________________
અપૂર્વ અવસર આ ભાવનાના પગથિયાં કહ્યાં છે તે પગથિયાંનું ઉપર સુધીનું દર્શન એમને કેટલું સ્પષ્ટ છે!
હવે આપણે એના ભાવ ચારિત્ર અને દ્રવ્ય ચારિત્રને જોઈશું. એક એક લીટીએ એક એક સોપાને જળહળતો વૈરાગ્ય જોવા મળશે. ગાંધીજીએ લખ્યું કે, અપૂર્વ અવસર'ની પહેલી બે ગાથાઓમાં જે વૈરાગ્ય જળહળી રહ્યો છે એવો જળહળતો વૈરાગ્ય મેં બે વર્ષના એમના જીવનના, મારા રોજના સાનિધ્યમાં, શ્રીમના જીવનમાં નીતરતો જોયો. એના જીવનમાં વૈરાગ્ય નીતરતો હતો. જગતના કોઈપણ પદાર્થમાં ક્યારે પણ એને મોહ બુદ્ધિ થઈ હોય એવું મેં જોયું નથી.’ આ ગાંધીજી લખે છે ત્યારે શ્રીમદ્જીની ઉંમર ૨૫વર્ષની હતી. અને ઝવેરી બજારમાં, મુંબઈમાં, પેઢી ઉપર, સાંજના સમયે, ધીકતો ધંધો ચાલતો હતો એ સમયમાં શ્રીમદ્જીમાં આવો વૈરાગ નિતરતો હતો.
ગાંધીજી ત્યારે બ્રીફ-લેસ બેરીસ્ટર હતા. એક પણ કેસ તેમની પાસે નહોતો. એટલે રોજ સાંજે શ્રીમદ્જી પાસે પેઢી પર આધ્યાત્મિક વિષયની ચર્ચા કરવા જતા. અને રાયચંદભાઈ એમને પ્રેમથી આવકારતા કારણ રાયચંદભાઈએ ગાંધીજીમાં વિશ્વની વિભૂતિના દર્શન કર્યા હતા. ગાંધીજીએ લખ્યું, ‘મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ રાયચંદભાઈના જીવનમાંથી તો મેં કુંડા ભરી ભરીને સત્ય અને અહિંસાનું પાન કર્યું છે. આવું એમણે ઝવેરી બજાર પરની પેઢી પરના સત્સંગમાંથી મેળવ્યું. આવા પુરુષ જેનો આવો સત્સંગ છે- જેનો વૈરાગ્ય આવો જળહળી રહ્યો છે એવા પુરુષે- જૈન દર્શનમાં સમક્તિ પ્રાપ્ત થાય, દેહ અને આત્માની ભિન્નતાનો બોધ થાય પછી જીવને કેવા પ્રકારની અભિલાષા હોય, અને નિગ્રંથ કેવી રીતે થાય તે નિગ્રંથપદની ઉત્કૃષ્ટ ભાવનાનું સ્વરૂપ આપણને ત્રણ ગાથાઓમાં બતાવ્યું. વિશેષ સ્વરૂપની અનુપ્રેક્ષા આપણે હવેની ગાથાઓમાં કરીશું.
અપૂર્વ અવસર
સ્વાધ્યાય - ૨ નિગ્રંથનુ ભાવ ચારિત્ર - (ગાથા - ૪,૫,૬) પર્યુષણ પર્વની આ આરાધનામાં શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણિત ‘અપૂર્વ અવસર’ની વિચારણા ચાલે છે. અનંતના પરિભ્રમણમાં, ચારે ગતિના રખડપાટમાં, જીવ અનેક યોનિમાં ગયો, વિભિન્ન યોનિમાં ગયો, જુદી જુદી દિશાઓમાં ભૂલ્યો, ભટક્યો, આથડ્યો, રઝળ્યો અને બધી જગ્યાએ દુ:ખને જ પામ્યો. આટલા સંસારના પરિભ્રમણમાં એને ક્યાંય સુખની અનુભૂતિ ન થઈ. ભીષણ નરકગતિ, નિકૃષ્ટ તિર્યંચગતિ, અને માનવગતિની અંદર પણ આ જીવને સુખની છાયા ન મળી. પરમકૃપાળુ દેવ કહે છે, “પ્રાયે જગતમાં પરિભ્રમણ કરતાં જીવને શાતા કરતાં અશાતાનો ઉદય જ વેદાતો હોય છે. ક્યારેક એને શાતા લાગે છે. પણ અંતરદાહ તો બળ્યા જ કરતો હોય છે. સંસાર એકાંતે ત્રિવિધતાપથી બળતો છે. સંસારનું સ્વરૂપ આધિ-વ્યાધિ અને ઉપાધિનું છે. એનું પરિણામ પાપ, સંતાપ અને ઉતાપ છે. સંસારમાંથી સુખની પ્રાપ્તિ સંભવી ન શકે. મૃગજળ જેવું સુખ આવે. ભ્રાંતિગત પણે જીવ એને સુખ માની લે. પરંતુ તે સુખ અનિત્ય, વિનાશી અને સમયે સમયે પલટાતું છે. તે સુખની પાછળ દુઃખની છાયા છે. જેમ કાયાની પાછળ અંધકારની છાયા હોય જ છે તેમ સંસારના કોઈપણ સુખની પાછળ દુ:ખની છાયા હોય જ છે. એ છાયાથી રહિત સુખનો કોઈપણ પ્રકાર સંસારમાં નથી. એટલે આ જીવાત્મા દુઃખની અનુભૂતિ કરતો કરતો અવ્યક્તપણે જ્યારે દુ:ખમાંથી મુક્ત થવાની એને જયારે વિચારણા ઉદ્ભવે છે ત્યારે એ જીવ આત્મવિકાસની પ્રગતિ કરતો કરતો આગળ વધે છે. જ્ઞાનીઓ કહે છે કે એ જીવ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવ્યો. ત્યાંથી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિય, ફરી માનવગતિ, ફરી તિર્યંચગતિ, ફરી નારકીગતિ, ફરી દેવગતિ, આવી રીતે પોતાના શુભાશુભ ભાવો અને તે ભાવોના ચડ-ઉતર પ્રમાણ પ્રમાણે ચારે ગતિમાં રખડ્યો. ક્યાંય એને સુખની પ્રાપ્તિ ન થઈ. પણ અંતરમાં છુટવા માટેની એક અભિલાષા જાગી છે. કોઈ આત્માના પ્રદેશો જાગૃત થયા અને આત્માના ગુણો તરફ લક્ષ થયું. સુખ એ આત્માનો સ્વભાવ છે. આનંદ એ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન અને દર્શન એ આત્માના ગુણ છે. એ શરીરનો સ્વભાવ નથી.
૩૧
સપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.