________________
વિવિધ ચિત્રો સહ સરલ
આ પુસ્તકની ઉપયોગિતાનો અનુભવ
(જૂની આવૃત્તિમાંથી ઉદ્ધૃત)
સાચી વાત એ છે કે આરાધક આત્માઓએ, જો તેઓને આરાધના પ્રત્યે ખરેખરો ૨સ જાગ્યો હોય તો પ્રતિક્રમણનાં સૂત્રોને અવશ્ય કંઠસ્થ કરી લેવાં જ જોઈએ અને તેના અર્થનું પણ જ્ઞાન મેળવી લેવું જ જોઈએ. અર્થના અભાવે એકલા સૂત્રના સાવ અપરિચિત શબ્દોને શ્રદ્ધાવાન વ્યક્તિઓ આદર અને બહુમાનપૂર્વક ભલે શ્રવણ કરે પણ તેટલા માત્રથી યથાર્થ આનંદની અનુભૂતિ નહીં અનુભવાય. ખરેખર! આ ક્રિયા સાથે તાદાત્મ્ય સાધવું હોય તો તેનાં અર્થરહસ્યોનું જ્ઞાન લેવું જ પડશે.
૧૨
મારું અનુમાન છે કે આપણે ત્યાં ૯૦ ટકા વર્ગ એવો છે કે પ્રતિક્રમણનાં પૂરાં સૂત્રોને જાણતો જ નથી. ૯૫ ટકા વર્ગ એવો છે કે જેને અર્થજ્ઞાન નથી. ફક્ત જૈન હોવાના કારણે મને કે કમને પ્રતિક્રમણ કરવા આવશે. ત્રણ કલાક બેસી પણ જશે પણ તે વખતે પોતે માત્ર એક પ્રેક્ષક હોય તેવી લાગણી અનુભવશે, કાં ઊંઘશે, કાં વાતો કરશે, ઠઠ્ઠા મશ્કરી કરશે, ડાફોલીયાં મારશે, પોતાનું બગાડશે અને સાથે બીજાનું ડોળાવી બગાડશે, છેવટે કંઈ નહિ તો આખી દુનિયાની ચિંતા કરતો સૂનમૂન બેસી રહેશે. પ્રતિક્રમણ પૂરું થયા બાદ એને પૂછો કે તે શું કર્યું? તને કંઈ સમજાયું? તને આનંદ આવ્યો? તેનો ઉત્તર શું હશે તે લખવાની મારે જરૂર ખરી? માટે જ તેનાં અર્થ કે ભાવાર્થનો ખ્યાલ મેળવી શકે તો તે સારી કમાણી કરી શકે.
સાથે એ પણ જણાવું કે આનો અર્થ કોઈ એવો ન કરે કે અર્થનું જ્ઞાન ન મેળવીએ ત્યાં સુધી પ્રતિક્રમણ કરવું જ નહિ. એ પણ મિથ્યા-અજ્ઞાન વચન છે, ખોટો વિચાર છે. કેમકે પૂ. ગણધર ભગવંત પ્રણીત સૂત્રોમાં એવી તાકાત બેઠી છે કે શ્રદ્ધા અને આદરપૂર્વક શ્રવણ કરવામાં આવે તો સાંભળનારને લાભ થાય જ છે. આ માટે હરડે ઔષધિ અને ચિંતામણિ રત્ન વગેરેના દાખલા જાણીતા છે. પણ સાથે અર્થનું રીતસર જો જાણપણું હશે તો તેઓને આધ્યાત્મિક આનંદ અનેરો આવશે.