________________
પ્રો.નગીનભાઈ શાહ : સંસ્મરણો
નીલાંજના શાહ
માનનીય શ્રી નગીનભાઈ શાહ, કોલેજકાળ દરમિયાન જ ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કરવાની તીવ્ર જિજ્ઞાસાથી પ્રેરાઈને, તેમને લગતા ગ્રંથોનું અધ્યયન કરવાનું શરૂ કરી દીધું હતું. કોલેજમાંના અધ્યાપનકાળ દરમિયાન અને ખાસ કરીને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ, તેમણે તે દર્શનોને લગતાં પુસ્તકોનાં સંશોધન-સંપાદન કાર્યને જ જીવન સમર્પિત કર્યું છે, એમણે જે અમૂલ્ય યોગદાન કર્યું છે, તેને બિરદાવવા માટે શબ્દો ઓછા પડે છે.
પડ્રદર્શનોમાંના, સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક અને બૌદ્ધ - એ દર્શનો વિશે ગુજરાતીમાં એમણે જે પુસ્તકો લખ્યાં છે, તે આજે પણ અધ્યાપકોને, એ વિષયો પરના આદર્શ કહી શકાય તેવા માર્ગદર્શક ગ્રંથોની ગરજ સારે છે, તો “શાંકર વેદાંત અવિદ્યા વિચાર’ પુસ્તક વેદાંતના અભ્યાસીઓ માટે ઘણું ઉપયોગી નીવડ્યું છે. પંડિત વિધુશેખરના બૌદ્ધ ધર્મ પરના અંગ્રેજી પુસ્તકનો ‘બૌદ્ધ ધર્મની પાયાની વિભાવના એ નામે એમણે કરેલો ગુજરાતી અનુવાદ પણ ખાસ નોંધપાત્ર છે.
જૈન દર્શનનો વિચાર કરીએ તો, તેને લગતું એક પણ પાસું એવું નથી કે જેને નગીનભાઈની કલમને ચેતનાવતો સ્પર્શ ન થયો હોય !
જયંતભટ્ટની “ન્યાયમંજરી'નો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને, એમને જાણે સંતોષ ન થયો હોય, તેમ એના વિસ્તૃત અભ્યાસને આવરતાં ત્રણેક પુસ્તકો એમણે લખીને પ્રકાશિત કર્યા. હેમચંદ્રાચાર્યની પ્રમાણમીમાંસાંનો પણ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી, એ પુસ્તકને જિજ્ઞાસુઓ માટે સુલભ કરી આપ્યું. – “ધર્મકીર્તિની ફીલસૂફીની અકલંકે કરેલી ટીકા' – પરનો અંગ્રેજીમાં લખેલો તેમને પીએચ.ડી. પદવી માટેનો માન્ય મહાનિબંધ પુસ્તકરૂપે જ્યારે પ્રકાશિત થયો, ત્યારે આંતરરાષ્ટ્રીય વિદ્વાનોએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અંગ્રેજી ભાષા પરના શ્રી નગીનાઈના પ્રભુત્વને કારણે મુનિશ્રી ન્યાયવિજયજીના “જૈન ફિલસૂફી અને ધર્મ પરના ગુજરાતી પુસ્તકનો સુંદર અનુવાદ કર્યો. “જૈન આગમ સાહિત્યના ઇતિહાસનું એમણે પુનર્લેખન કરી આપ્યું તો, “જૈન કાવ્યસાહિત્ય” પરના દળદાર હિંદી ગ્રંથનો, સાહિત્યરસિકો માટે, એમણે ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યો. ‘પ્રાકૃત ગાહારયકોસ’ ની અપ્રકાશિત હસ્તપ્રતની પ્રસ્તાવના અને જરૂરી નોંધો સાથે સંપાદન કરી, ગાથાઓના તે પ્રાકૃત કોશને પ્રકાશિત કર્યો.