________________ Vol. XXXVI, 2014 સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ 181 તેનો સમર્થ રીતે અનુવાદ કરી બતાવ્યો એ તો ખરું જ, કાદંબરીની કથાશૈલીએ “પૃથ્વીચંદ્રચરિત' જેવી કથાઓને અનેક રીતે પ્રેરણા-માર્ગદર્શન પૂરાં પાડ્યાં. ગુજરાતી ગદ્યના ઘડતરવિકાસમાં “કાદંબરી'ના ગદ્યનો મહત્ત્વનો પ્રભાવ રહ્યો છે. ગોવર્ધનરામની ગદ્યશૈલી કાદંબરીના ગદ્યસંસ્કાર સુપેરે દાખવે છે. વળી કાદંબરી'ની કથા-પરિપાટીએ ગુજરાતી કથાગૂંફનની રીતિને પણ પ્રભાવિત કરી છે. જન્મજન્માંતરની વાર્તાઓ, વાર્તામાં વાર્તા ને એમાંયે વાર્તા - જેવી વાર્તાકથનની રીતિઓને તેણે પ્રોત્સાહિત કરી છે. બૃહત્કથા', “કથાસરિત્સાગર' જેવા કથાસાહિત્યની ભૂમિકા, એનો પરિવેશ આપણી પદ્યવાર્તાઓનેય કામ આવ્યાં હોવાનું અનુમાન કરી શકાય. “હિતોપદેશ' અને “પંચતંત્રની વાર્તાઓએ ગુજરાતી બાળવાર્તાસાહિત્યને ખીલવા માટે સંગીન ભૂમિકા પૂરી પાડી છે. અલંકારમંડિત, સમાંરસપ્રચુર, અનેક ઉપવાક્યોથી સંકુલ એવી અર્થસઘન અને સંસ્કારદીપ્ત ગરવી ગદ્યરીતિના ઘડતરમાં સંસ્કૃત કથાત્મક ગદ્યરીતિનો સીધો પ્રભાવ જોઈ શકાય. સંસ્કૃત ભાષા-સાહિત્યના પ્રભાવે ગુજરાતી સર્જનાત્મક સાહિત્યની જેમ વિવેચનાત્મક સાહિત્યની પણ પરિપાટી ઘડાઈ. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના આધારે શબ્દ, અર્થ, રીતિ, અલંકાર, છંદ, રસ, ધ્વનિ, ઔચિત્ય, વક્રોક્તિ જેવાં અનેક કાવ્યઘટક-તત્ત્વોની તલસ્પર્શી ચર્ચા ગુજરાતી વિવેચનમાં આવી. આનંદશંકર જેવાનો તો કાવ્યતત્ત્વવિચાર સંસ્કૃત કાવ્યવિચારના જ સુંદર વિસ્તારરૂપ - ભાષ્યરૂપ લાગે. કાવ્યભેદ, અષ્ટનાયક-નાયિકાભેદ આદિની વિચારણા તો સીધી જ સંસ્કૃત પર અવલંબે છે. વળી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તુલનાત્મક કાવ્યશાસ્ત્રીય અધ્યયનને પણ પ્રોત્સાહિત કર્યું. સંસ્કૃત ભાષા-સાહિત્ય ગુજરાતી સાહિત્યને જેમ ગદ્યમાં તેમ પદ્યમાંયે વિશિષ્ટ વર્ણનશૈલીને. પ્રગટ થવામાં સહાય કરી. પ્રેમાનંદ, શામળ આદિ કવિઓ જે પ્રકારે નાયક-નાયિકાનાં રૂપવર્ણન કરે છે તેમાં સંસ્કૃતની એક રૂઢ નિરૂપણશૈલીનું સાતત્ય જોવા મળે છે. વળી સંસ્કૃત કવિસમયોનો પ્રભાવ પણ પ્રાદેશિક કવિઓએ સહજભાવે કર્યો છે તે જોઈ શકાય છે. સંસ્કૃત પિંગળનો પણ મોટો પ્રભાવ ગુજરાતી પર છે. જમદેવની અષ્ટપદીઓની અસરની વાત બાજુએ રાખીએ સંસ્કૃત વૃત્તોની જે અસર ગુજરાતી પર છે તે એક મહત્ત્વની ઘટના છે. આ અસરે એક બાજુ કાવ્યશૈલીને તો બીજી બાજુ કાવ્યોના આંતર રૂપના ઘડતરમાં નિર્ણાયક ભાગ ભજવ્યો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં દેશીઓનું - માત્રામેળ છંદો-ઢાળોનું વર્ચસ હતું. દલપતરામ ને નર્મદના જમાનાથી સંસ્કૃત વૃત્તોનું વર્ચસ વધતું ચાલ્યું તે ગુજરાતીમાં ગાંધીયુગ સુધી ચાલ્યું, તે પછીયે આઝાદી બાદ વૃત્તોનું ખેડાણ ચાલુ જ છે. જોકે પરંપરિત માત્રામેળ છંદો, વનવેલી, ગીતો-ગઝલોનું વર્ચસ્ તાજેતરમાં વધુ વરતાય છે. આ સંસ્કૃત વૃત્તોના પ્રયોગોએ ગુજરાતી કવિતાને અભિવ્યક્તિનો લાક્ષણિક મરોડ આપ્યો છે. સૉનેટ જેવી રચનાઓ સવિશેષ વૃત્તાનુકૂળ જણાઈ. આ વૃત્તો સળંગ અગેય પ્રવાહી પદ્યરચના(બ્લેન્ક વસ)માં પણ પ્રયોજાયાં. વળી એમાં છંદોમિશ્રણના જાતભાતના પ્રયોગો થયા. આમ સંસ્કૃત વૃત્તબદ્ધ કાવ્યશૈલીએ ગુજરાતી કવિતાને પ્રશિષ્ટ ભૂમિકાએ વિકસવાની તક પૂરી પાડી. સંસ્કૃત ભાષા-સાહિત્યના સંપર્કે આપણે ત્યાં અનુવાદ-રૂપાંતર-સંપાદન-સંકલનની પ્રવૃત્તિને વ્યાકરણ અને કોશકાર્યને વેગ આપ્યો. કેટકેટલા સંસ્કૃતગ્રંથો ગુજરાતીમાં અવતાર પામ્યા છે ! આખું