________________
જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણ
નિરંજના વોરા
પર્યાવરણનું પ્રદૂષણ આજની વૈશ્વિક સમસ્યા છે. સાંપ્રત સમયની ઉપભોક્તાવાદી સંસ્કૃતિમાં પ્રકૃતિનાં તત્ત્વોનો સ્વછંદ રૂપથી ઉપયોગ થઈ રહ્યો છે. મનુષ્ય પોતાની ક્ષુલ્લક વૃત્તિઓ, વાસનાઓની તૃપ્તિ માટે પ્રાકૃતિક તત્ત્વોનો મનફાવે તે રીતે ઉપભોગ અને વિનાશ કરી રહ્યો છે. તેનાથી પૃથ્વી, જળ, વાયુ, વનસ્પતિ અને તેજ (અગ્નિતત્ત્વ)માં એક પ્રકારની રિક્તતા અને વિકૃતિ પણ ઉત્પન્ન થઈ રહી છે. વિશાળ પરિપ્રેક્ષ્યમાં પર્યાવરણ સમગ્ર સજીવ સૃષ્ટિ અને માનવજાતિના અસ્તિત્વના આધારરૂપ સ્તંભ સમાન છે. આજે આપણને વિસ્મિત કરી દેનાર આર્થિક અને ભૌતિક વિકાસના માર્ગમાં સૌથી મોટી સમસ્યા છે પર્યાવરણની ! વિજ્ઞાનની શક્તિના સહારે ઉપભોગની અમર્યાદિત સામગ્રી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. મનુષ્ય કેવળ ભૌતિક સુખોના સ્વપ્રોમાં વિહરે છે, પણ આ સાધનસામગ્રીના અમર્યાદિત અને અસંયત ઉપભોગે આપણને પર્યાવરણના બહુ મોટા પ્રશ્નાર્થ સામે ઊભા કરી દીધા છે.
પર્યાવરણનો પ્રશ્ન જીવનશૈલીનો પ્રશ્ન બની ગયો છે. વાયુ અને જલપ્રદૂષણ, ઓઝોનવાયુના સ્તરનું નષ્ટ થવું, પક્ષી અને પ્રાણીઓની અનેક જાતિઓનો અંત થવો – આ સર્વ વિશે ગંભીરતાપૂર્વક વિચારવાની અને એ સમસ્યાઓનો અંત લાવવાની આવશ્યક્તા સમજાવવા લાગી છે. એ સમસ્યાઓના ઉકેલને પણ સમજી શકીએ છીએ, પરંતુ તેને માટે નક્કર આયોજન કરવા, આપણી પ્રમાદી વૃત્તિઓ તૈયાર નથી. આર્થિક અને ભૌતિક વિકાસના ક્ષેત્રમાં મનુષ્યએ, આવશ્યક માત્રામાં પ્રકૃતિનાં તત્ત્વોનો ઉપયોગ કરવાને બદલે તેનું શોષણ કર્યું છે. મહાત્મા ગાંધીજીએ સૂચવ્યું હતું તે અનુસાર, મનુષ્યએ જે કુદરતી સંપત્તિને ભવિષ્યને માટે સુરક્ષિત રાખવી જોઈએ, તેનો પોતાની સુખસુવિધા માટે વર્તમાનમાં વ્યય કરી રહ્યો છે. પ્રકૃતિ આપણી જળ, વાયુ તથા આહારની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરનાર જીવનપ્રદ ગ્નોતરૂપ છે. માનવજીવન અને સંસ્કૃતિ પ્રકૃતિ પર નિર્ભર છે.
આપણા સંસ્કૃતિસર્જક ઋષિમુનિઓ ક્રાન્તદા હતા. તેમણે પ્રકૃતિનાં તત્ત્વો સાથે સમન્વિત રૂપથી મનુષ્ય જીવનની આદર્શ વ્યવસ્થાનું આયોજન કર્યું હતું. જેમાં અન્ય પ્રાણીઓના જીવનની સુરક્ષા પણ નિહિત હતી. અહિંસક અને મૈત્રીપૂર્ણ જીવનવ્યવહારમાં સર્વ સુરક્ષિત અને વિકાસશીલ બનીને પ્રગતિના પથ પર આગળ વધતા હતા – પ્રકૃતિનો પણ તેમાં સાથ અને સહકાર હતો. સદાચારપૂર્ણ આચારવિચારનું નિદર્શન કરનાર મહાન ધર્મસંસ્થાપકો દ્વારા પ્રબોધિત આચારસંહિતા દ્વારા પર્યાવરણની સમસ્યા સહજ-સરળતાથી નિવારી શકાય તેમ છે.