________________
નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર
મધુસૂદન બક્ષી
પ્રાસ્તાવિક
શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર (૨૦૦૧) એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ નગીન શાહે સ્પષ્ટ કર્યું છે કે તવેદાન્તના બધા સિદ્ધાંતો અવિદ્યા ઉપર જ ટકેલા છે. અનિર્વચનીયા જડાત્મિક અવિદ્યા જ અધ્યાસનું ઉપાદાન છે તે અદ્વૈતવેદાન્તનો મુખ્ય વિચાર છે.
આ ગ્રંથમાં મધ્વસ્થાપિત દ્વૈતવાદી વેદાન્તને નગીન શાહે પૂર્વપક્ષ તરીકે લીધો છે અને શાંકરવેદાન્ત સામેની આપત્તિઓની રજૂઆત ન્યાયામૃત અને ન્યાયામૃતતરંગિણીને આધારે કરવામાં આવી છે. નગીન શાહે શાંકરવેદાન્તને સિદ્ધાન્તપક્ષ તરીકે સ્વીકારીને દ્વૈતવાદીઓએ અવિદ્યાવિચાર સામે જે આપત્તિઓ રજૂ કરી છે તેનાં સમાધાનની રજૂઆત અદ્વૈતસિદ્ધિ, લઘુચન્દ્રિકા અને અદ્વૈતદીપિકાને આધારે કરી છે.
ખાસ તો, અદ્વૈતવેદાન્તપણે, નવ્યન્યાયની પરિભાષા અને પદ્ધતિના વ્યાપક ઉપયોગને લીધે, અદ્વૈતપક્ષે આપત્તિઓનાં જે સમાધાનો રજૂ થયાં છે તે અત્યન્ત જટિલ બની ગયાં છે. આમ નવ્યન્યાય આધારિત અવિદ્યાવિચારનિરુપણ સમજવામાં ઘણો પરિશ્રમ કરવો પડે તેમ છે. નગીન શાહે કબૂલ્યું છે કે “પ્રસ્તુત ગ્રંથ મારા ધાર્યા કરતાં ઘણો જ ભારેખમ બની ગયો છે” (પ્રસ્તાવના : પૃ.૧૦). ભારતીય તર્કશાસ્ત્રની પરિભાષામાં અહીં દલીલો રજૂ થઈ છે.
શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર, એ ગ્રંથમાં, નગીન શાહે પહેલા બે પ્રકરણમાં અવિદ્યાનાં ત્રણ લક્ષણોની ચર્ચા કરી છે. આ ગ્રંથમાં ભાવરૂપ અવિદ્યાના ત્રણ સાધક પ્રત્યક્ષોની વિસ્તૃત ચર્ચા થઈ છે (પ્રકરણ ત્રણ, પાંચ અને છે). આ ગ્રંથના ચોથા પ્રકરણમાં પ્રાગભાવખંડન અંગેની રજૂઆતો થઈ છે. સુષુપ્તિ અંગેની મધુસૂદન સરસ્વતીની વિચારણા અહીં સાતમા પ્રકરણમાં કરવામાં આવી છે. પરિશિષ્ટમાં જયન્ત ભટ્ટની ન્યાયમંજરીમાં અદ્વૈતવેદાન્તનાં ખંડન અંગેની દલીલો રજૂ કરવામાં આવી છે. સમગ્ર વિચારણા અહીં તર્ક-આધારિત છે.
અહીં નગીન શાહની પ્રકરણ-યોજનાને અનુસરીને દરેક વિષય ઉપર દૈતવાદની આપત્તિ પછી અદ્વૈતવાદીઓનું તે અંગેનું સમાધાન ફરી આ સમાધાન અંગે દૈતવાદીઓની દલીલો અને ફરી અદ્વૈતવાદીઓ