________________
ખંડેરોમાં આ અનોખો આશ્રમ : જ્યાં અલખ જગાવ્યો એક અવધૂતે !
ઉન્મુક્ત આકાશ, પ્રસન્ન પ્રશાંત પ્રકૃતિ, હરિયાળાં ખેતરો, પથરાળ ટેકરીઓ, ચોતરફ વિખરાયેલાં ભગ્ન ખંડેરો અને નીચે વહી રહેલી તીર્થ-સલિલા તુંગભદ્રા-આ બધાંની વચ્ચે ‘રત્નકૂટ'ની પર્વતિકા પર ગિરિ કંદરાઓમાં છવાઈ ફેલાઈને ઊભો છે આ એકાંત આત્મસાધનનો આશ્રમ, જંગલમાં મંગલવત્ !
-
ભગવાન મુનિસુવ્રતસ્વામી અને ભગવાન રામના વિચરણની ને વાલી-સુગ્રીવહનુમાનજી તેમજ અનેક વિદ્યાઘરોની આ રામાયણકાલીન ‘કિષ્કિન્ધાનગરી’ અને કૃષ્ણદેવરાયના વિજયનગર સામ્રાજ્યની જિનાલયો-શિવાલયો-રામમંદિરો અને રાજપ્રાસાદોવાળી આ સમૃદ્ધ રત્નનગરી કાળક્રમે કોઈ સમયે ખંડેરોની નગરી બનીને પતનોન્મુખ બની ગઈ......! પરિણામસ્વરૂપે, તેની મધ્યમાં વસેલી રત્નકૂટ પર્વતિકાની પ્રાચીન આત્મજ્ઞાનીઓની આ સાધનાભૂમિ અને મધ્યયુગીન વીરોની રણભૂમિ આ પતનકાળ દરમ્યાન હિંસક પશુઓ, વ્યંતરો, ચોર-લુંટારાઓ અને પશુબલિ ચઢાવનારા દુરાચારી હિંસક તાંત્રિકોનાં કુકર્મોનો અડ્ડો બની ગઈ અને એણે રુદ્ર-ભૂમિનું રૂપ ધારણ કર્યું.
પરંતુ એક દિવસ સુદૂર હિમાલય ભણીથી આ ધરતીની અંદરનો પોકાર સાંભળીને, તેની સાથેનો પોતાનો પૂર્વસંબંધ જાણીને, તેને ‘રૌદ્ર’માંથી પુનઃ ‘સૌમ્ય’રૂપ આપવા આવ્યો એક અવધૂત આત્મયોગી. અનેક કષ્ટો, કસોટીઓ, અગ્નિપરીક્ષાઓ, ઉપસર્ગ-પરિષહો અને પારાવાર પ્રતિકૂળતાઓ વચ્ચેથી તેણે અહીં આત્માર્થનો અલખ જગાવ્યો, બેઠો એ પોતાની અલખ-મસ્તીમાં, ભગાવ્યા તેણે ભૂત-વ્યંતરોને, ચોરલુંટારાઓને, હિંસક દુરાચારીઓને અને આ પાવન ધરતી ફરીને મહેકી ઊઠી....
અને પછી..... પછી અહીં લહેરાઈ ઊઠ્યો આત્માર્થના ધામ, સાધકોના સાધનાસ્થાન અને કવિ-કલાકારોની કલ્પનાભૂમિ-શો આ આશ્રમ ! ભવ્ય તેનો ઇતિહાસ છે, વિસ્તૃત તેના મહાયોગીનું જીવનવૃત્તાંત છે, જે આજે અનેકરૂપે શબ્દાંકિત, સ્વરાંકિત અને ધ્વન્યાંકિત થઈ રહેલ છે.
પરંતુ આ અલખયોગી તો અસમયે જ એક દિવસ ચાલી નીકળ્યા, ૨જી નવેમ્બર ૧૯૭૦ કારતક શુકલા બીજને દિને મહાજાગૃત પૂર્વસૂચિત, આત્મસમાધિપૂર્વક, પોતાની ચિરયાત્રાએ, ચિરકાળને માટે-અનેકોને રોતાં-તડપતાં છોડીને અને અનેકોના ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ
૧૩૩