________________
શીલભદ્ર વિદ્યાપુરુષ
વસંત પરીખ
શ્રી નગીનભાઈ સાચા અર્થમાં એક શીલભદ્ર વિદ્યાપુરુષ હતા. તેમની ચિરવિદાય સાથે ગુજરાતે પં.સુખલાલજી અને પં.શ્રી દલસુખભાઈ માલવણિયાની પ્રાજ્ઞ પુરુષોની પરંપરાની એક ઉજ્જવળ કડી ગુમાવી છે.
શ્રી નગીનભાઈ સાથે મારે પાંચ દાયકાનો સંબંધ હતો એમની કેવળ વિદ્યાપ્રીતિ જ નહીં પણ સંશોધન કે સ્વાધ્યાયની કેડીએ ચાલવા મથતા અભ્યાસીઓ પ્રત્યેનો ઊંડો સ્નેહ પણ સતત યાદ આવે છે.
જ્યારે જ્યારે મળવાનો પ્રસંગ બન્યો છે ત્યારે ત્યારે એમની પાસેથી દર્શન અને સંસ્કૃતિ ક્ષેત્રના પ્રવાહો વિષે કંઈક મૂલ્યવાન તથ્ય-સત્ય કે વિચાર પ્રાપ્ત થતા.
તેઓ અંગત જીવન વિષે કે વ્યાવહારિક સમાજની જળોજથ્થા વિષે ભાગ્યે જ બોલતા. આમ પણ તેઓ મિતભાષી હતા પણ જે બોલતા તે ઘણું જ અર્થસભર બની રહેતું.
એમણે દર્શનશાસ્ત્રમાં ઉત્તમ, મૌલિક અને મૂળભૂત વિચારણાને ઉજાગર કરતા ઉપાદેય ગ્રંથો આપ્યા છે. એમના ન્યાય-વૈશેષિક દર્શન, સાંખ્યયોગ દર્શન અને વિશેષતઃ ન્યાયમંજરી ગ્રંથ અઘપિ અનુપમ રહ્યા છે.
અમારા વચ્ચે વરસો સુધી એક ઉપક્રમ ચાલ્યા કર્યો. તેઓ જે ગ્રંથ લખે તેની નકલ મને મોકલે અને પૂરતા અધ્યયન બાદ હું તેનું અવલોકન લખું. તે છપાય ત્યારે તેઓ પ્રસન્નતા અવશ્ય પ્રગટ કરે. સંસ્કૃત કાવ્યોના ટીકાકાર મલ્લિનાથની પ્રતિજ્ઞા – કે “આધાર વિનાનું કોઈ વિધાન ન કરવું અને અનાવશ્યક હોય તેને પરિહરવું' – એ વર્તમાન સમયમાં સહુથી વિશેષ ચરિતાર્થ નગીનભાઈના લેખનમાં તરી આવે છે. તેથી જ તો તેમના લખાણને પૂરેપૂરું, સમજણપૂર્વક જ વાંચવું પડે. તેમની સત્યશોધનની ખેવના તેમને કોઈ સંપ્રદાય કે વાદમાં નિબદ્ધ કરી શકી નહોતી. એમનું આ પક્ષપાતમુક્ત ઉદાર વલણ સ્યાદ્વાદનું વ્યાવહારિક (applied) ઉદાહરણ છે.
આજે સંસ્કૃત-પ્રાકૃત વગેરેના અભ્યાસીઓ એમનું ધ્યાન જ્યારે માત્ર પ્રકાશિત પુસ્તકોમાં જ