાન આપ્યું. આચાર્યશ્રી વિજયઇન્દ્રદિક્ષસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી સાધ્વીશ્રી સુવ્રતાજી, સાધ્વીશ્રી સુયશાજી અને સાધ્વીશ્રી સુપ્રજ્ઞાજીએ દિલ્હીથી ઉગ્ર વિહાર કરીને શારીરિક કષ્ટોની પરવા કર્યા વિના ૧૯૮૯નો ચાતુર્માસ કાંગડામાં કર્યો અને સમગ્ર નિર્માણ કાર્યને તીવ્ર ગતિ પ્રદાન કરી.
ચાતુર્માસ અને કાંગડા તીર્થનાં પ્રતિષ્ઠા કાર્યોમાં કાંગડા સમિતિના પ્રમુખ શ્રી યશપાલજી, મંત્રીશ્રી કમલકિશોરજી, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રકુમારજી, હોશિયારપુરના શ્રીસંઘના પ્રમુખ અભિલાષકુમારજી વગેરેએ તન, મન અને ધનથી પોતાનો સંપૂર્ણ સહયોગ આપ્યો. બાળપણથી જ મધુર સ્વરે ભજનોનું ગાન કરતાં શ્રી કમલકિશોરજી તો આજે પણ સાધ્વીશ્રી મૃગાવતીજી પ્રત્યે અડગ શ્રદ્ધા અને ઉત્કૃષ્ટ ભક્તિ ધરાવે છે.
૧ve
૧૪
=