________________
110
માલતી શાહ
SAMBODHI વ્યાખ્યાનો, સેમિનાર વગેરેમાં જવાનું ભાગ્યે જ પસંદ કરતાં અને એકાંતને માણીને તેનો શ્રેષ્ઠ ઉપયોગ પોતાના વિદ્યાવ્યાસંગમાં કરીને તેમણે જે કામ કર્યું છે તે તો અદ્ભુત છે. તેમનાં સંતાનોમાં પણ કુટુંબપ્રેમ એવો કે તેમને મળવા આવનાર સૌને આદરપૂર્વક આવકાર મળે અને નગીનભાઈ સાથે નિરાંતે વાત કરવાનું વાતાવરણ મળે. શારીરિક અસ્વસ્થતાની વચ્ચે પણ છેવટ સુધી તેમણે પોતાની વિદ્વત્તાની ઊંચાઈને જાળવી રાખી તે દુર્લભ બાબત છે.
આવા એક સારસ્વત, વિદ્યાપુરુષ આપણી વચ્ચેથી ચાલ્યા જાય એ માત્ર તેમના કુટુંબ માટે જ નહીં, પણ જૈન સમાજ, અમદાવાદના વિદ્વત્ જગત, ગુજરાત અને ભારત માટે પણ ન પૂરી શકાય તેવી ખોટ છે. ક્ષરદેહે તો તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ અક્ષરદેહે–પુસ્તકરૂપે આપણી સાથે જ છે. તેમના જેટલી વિદ્વત્તાની ઊંચાઈને તો કદાચ આપણે ન પામી શકીએ, પણ તેમના પુસ્તકોના અભ્યાસ દ્વારા તેમના ગુણોની સ્મૃતિ દ્વારા આપણે અત્યારે જે છીએ તેનાથી થોડાંક પણ સારાં થઈ શકીએ તો પણ તેમને ઉત્તમ અર્થ આપ્યો ગણાય.