Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
સમન્વયાત્મક સાધુતા
પ્રેરણાની પાવનમૂર્તિ કલ્પસૂત્રની બોલી બોલીને ખૂબ શ્રદ્ધાથી કલ્પસૂત્ર પોતાના ઘેર લઈ ગયા. બહેન રામપ્યારી થાપર તો અહીં એટલા ભાવવિભોર થઈ ગયા હતા કે રામ-રામ જપતાં જપતાં પોતાના હાથે કાંતેલા સૂતરથી બનાવેલ શુદ્ધ ખાદીની ચાદર તેમણે અત્યંત શ્રદ્ધાથી પૂ. સાધ્વીજીને વહોરાવી. સાધ્વીશ્રી મૃગાવતીજીની વ્યાખ્યાનધારાએ જનજનના હૃદયમાં નવી પ્રેરણા અને ભાવનાઓ જગાડી. ધર્મસંસ્થાઓ પણ એમની વ્યાખ્યાનવાણી સાંભળવા માટે આતુર રહેતી.
લુધિયાણામાં આવેલી સી.એમ.સી. ક્રિશ્ચિયન હૉસ્પિટલના ટ્રસ્ટીઓએ પુ. સાધ્વીશ્રીને વ્યાખ્યાન આપવા માટે નમ્ર વિનંતી કરી. સાધ્વીશ્રી વ્યાખ્યાન આપવા માટે ગયાં, ત્યારે જૈન-જૈનેતર શ્રોતાઓની ભીડ જામી હતી. સાધ્વીશ્રીએ જોયું કે હૉસ્પિટલમાં દર્દીઓનાં સગાંવહાલાંને માટે બેસવાની કોઈ વ્યવસ્થા નહોતી, બળબળતા તાપમાં કોઈ વૃક્ષનો છાંયો શોધીને તેઓ સૌ બેઠા હતા. આવી દયાર્દ્ર પરિસ્થિતિએ સાધ્વીશ્રીના કરુણાસભર હૃદયને ભીંજવી દીધું. એમણે એ સમયે માનવહૃદયની કરુણા અને સેવાભાવના વિશે એવી માર્મિક વાતો કરી કે વ્યાખ્યાન પૂર્ણ થતાં જ લોકોએ નાણાંનો ધોધ વરસાવ્યો અને દૂર દૂરથી દર્દીઓ સાથે આવેલા એમના સંબંધીઓ માટે આશીર્વાદરૂપ શેડ બની ગયો.
રક્ષાબંધનના દિવસે આર્યસમાજ મંદિરમાં વ્યાખ્યાન આપતી વખતે આ મંગલદિવસની પવિત્રતાનો ઉપદેશ આપ્યો અને લોકોને વ્યસનનાં દૂષણો છોડવાનું એવી રીતે સમજાવ્યું કે કેટલાય શ્રોતાજનોએ સિગારેટ, બીડી અને દીવાસળીની પેટીનો ઢગલો ખડકી દીધો અને સાધ્વીજી સમક્ષ નિર્બસની થવાની પ્રતિજ્ઞા લીધી. સાધ્વીશ્રી મૃગાવતીજીને સંગીતમાં ઊંડી રુચિ હતી. એ કલા ખીલે અને એમાંથી પ્રભુભક્તિ પ્રગટે તે માટે લુધિયાણામાં વીરસંગીત મંડળની સ્થાપના કરી.
શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલ લુધિયાણાના નવા ભવન માટે પહેલી જાન્યુઆરી ૧૯૫૬ના વ્યાખ્યાનમાં અપીલ કરવામાં આવેલી ત્યારે ચારે બાજુથી રૂપિયાનો વરસાદ થયો. મહિલાઓ વીંટી, ચૂડી, ચેઇન, કડા જેવા પોતાનાં આભૂષણો ઉતારીને આપવા લાગી. એંસી હજાર રૂપિયા ભેગા થયા. (તે વખતે
સોનાનો ભાવ સો રૂપિયે તોલાનો હતો). લોકોએ લક્ષ્મી અને સરસ્વતીનો મેળાપ જોયો. એક બાલ સાધ્વીનું આટલું મહાન કાર્ય ! સૌ દંગ થઈ ગયાં. મહાસભાના મહારથીઓ જે મૃગાવતીજીને બાલ સાધ્વી સમજતા હતા, તેઓ સ્તબ્ધ બની ગયા. વલ્લભ-સ્મારક દિલડી માટે પાંસઠ હજાર રૂપિયાનાં વચન મળ્યાં. લુધિયાણાનો સંધ ધન્ય ધન્ય થઈ ગયો.
લુધિયાણાની હાઈસ્કૂલના નિર્માણ સમયે મોટા મોટા ઉદ્યોગપતિઓનાં બાળકો, ભાઈઓ, બહેનો વગેરેએ પણ શ્રદ્ધાપૂર્વક શ્રમદાન કર્યું હતું. તે સમયના ઓસવાલ પરિવારના અગ્રણી ઉદ્યોગપતિ જાપાનીબાબુ લાલા અમરનાથજી પોતાનું ભોજન સાથે લાવીને ખરા બપોરે ત્યાં ઉપસ્થિત રહીને દોરવણી આપતા હતા. ઈ.સ. ૧૯૬૦માં લુધિયાણાની હાઈસ્કૂલના મકાનના બાંધકામ માટે સિમેન્ટની થેલીઓની જરૂર હતી, ત્યારે સાધ્વીજીએ બહેનોને અપીલ કરી કે તમે મેકઅપ કરવા માટે ચહેરા પર પાવડર લગાવો છો, તેની કિંમત છ રૂપિયા છે. સ્કૂલને પણ ‘મેકઅપ' કરવાની જરૂર છે, તો દરેક બહેન એક-એક પાવડરના ડબ્બાનો લાભ લે. આવી અપીલ કરતાં જ સિમેન્ટની બોરીઓના ઢગલે ઢગલા થવા લાગ્યા અને અડધા કલાકમાં તો સ્કૂલના ‘મેકઅપ' માટેનો સઘળો સામાન (સિમેન્ટ) એકઠો થઈ ગયો!
લુધિયાણામાં ચાતુર્માસ કરીને હોશિયારપુર, ભાખરાનાંગલ થઈને રોપડ આવ્યા, જ્યાં ઉપાશ્રયનો શિલાન્યાસ કર્યો. ત્યાંથી માલેર કોટલા, લુધિયાણા, જીરા આવ્યા. જીરામાં ઈ. સ. ૧૯૫૮માં કીર્તિસ્તંભનું ઉદ્ઘાટન કર્યું અને પંજાબ જૈન યુવક સંમેલનનું આયોજન કર્યું. લુધિયાણામાં સંક્રાંતિમાં પંજાબ જનસંઘના મહામંત્રી વીર યજ્ઞદત શર્મા પધાર્યા. મહાવીર જયંતીની ઉજવણી પણ ખૂબ ઉલ્લાસથી થઈ. મહાવીર જયંતી ઉજવીને અંબાલા આવ્યા.
જેઠ સુદ ૮ પછી ૨૯મી મેએ અંબાલાથી વિહાર કરીને લાલડું ડેરાબસી, પંચકુલા, કાલકા થઈને પૂ. માતાગુરુ અને પૂ. સુજ્યેષ્ઠાશ્રીજી સાથે પૂ. સાધ્વીજી કસૌલી પધાર્યા. કસૌલીમાં અંગ્રેજોના સમયમાં એક મોરીસ હોટલ હતી ત્યાં બેંક થઈ. પછી કોઈ અગ્રવાલ શેઠે લાકડાની બનેલી એ વિશાળ જગ્યા ખરીદી લીધી. ત્યાં પંદર દિવસની સ્થિરતા દરમિયાન અહિંસા, વિશ્વપ્રેમ, ભ્રાતૃભાવ વગેરે