________________
182
ચંદ્રકાન્ત શેઠ
SAMBODHI
આયુર્વેદ-સાહિત્ય તો સંસ્કૃતની જ દેણગી. જ્યોતિષમાં પણ ઘણું સંસ્કૃતમાંથી જ આવેલું. તે ક્ષેત્રના મહત્ત્વના બધા ગ્રંથો હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. એ જ રીતે વૈદિક, પૌરાણિક, દાર્શનિક-યૌગિક આદિ ઘણું સાહિત્ય પણ સંસ્કૃતમાંથી ઊતરી આવ્યું છે. આ અનુવાદો સાથે જે તે ક્ષેત્રના ને શાસ્ત્રોના અધ્યયનપરિશીલનની પ્રવૃત્તિએ પણ વેગ પકડ્યો. અનેક સંસ્કૃત ગ્રંથકારો અને ગ્રંથો વિશે પરિચયાત્મક, આસ્વાદમૂલક, સમીક્ષાત્મક અને સંશોધનાત્મક ગ્રંથો ને લેખો ગુજરાતીમાં લખાવા લાગ્યા. આ દિશામાં ગોવર્ધનરામ, મણિલાલ ન. દ્વિવેદી, આનંદશંકર, નર્મદાશંકર દેવશંકર મહેતા, કેશવ હર્ષદ ધ્રુવ, કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, રામનારાયણ વિ. પાઠક, ડૉલરરાય માંકડ, રતિલાલ મો. ત્રિવેદી, રામપ્રસાદ બક્ષી, જયોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશી, કે.કા.શાસ્ત્રી, નગીનદાસ પારેખ, હરિવલ્લભ ભાયાણી, ગૌરીપ્રસાદ ઝાલા, રસિકલાલ પરીખ વગેરેનાં નામ ઉલ્લેખનીય છે.
ગુજરાતીએ સંસ્કૃત ભાષા-સાહિત્યની અસર અનુભવવા સાથે એ ભાષા-સાહિત્યનો પરિચય જાળવવા-વધારવામાંયે નોંધપાત્ર ઉત્સાહ અને પરિશ્રમ દાખવ્યાં છે. આજનો ગુજરાતી સર્જક-વિવેચક એક બાજુ જો અંગ્રેજી અને તે દ્વારા પાશ્ચાત્ય સંસ્કાર-સંસ્કૃતિ સાથે તો બીજી બાજુએ સંસ્કૃત અને તે દ્વારા ભારતીય સંસ્કાર-સંસ્કૃતિ સાથેનો પોતાનો સંબંધ-સત્સંગ સ્થાપી-વધારી-વિકસાવીને જ પોતીકા સર્જનવિવેચનનું સત્ત્વતેજ સારી રીતે વધારી શકશે. સંસ્કૃત ભાષા-સાહિત્યની અસર તત્ત્વતઃ તો સ્વકીય સંસ્કારપરંપરા કે સંસ્કૃતિપરંપરાની અસર છે. એ રીતે એ અસર પાશ્ચાત્ય સંસ્કાર-સંસ્કૃતિ કે ભાષાસાહિત્યની અસરથી કેટલીક રીતે ભિન્ન છે. આપણે સંસ્કૃત ભાષા-સાહિત્યની અસરને કે એના પ્રભાવને અસર કે પ્રભાવરૂપે જોઈએ છીએ ખરા? એ પ્રભાવ-અસર તો આપણા લોકોના વારસાગત સંસ્કારલક્ષણરૂપ જ આપણને તો પ્રતીત થાય છે!
ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યયન-અધ્યાપનમાં સંસ્કૃત ભાષાના અધ્યયન-અધ્યાપને પણ ઘણી મોટી અસર કરી છે. સંસ્કૃત ભાષા-સાહિત્યના અધ્યયન-અધ્યાપનક્ષેત્રે કાર્ય કરતા વિદ્વાનોએ કેવળ સંસ્કૃતને જ નહીં, ગુજરાતી ભાષા-સાહિત્યને પણ પોતપોતાના સર્જન-વિવેચન-અનુવાદ-સંપાદન જેવાં ક્ષેત્રોમાં કેટલુંક ઉલ્લેખનીય પ્રદાન કરીને સમૃદ્ધ કર્યું છે. ગુજરાતમાં રસ્કૃત ભાષા-સાહિત્યના વિકાસ માટે કામ કરતી અકાદમી ઉપરાંત અન્ય કેટલાંક મંડળો, કેટલીક સંસ્થાઓ પણ છે, જે સંસ્કૃત ભાષાસાહિત્યની સેવા કરતાં કરતાં ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્ત્વનું યોગદાન કરે છે. વિસ્તારભયે અહીં બધાનાં નામ મૂકવાનું ટાળ્યું છે.
કોઈ સંશોધક દ્વારા સંસ્કૃત ભાષા-સાહિત્યના વ્યાસંગથી ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કરનારા સારસ્વતોની યાદી કરવામાં આવે તો તે ખાસી મોટી થાય! સંસ્કૃત ભાષા-સાહિત્ય સાથે ગુજરાતી ભાષાસાહિત્યનો લોહીનો સંબંધ હોઈ સંસ્કૃત ભાષા-સાહિત્યની સિદ્ધિ-સમૃદ્ધિનો સીધો જ લાભ ગુજરાતી ભાષા-સાહિત્યને આજ દિન સુધી મળતો રહ્યો છે અને મળતો રહેશે. સંસ્કૃત ભાષા-સાહિત્ય સાથેનો ગુજરાતી ભાષા-સાહિત્યનો સંગમ-સંપર્ક જેમ આજે તેમ ભવિષ્યમાં પણ ઘણો ઉપકારક અને રસપ્રદ બની રહેશે એ નિશ્ચિત છે.