________________
દીપક બુઝાયો
જિતેન્દ્ર બી. શાહ
ગુજરાતનું દાર્શનિક ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન છે. તેમાં પણ જૈનદર્શનનું પ્રદાન આગવું છે. ગુજરાતની ધરતી પર રચાયેલો, જૈનધર્મના સુપ્રસિદ્ધ આચાર્ય મલવાદી વિરચિત દ્વાદશાહનચક્ર ભારતીય દર્શનનો અપૂર્વ ગ્રંથ છે. ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ અને ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજયજીનું પ્રદાન નોંધપાત્ર છે. આ પરંપરાને આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી અને શ્રુતસ્થવિર મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા. એ આગળ વધારી અને પંડિતોમાં શ્રી સુખલાલ સંઘવી અને દલસુખ માલવણિયાએ પણ આગળ વધારી હતી. આ જ પરંપરામાં શ્રી નગીન જે. શાહનું પ્રદાન પણ ઘણું જ સ્તુત્ય છે. પ્રો.નગીન જે. શાહે ગુજરાતી ભાષામાં ન્યાય-વૈશેષિક અને સાંખ્યયોગ દર્શનના પ્રમાણભૂત ગ્રંથો રચી ગુજરાતી ભાષાના દાર્શનિક સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તા.૪.૧.૨૦૧૪ ના રોજ નગીનભાઈના અવસાનથી દાર્શનિક ક્ષેત્ર ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે.
નગીનભાઈનો પરિચય અને વિદ્યાર્થી અવસ્થામાં થયો હતો. ગ્રંથોનું અવલોકન કરવા માટે મારે લા.દ.વિદ્યામંદિરમાં અવારનવાર આવવાનું થતું, તે સમયે નગીનભાઈને પણ મળવાનું થતું. ખૂબ જ સાદગીપૂર્ણ જીવન, સતત અધ્યયનશીલતા અને સૌજન્યપૂર્ણ વ્યવહાર એ તેમની આગવી વિશિષ્ટતા હતી. ઘણીવાર દર્શન સંબંધી પ્રશ્નો ઉપસ્થિત થતાં ત્યારે તેમને મળવાનું થતું. તેઓ શંકાનું સમાધાન તરત જ કરી આપતા. સાથે સાથે ગ્રંથોનો સંદર્ભ પણ આપતા અને તે તે ગ્રંથો જોવાની પ્રેરણા પણ અચૂક કરતા. તેમને મળીએ એટલે નવી નવી અનેક બાબતો જાણવા મળે. ખૂબ જ ઓછું બોલે પણ હંમેશા શાંત અને સ્મિતપૂર્ણ મુખમુદ્રાથી તેમને મળ્યાનો આનંદ અનુભવાતો.
સને ૧૯૯૦ના અરસામાં મેં દિલ્હીસ્થિત ભોગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર માટે ઉપાધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો ત્યારે એક પ્રસ્તાવ મુક્યો કે જૈનધર્મનો પરિચય થાય તે માટે અંગ્રેજી ભાષામાં એક પુસ્તક લખાવવું જોઈએ. મારો આ પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો અને અમે જુદા જુદા વિદ્વાનોના સંપર્ક કર્યો પણ અમને તેમાં સફળતા ન મળી. બે ગ્રંથો લખાયા પણ ખરાં પણ તે છપાવવા યોગ્ય ન જણાયા. ત્યારબાદ અમે નિર્ણય કર્યો કે મુનિશ્રી ન્યાયવિજયજીએ લખેલ જૈનદર્શન પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરાવી પ્રસિદ્ધ કરીએ તો જિજ્ઞાસુઓને ઉપયોગી થશે. આ કામ અમે એક