________________
103
Vol. XXXVII, 2014
સહાધ્યાયી સખા મને સોપાયું. બૌદ્ધ સિદ્ધાંતોના વિભાગનું પરામર્શન પ્રા.અસ્તર સોલામનબેનને સોપેલું. જરૂરી લાગે ત્યાં શુદ્ધિવૃદ્ધિ કરવાનું એમને કહેલું, એ પ્રમાણે એમણે કામ પૂરું કરી આપ્યું. પણ કેટલાંક સ્થાનો સંદિગ્ધ રહેતાં હતાં, જે અંગે ચોક્કસ નિર્ણય લેવાનું એમને ઉચિત લાગતું નહોતું. એટલે મને કહે, ‘તમે નગીનભાઈને મળો. તેઓ સંદિગ્ધ સ્થાનોમાં સાચો નિર્ણય જણાવી શકશે.' ત્યારે એસ્તેરબેનને જાણ નહોતી કે નગીનભાઈ મારા મિત્ર છે. મારું કામ સરળ થઈ ગયું. આમ નગીનભાઈ કોઈ કામ એકદમ સ્વીકારી લેનારા નહીં, પણ મિત્રભાવે મારું કામ એમણે ઉકેલી આપ્યું. આ પ્રસંગ બન્યો ત્યારે જ હું જાણી શક્યો કે નગીનભાઈ બૌદ્ધ દર્શનના તજજ્ઞ તરીકે પણ કેવા પ્રતિષ્ઠિત છે.
પછીના સમયમાં ક્વચિત જ એમને ઘેર મળવા જવાનું હતું. ત્યારે વાતચીતનો વિષય સામાન્યતઃ જૈન સાહિત્યજગતના વર્તમાનનો રહેતો. પણ કોઈ તાત્ત્વિક વિષયની વાત કરતા હોય ત્યારે એકલા જૈન દર્શનનો સંદર્ભ ન હોય, અન્ય દર્શનોની પણ તુલના આવે જ. “આત્મા'ની વાત કરતા હોય તો સાથે બૌદ્ધ દર્શનમાં આવતા “ચિત્ત'ની વિભાવના પણ રજૂ કરે. તેઓ તીર્થકરોના “કેવળજ્ઞાન'નું અર્થઘટન વિશુદ્ધજ્ઞાન' – “આત્મજ્ઞતા' તરીકે કરતા. “સર્વજ્ઞતાને તેઓ ‘કેવળજ્ઞાન'નો આરોપિત પર્યાય ગણતા. અનેકાન્તવાદના પુરસ્કર્તા એવા જૈન સમુદાયના આંતર મતભેદો-કલતો પ્રત્યે નારાજગી પ્રગટ કરતા.
અમારી મુલાકાત દરમિયાન નગીનભાઈ પોતાની અંગત વાત ભાગ્યે જ કાઢે. એમનાં ચાલતાં કામો અંગે પણ ખાસ પૂછું ત્યારે જ સંક્ષેપમાં જવાબ મળે. નગીનભાઈનાં પત્નીનું ૧૯૯૪માં અવસાન થયેલું. પણ મને યાદ આવતું નથી કે એમણે કદીયે એમના દાંપત્યજીવનનું કોઈ સ્મરણ કે ઘટના વર્ણવતી વાત ઉખેળી હોય. એક મુલાકાત વેળાએ એમણે એક પુસ્તક મને ભેટ આપ્યું. એનાં આરંભનાં પાનાં ઉથલાવતાં જાણી શકાયું કે એમની પુત્રી જાગૃતિ શેઠના પીએચ.ડી.ના શોધનિબંધનું એ પુસ્તક છે. જાગૃતિની આ ડિગ્રીની વાત ત્યારે જ હું જાણી શકેલો. તેઓ કૌટુંબિક વાતો કરે પણ નહીં કે મારા પરિવાર સંદર્ભે મને કાંઈ પૂછે પણ નહીં. પણ જેને નગીનભાઈનો હૃદયસ્પર્શ થયો હોય તે ભાગ્યે જ એમને વિશે કશી ગેરસમજ કરે. તેમની આ પ્રકારની નિઃસ્પૃહતાને હું ઓળખી શક્યો હતો.
નગીનભાઈ આમ તો દેરાવાસી જૈન, પણ પારંપરિક ક્રિયાકાંડથી તેઓ અલિપ્ત જ રહેતા. એનો અર્થ એવો નહોતો કે આ ક્રિયાકર્મની એમને અવગણના હતી કે એ પ્રતિની અશ્રદ્ધા હતી. પણ તેઓ સંપૂર્ણતઃ માત્ર અને માત્ર એમની જ્ઞાનસાધનાને જ સમર્પિત રહ્યા. જો કે જૈન ધર્મમાં સ્વાધ્યાયને અત્યંતર તપ કહ્યું છે. એ રીતે સ્વાધ્યાયતપના તપી તો એ હતા જ.
એમનો જ્ઞાનયજ્ઞ ઘરના એકાંત ખૂણે બેસીને જ ચાલતો રહ્યો. તત્ત્વદર્શનના દુર્લભ ગ્રંથો પણ આપ્યા અને પીએચ.ડી. કરતા સાત વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે ઉત્તમ કોટિનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું. સેમિનારોનાં અનેક નિમંત્રણો આવતાં, પણ એ સર્વને તેઓ નકારતા રહ્યા. એમની વાલકેશ્વર સોસાયટી તો સી.એન.વિદ્યાવિહારની દીવાલને અડીને આવેલી. પરંતુ છાત્રાલયના જૂના વિદ્યાર્થીઓના ચીમન છાત્ર સંઘના યાત્રા પ્રવાસો કે સંસ્થાના પ્રાંગણમાં થતાં સ્નેહમિલનોમાં કદી સામેલ ન થયા. અમારા જૂના રૂમપાર્ટનર કે.સી.શાહ તેમજ અન્ય મિત્રો સાશ્ચર્ય ફરિયાદ પણ કરે, “આ આપણો નગીન કેમ દેખાતો