________________
સહાધ્યાયી સખા
કાન્તિભાઈ બી. શાહ
ડૉ. નગીનભાઈ જૈન દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય-વેદાંત આદિ ભારતીય દર્શનોના વિશેષજ્ઞ હતા. એમણે આપેલા પચાસેક જેટલા લેખન-સંપાદન-અનુવાદના ગ્રંથો અને ચાલીસેક શોધલેખો ભારતીય તત્ત્વદર્શન ક્ષેત્રે એમનું અતિ મૂલ્યવાન પ્રદાન ગણાયું છે. પણ નગીનભાઈના આ કાર્યક્ષેત્રનો મારો કોઈ અભ્યાસ નથી અને એવી મારી ક્ષમતા પણ નથી. અહીં તો, કિશોરવયથી મારા એક સહવિદ્યાર્થીના નાતે બંધાયેલી અને આજીવન ટકી રહેલી મૈત્રીના આધારે મેં નગીનભાઈને જેવા જોયા-જાણ્યા એ વિશે વાત કરવાનું પ્રસ્તુત છે.
૧૯૪૪માં મારી ૧૧ વર્ષની ઉંમરે માધ્યમિક શિક્ષણ માટે મેં અમદાવાદના શેઠ ચી.ન.છાત્રાલયમાં પ્રવેશ લીધો. એક વર્ષ પછી નગીનભાઈ છાત્રાલયમાં દાખલ થયા. ઉંમરમાં મારાથી અઢી વર્ષ મોટા, પણ તેઓ વટવા જૈન આશ્રમમાં રહીને, અહીં થોડા મોડેથી જોડાયેલા. છાત્રાલયના લગભગ બધા વિદ્યાર્થીઓ ગામડેથી આવે. ખાદીનું સફેદ શર્ટ અને વાદળી ચડ્ડી એ અમારો ગણવેશ પણ બૌદ્ધિક કે રમતગમત આદિ અન્ય નિપુણતાને લઈને વિદ્યાર્થી જુદો તરી આવે. એ રીતે નગીનભાઈ એમની વિદ્યાકીય તેજસ્વિતાને કારણે જુદા તરી આવતા. એક વર્ષ પાછળના ધોરણમાં હોવા છતાં અમારી બેચના સૌ છાત્રો એમના પ્રત્યે આદરભાવ દાખવતા. એમાંયે મારા તો એ ઘનિષ્ઠ મિત્ર બની ગયા. ભણવામાં તેજસ્વી છતાં આપવડાઈનો છાંટો પણ નહીં. સ્વભાવે અત્યંત સરળ. મિતભાષિતા અને સાદગી એ કિશોરાવસ્થાથી જ એમનાં તરી આવતા લક્ષણો હતાં.
શાળાની સત્રાંત પરીક્ષા વેળાનો નગીનભાઈનો એક રમૂજી કિસ્સો સ્મરણમાં આવે છે. પરીક્ષામાં પ્રત્યેક પેપરમાં ત્રણ-ચાર પ્રશ્નોના જવાબો લખી, એમને લાગે કે આટલામાંથી ૩પ માર્ક્સ આવી જશે એટલે પેપર આપી બહાર નીકળી જાય. બધા વિષયોની આ રીતે એમણે પરીક્ષા આપી અમને આશ્ચર્ય અને રમૂજ પૂરાં પાડેલા.
- ૧૯૫૧માં મેટ્રિક પાસ કરીને હું કોલેજ-અભ્યાસ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય (પાલડી શાખા)માં દાખલ થયો. નગીનભાઈ પણ પછીના વર્ષે એ જ સંસ્થામાં આવ્યા. આમ વળી પાછા અમે સાથે થઈ ગયા. એમાંયે નગીનભાઈ, સંઘપુરના કે.સી.શાહ અને હું – અમે ત્રણેય ઠીક ઠીક સમય રૂમ