Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ સાધ્વીશ્રીનો સંત વિનોબા સાથે લુધિયાણામાં વિરલ મેળાપ થયો. રાષ્ટ્રસંત વિનોબાજી સાથેના એ મેળાપ સમયે ઘણી ધર્મવાર્તા થઈ. સંત વિનોબાજી જુદ્ધ જુદા ધર્મો વિશે ઊંડું અને વ્યાપક જ્ઞાન ધરાવતા હતા. તેઓએ જૈન ધર્મનો પણ ઘણો અભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે વિનોબાજીએ સાધ્વીશ્રીને એમ કહ્યું કે ‘મને ભગવાન બુદ્ધ અને એમની કરુણાની ભાવના તરફ અત્યંત આદર છે પરંતુ જ્યારે ભિખુ આનંદ ગૌતમ બુદ્ધને કહ્યું કે, ‘ભન્ત, ગૌતમી તો આપની માસી (મા સી એટલે મા જેવી) છે, તો આપ એને દીક્ષા આપો.' આ સમયે ભગવાન બુદ્ધે કહ્યું હતું કે ‘આનંદ, તારા કહેવાથી ગૌતમીને દીક્ષા આપું છું. પણ મને બહેનોને દીક્ષા આપવાની બાબતમાં આશંકા રહે છે.' આ પ્રસંગનો ઉલ્લેખ કરીને સંત વિનોબાજીએ સાધ્વીજીને કહ્યું, ‘આનાથી ભગવાન બુદ્ધનું મહત્ત્વ કંઈ ઓછું થતું નથી. પરંતુ આ બાબતમાં ભગવાન મહાવીર તદ્દન નીડર અને સર્વથા નિર્ભય હતા. એમણે ચંદનબાળા જેવી દાસી કે જે એક સમયે રાજ કુમારી હતી તેને નિર્ભયતાથી દીક્ષા આપી અને તે ચંદનબાળાને છત્રીસ હજાર સાધ્વીજીઓની અગ્રણી બનાવી.'
એ પછી સમગ્ર દેશમાં ભૂદાનયાત્રા કરનાર સંત વિનોબાએ કહ્યું, ‘એ સમયથી શરૂ થયેલી પરંપરા આજપર્યત અવિરતપણે ચાલુ છે. હું તો સમગ્ર દેશમાં પદયાત્રી કરું છું અને એ સમયે દેશના ખૂણે ખૂણે જૈન સાધ્વીઓને નીડર અને નિર્ભય બનીને જ્યારે વિચરતાં જોઉં છું ત્યારે મને ભગવાન મહાવીરની યાદ તાજી થઈ જાય છે. કેવા વિકટ સમયે ભગવાન મહાવીરે કેવું વીરતાભર્યું પગલું ભર્યું હતું.' આટલું કહેતાં તો સંત વિનોબાજીની આંખો ભીની થઈ ગઈ અને મહાવીર પ્રત્યેની એમની અભુત શ્રદ્ધા જોવા મળી.
પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી સાથેની વાતચીતમાં એમણે એમ પણ કહ્યું, અહિંસા, તપ વગેરે તો બધાય ધર્મોમાં છે, પણ જૈન ધર્મ અને મહાવીરની વિશેષતા એમના અનેકાંતના વિચારમાં છે. આ અનેકાંતની દૃષ્ટિ દ્વારા માનવી પોતાના ઘરથી માંડીને સમગ્ર વિશ્વના ઝઘડાઓ સમાપ્ત કરી શકે તેમ છે.
એ પછી લુધિયાણામાં સાધ્વીજીના સ્વાગતની ભવ્ય તૈયારી કરવામાં આવી. ૧૯મા ચાતુર્માસ માટે ૧૯૫૭ની ૩૦મી જૂન અને રવિવારે લુધિયાણામાં
સમન્વયાત્મક સાધુતા પ્રવેશ કર્યો. આ ચાતુર્માસની દરેક પ્રવૃત્તિમાં શ્રીસંઘના પ્રમુખ લાલા ફગ્ગમલજી, લાલા હંસરાજજી ખાનગાડોગરાં(આ ગામ અત્યારે પાકિસ્તાનમાં છે)વાલે, શ્રી દીપચંદજી ધોડેવાલે વગેરે કાર્યકર્તાઓનું મહત્ત્વનું યોગદાન હતું. શ્રી આત્માનંદ જૈન મહાસભાના મહામંત્રી અને ‘વિજયાનંદ પત્રિકા'ના સંપાદક શ્રી બલદેવરાજજીએ સાધ્વીશ્રીના લુધિયાણાના પ્રત્યેક પ્રસંગે સંધમાં ધર્મકાર્યોમાં અપૂર્વ સહયોગ આપ્યો.
અહીં શ્રાવિકા જસવંતીબહેનના પતિનું અવસાન થતાં તેમનું જીવન ઘરની ચાર દીવાલોમાં સમેટાઈ ગયું હતું. આ સમયે સાધ્વીશ્રી મૃગાવતીજીએ એમને કુરિવાજોના બંધનમાંથી બહાર આવીને સક્રિય કાર્ય કરવા માટે પ્રેરણા આપી અને એનું પરિણામ એ આવ્યું કે શ્રી આત્મવલ્લભ જૈન શ્રાવિકા સંઘના એક નિષ્ઠાવાન અને નિઃસ્વાર્થ પ્રમુખ તરીકે એમણે ધર્મ અને સમાજનાં ઘણાં કાર્યો સુપેરે પાર પાડ્યાં અને શિરોમણિ સંઘનું સારી રીતે સંચાલન કર્યું.
લુધિયાણામાં ઉપાશ્રયને બદલે ખુલ્લા વિશાળ મેદાનના મંડપમાં પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું. ચારે બાજુ વિશાળ દૃષ્ટિ ધરાવતા સાર્વજનિક ભાષણોનો ડંકો વાગી ગયો. પ્રવચનોમાં જૈનો ઉપરાંત અન્ય ધર્મનાં ભાઈબહેનો મોટી સંખ્યામાં આવતાં હતાં. લુધિયાણા પર સાધ્વીજી મહારાજ છવાઈ ગયાં.
અનેક આર્યસમાજી સંસ્થાઓ, સનાતન ધર્મસભા વગેરે તરફથી પોતપોતાનાં સ્થાનોમાં બપોરનાં પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું. સાથોસાથ દહેજની કુપ્રથા દૂર કરવા આંદોલન ચલાવવામાં આવ્યું અને આર્યસમાજી નેતા મહાશય શ્રી કિશોરીલાલને એનું નેતૃત્વ સોંપવામાં આવ્યું.
સાધ્વીજી મહારાજનાં આત્મલક્ષી વ્યાખ્યાનો, સામાજિ ક કાર્યો અને ગુરુ પ્રત્યેની અગાધ ભક્તિની સુવાસ પંજાબનાં અનેક શહેરો અને ગામોમાં ફેલાઈ ગઈ. એમનાં વ્યાખ્યાનોમાં વધુ ને વધુ જનમેદની એકઠી થતી હતી અને એ વ્યાખ્યાનો સાંભળીને જૈન અને જૈનેતર સહુ કોઈ પોતાના જીવનમાં નવો પ્રકાશ પામતા હતા. સાધ્વીજીની પ્રેરણાથી પહેલી વાર અક્ષયનિધિ તપ યોજાયું. આ સિવાય પણ ત્યાં અનેક તપશ્ચર્યાઓ થઈ. સાધ્વીશ્રીની તપભાવનાની પ્રેરણારૂપે અક્ષયનિધિ તપ હજી પણ લુધિયાણામાં ચાલે છે. ગૌતમ હોઝીયરીવાળા ભાઈ