________________ 112 જિતેન્દ્ર બી. શાહ SAMBODHI વિદ્વાનને સોંપ્યું તેમણે જૈનદર્શનનો અનુવાદ કરી આપ્યો પણ આ અનુવાદ ઘણો જ ઊતરતી કક્ષાનો હતો તેથી અમે તે રદ કર્યો. અમારી ભાવના હતી કે આંતરરાષ્ટ્રિય સ્તરનો અનુવાદ થાય અને એવો અનુવાદ જ સર્વત્ર ગ્રાહ્ય બની શકે. એ સમયે મેં પ્રો.નગીનભાઈ શાહના નામનો પ્રસ્તાવ મૂક્યો અને જણાવ્યું કે તેઓ દર્શનશાસ્ત્રના વિદ્વાન છે. અંગ્રેજી ભાષા ઉપર તેમનું સારું પ્રભુત્વ છે. જો તેઓ આ કામ સ્વીકારશે તો કામ ખૂબ જ સુંદર થશે. અમે નિર્ણય કર્યો અને કામ કરવા માટે વિનંતી કરવા હું અને પ્રતાપભાઈ ભોગીલાલ શેઠ બન્ને સાથે તેમની પાસે જઈશું એમ નક્કી થયું. અમે તેમની પાસે ગયા તેમણે ખૂબ જ સુંદર ઉમળકાભેર આવકાર્યા, અમે પુસ્તકના અનુવાદનો પ્રસ્તાવ મુક્યો. અમને તો એમ હતું કે તેઓ કહેશે કે મારાં ઘણાં કામ છે. હું આ કામ અત્યારે હાથ પર લઈ શકું તેમ નથી વગેરે વગેરે. પણ અમારી ધારણા ખોટી પડી. તેમણે અમારો પ્રસ્તાવ ધ્યાનથી સાંભળ્યો અને કહ્યું કે ખરેખર તમારી ભાવના ઘણી જ ઊંચી છે. આ કામ તો વર્ષો પૂર્વે થવું જોઈતું હતું. અત્યાર સુધી આ કામ ન થયું તે આપણા સહુની ઉપેક્ષા જ કહેવાય. ખરેખર આપ આવા કામ માટે મારા ઘરે આવ્યા છો તે આનંદની વાત છે. મને તમે આ કામ માટે યોગ્ય ગણ્યો તે મારું અહોભાગ્ય છે. હું મારાં બીજાં બધાં કામો પડતાં મૂકી આ કામ યથાશીધ્ર પૂર્ણ કરી આપીશ. પણ મારી એક શરત છે કે મારા લખાણમાં તમે ફેરફાર નહીં કરી શકો. અમને આ વાત સાંભળી આશ્ચર્ય થયું. અમે તેમને પૂછ્યું કે આપ આમ કેમ કહો છો? ત્યારે તેમણે કહ્યું કે ઘણીવાર પોતાની ઇચ્છા મુજબ ફેરફાર કરી સંપૂર્ણ અનુવાદ બગાડી નાખવાની ઘટના બનતી હોય છે, તેથી મારો આ આગ્રહ છે. અમે તેમની શરતનો સ્વીકાર કર્યો. અનુવાદ તો તેમણે નિર્ધારિત સમય કરતા ઘણો વહેલો પૂર્ણ કરી આપ્યો. અમે તે ગ્રંથ બી.એલ.ઈન્સ્ટીટ્યૂટમાંથી પ્રકાશિત પણ કર્યો અને અનુવાદ વિશ્વભરમાં આવકાર પામ્યો. આ તેમની વિષય અને ભાષાની પૂર્ણ વિદ્વત્તાને આભારી છે. બી.એલ.ઇન્સ્ટીટ્યૂટ દ્વારા અમે હેમચંદ્રાચાર્ય પુરસ્કાર આપીએ છીએ. અમે નગીનભાઈની જ્ઞાનસાધનાને પુરસ્કૃત કરવા તેમને આ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. અમે તેમને જાણ કરી ત્યારે તેમણે સહર્ષ સ્વીકાર કરતાં જણાવ્યું કે મને પુરસ્કાર કરતા જ્ઞાનસાધનામાં વધુ રસ છે. તેમની આવી પ્રકૃતિને કારણે જ હંમેશા પ્રસિદ્ધિથી અળગા રહ્યા હતા. ત્યારબાદ અમે તેમને તત્ત્વચિંતામણિની, એકમાત્ર જૈનાચાર્યની ટીકાનું સંશોધન-સંપાદનનું કામ સોંપ્યું. તે કામ પણ ખૂબ જ સરસ રીતે પાર પાડ્યું. તેઓ જે કામ સ્વીકારતા તે કામ યથાસમય પૂર્ણ કરી આપતા. આશરે બે વર્ષ પૂર્વે તેમણે મને ફોન કર્યો અને જણાવ્યું કે તમને સમય મળે ત્યારે મળવા આવજો. મને થોડું આશ્ચર્ય થયું. મોટા ભાગે કામ વગર કોઈને તકલીફ આપતા નહીં અને તેમણે સામેથી જ મને ફોન કર્યો એટલે હું એ જ દિવસે તેમને મળવા માટે ગયો. તેમની સાથે ઘણી વાતો થઈ. તેમના પ્રકાશનો અંગેની વાત થઈ. તેમને ચિંતા હતી કે તેમના પ્રકાશિત પુસ્તકોનું ભવિષ્યમાં શું થશે? આ અંગે યશાસંભવ પ્રયત્ન કરવાની મેં તેમને વાત કરી. પછી તેમણે વાયધ્વજની ન્યાયકુસુમાંજલિની ટીકા અંગે વાત કરી. આ ગ્રંથની એકમાત્ર તાડપત્રીય હસ્તપ્રત ઉપરથી તેમણે સંપાદન કર્યું હતું. તે છપાવવા યોગ્ય છે તેમ જણાવ્યું પણ સાથે સાથે કહ્યું કે છેલ્લા કેટલાંય વર્ષોથી મને નવા પ્રકાશિત થતાં ગ્રંથો વિશે વિશેષ માહિતી નથી એટલે સહુ પ્રથમ તમે તપાસ કરો કે આ ગ્રંથ છપાયો તો નથી ને ! મેં આ અંગે