________________
ખરી ખોટ !
હસુ યાજ્ઞિક
સાહિત્યાદિ કોઈ પણ જાહેરક્ષેત્રની વ્યક્તિનું નિધન થાય છે ત્યારે સામાન્ય રીતે કહેવાતું-લખાતું કે કવચિત અનુભવાતું પણ હોય છે કે અમુક ક્ષેત્રને ખોટ પડી છે, ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. શ્રી નગીનભાઈના નિધન પછી મૃત્યાંજલિ આપતાં થાય છે. મૂળ આધારરૂપ ગ્રન્થોની પૂરી જાણકારી સાથે બૌદ્ધ અને જૈનદર્શનના વિદ્વાનની ખરેખર ખોટ પડી છે ને તે પણ ન પૂરી શકાય, એવી ખરી ખોટ પડી છે.
મારા આ વિધાનની વિશેષ સ્પષ્ટતા થાય એ માટે જણાવું કે સંસ્કૃત-પ્રાકૃતના મૂળ ગ્રન્થો, વિશેષતઃ શાસ્ત્રો સમજી-સમજાવી શકે, એવા ભાષાવિદો હતા એમાં દર્શનશાસ્ત્રના પણ પૂર્ણ જ્ઞાતા કહી શકાય એવા વિદ્વાનો ન હતા, આજે પણ નથી જ! એ રીતે છયે દર્શનોના પૂર્ણ જ્ઞાતા કે વિદ્વાનો હતા અને છે તેમાં સંબંધિત દર્શનનાં સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં લખાયેલા મૂળ ગ્રન્થો વાંચી-સમજી શકનાર મારી જાણકારી પ્રમાણે-મને જેમનો પ્રત્યક્ષ પરિચય હતો એવા બે જ વિદ્વાનો : એક દલસુખભાઈ માલવણિયા અને બીજા નગીનભાઈ શાહ! દલસુખભાઈના નિધન પછી આ ધાટીના વિદ્વાન નગીનભાઈ હતા, એ હવે નથી, એથી આ ક્ષેત્રે ખરી ખોટ પડી છે. આજે દર્શનશાસ્ત્રના અભ્યાસીઓ છે, વિદ્વાનો છે, પરંતુ એમાં કોઈએ પણ સંસ્કૃત-પ્રાકૃત, અર્ધમાગધી-પાલિ ભાષાના ગ્રન્થો, મૂળ ગ્રન્થો વાંચ્યા હોય એવા કેટલા? કોણ? મોટાભાગના આ ક્ષેત્રના અભ્યાસીઓ જૈન, બૌદ્ધ દર્શન જાણે છે તે મુખ્યત્વે તત્ત્વજ્ઞાનના અંગ્રેજીમાં લખાયેલા ગ્રન્થોને આધારે, વધારેમાં વધારે જૈન-બૌદ્ધ-ધારાના મૂળ ગ્રન્થોના ભાષાન્તર દ્વારા! કોઈપણ મૂળ શાસ્ત્રગ્રન્થનું ઉત્તમોત્તમ ગણાતું કોઈપણ ભાષાન્તર ક્યારેય તે પૂર્ણ ગણી ન શકાય. આપણા શાસ્ત્રગ્રન્થો સૂત્રાત્મક હોય છે. આવાં સૂત્રોનું માત્ર શબ્દાન્તર ક્યારેક પૂરો સાચો અર્થ આપી ન શકે. અનુભવે આ જાણ્યું છે, દષ્ટાન્ત ટાંકી શકું-અલબત્ત સાહિત્યમીમાંસાના સંદર્ભે, દર્શનશાસ્ત્રના સંદર્ભે નહીં – પરંતુ વિષયાન્તર ને લંબાણ થાય. છતાં પુષ્ટિ માટે ભોજના “શૃંગારપ્રકાશ કે હેમચન્દ્રાચાર્યના “કાવ્યાનુશાસન'ના એક સૂત્ર અને ભાષાન્તરનું દષ્ટાન્ત ટાંકું. “પ્રવલ્લિકા' નામના કથાપ્રકાર માટેનું સૂત્ર છે : “પ્રધાનમ્ અધિકૃત્ય યત્ર યોઃ વિવાદ-ઇતિ પ્રવલ્લિકા' (કા.શા.અ.૮. સૂ.૯૧૧, LD પ્રકાશન, પૃ.૩૬૭) જેનું શબ્દાંતર “પ્રધાનને ઉદ્દેશીને જ્યાં બે વચ્ચે વિવાદ હોય...' અહીં પ્રધાન' = મંત્રી નથી, મધ્યસ્થી નથી જેને નક્કી કરી દષ્ટાંત કથાને આધારે પોતાના મતને પુષ્ટ કરવાનો