________________
નખશિખ વિદ્યાપુરુષ શ્રી નગીનભાઈ
માલતી શાહ
ડૉ.નગીનભાઈ શાહ સંસ્કૃત સાહિત્ય અને દર્શનશાસ્ત્રના પ્રખર પંડિત તો હતા જ, સાચા અર્થમાં જ્ઞાનપિપાસુ અને વિદ્યાચાહક હતા. સાવ ઓછાબોલો સ્વભાવ, જરૂર પૂરતી વાત અને છતાં વાતમાં ઊંડાણ એટલું બધું હોય કે તેને સમજવા માટે આપણી એકાગ્રતા અને ઊંચી સમજણશક્તિની જરૂર પડે.
ખૂબ સંઘર્ષમય કપરા દિવસોમાં પણ વિદ્યાની ઉત્કટ ઝંખનાને કારણે સ્કૂલ-કોલેજના શિક્ષણમાં તેઓ અગ્રેસર રહ્યા અને વિદ્વત્તાની ઊંચાઈને આંબતા રહ્યા. ગુજરાતી તો માતૃભાષા એટલે તેમાં તો નિપુણતા હોય તે સ્વાભાવિક છે. સંસ્કૃત વિષય હતો અને તેમાં પણ ખૂબ ઊંડાણપૂર્વકનું જ્ઞાન તેઓએ હસ્તગત કરેલ. તે સમયના શિક્ષણની-કેળવણીની પદ્ધતિને કારણે અંગ્રેજી સારું હોય તે તો બરાબર છે, પણ દાર્શનિક પરિભાષાના અનુવાદો કરવા જેવું મુશ્કેલ કામ પણ તેઓ ખૂબ ચોકસાઈથી કરી શકે તેટલી તેમની સજ્જતા. સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓ તો ઘણા મળી શકે, પણ ભારતીય દાર્શનિક સાહિત્યની ઊંડી સમજ, જુદા જુદા દર્શનો વચ્ચેની તાર્કિક દલીલો અને તેને લગતા વાદવિવાદના સાહિત્યની મર્મભેદી છણાવટ, આ બધાંની ગુજરાતી કે અંગ્રેજી કે સંસ્કૃત ભાષામાં પુસ્તકરૂપે સુચારુ રજૂઆત આ તેમના વ્યક્તિત્વની વિશેષતા.
અત્યારે તો પરિસ્થિતિ પ્રાયઃ એવી છે કે જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય તેને નાટક, કાવ્ય વગેરે પ્રકારો ઉપર સારી ફાવટ હોય પણ દાર્શનિક સાહિત્ય ઉપર કદાચ તેટલી પકડ ન પણ હોય. વળી દર્શનશાસ્ત્ર (તત્ત્વજ્ઞાન-Philosophy)ના ક્ષેત્રના અભ્યાસીને ભારતીય દર્શનોની સારી સમજ માટે સંસ્કૃતનું જ્ઞાન આવશ્યક છે પણ તે ખાસ જોવા મળતું નથી. આમ સંસ્કૃતના વિદ્વાન દર્શનશાસ્ત્રોમાં પારંગત હોય એવા વિદ્વાનો અત્યારે કદાચ આંગળીના વેઢે ગણી શકાય તેટલા હોય. નગીનભાઈ આમાંના એક હતા. એટલે સંસ્કૃત ભાષા, દાર્શનિક સાહિત્યનો ઊંડો અભ્યાસ અને અંગ્રેજી ભાષા ઉપરની મજબૂત પક્કડને કારણે તેમની વિદ્વત્તા ખૂબ જ ઊંચા ગજાની હતી. તેમના જવાથી આ ખોટ પૂરાઈ શકે તેવી શક્યતા નહિવત્ છે.
કોઈપણ જાતના બાહ્ય આડંબર વગર, કોઈ આકર્ષણોમાં તણાયા વગર પોતાની સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ તન-મન-ધનથી કરતાં જ રહ્યા અને સમાજને મૂલ્યવાન ગ્રંથોની મહામૂલી ભેટ આપતાં ગયા.