________________
અપૂર્વ અવસર આવા અનંત વીર્યની લબ્ધિ, પૂર્ણ પ્રકાશ જો એમ પંદરમી ગાથામાં ભગવાન કહે છે અને સોળમી ગાથામાં ભગવાન કહે છે અઘાતીકર્મ તો હવે આકૃતિરૂપે રહી ગયા છે. બળેલી સીંદરી જેવા. અને એ પણ આયુષ્ય છે, ત્યાં સુધી એની સ્થિતિ છે. પછી નથી. અને આ આયુષ્ય પૂર્ણ થાય એટલે એ આત્માને પણ હવે દેહના પાત્રમાં રહેવાની જરૂર નથી. ‘આયુષ્ય પૂર્ણ મટિયે દૈહિક પાત્ર જો.’ અમે પણ અત્યારે તો દેહમાં છીએ. સર્વજ્ઞ ભગવાન પણ અત્યારે દૈહિક પાત્રમાં છે પણ આ આત્માનું સ્થાન દેહ નથી. પણ આયુષ્ય છે. ત્યાં સુધી મુક્તિ હોવા છતાં અમે આ દૈહિક પાત્રમાં બંધાયેલા છીએ. એટલે આગળનો પુરુષાર્થ પ્રગટાવે છે. ‘આયુષ્ય પૂર્ણ મટિયે દૈહિક પાત્ર જો.’ આ શબ્દ કૃપાળુદેવે જબરજસ્ત મુક્યો છે. હવે આ દૈહિક પાત્ર અમે સમાપ્ત કરી દઈશું. દૈહિક પાત્ર ક્યું? મન, વચન, કાયાના જે પુદ્ગલ સંબંધ છે તે પણ હવે છૂટવા લાગ્યા.
સત્તરમી ગાથામાં અયોગી ગુણસ્થાનકની વિચારણા કરી. એ અયોગી ગુણસ્થાનક કે જ્યાં મન, વચન, કાયાના યોગને રૂંધવાની ક્રિયા કરી, આયુષ્યનો યોગ જેમ સમાપ્ત થતો ગયો એમ પોતે તો હવે દેહથી ભિન્ન છે એટલે દેહના આયુષ્યના યોગ અને દેહની જે છ પર્યાપ્તિ પ્રાપ્ત થઈ છે, એ છયે પર્યાપ્તિ સમાપ્ત થાય છે. એવું એના જ્ઞાનમાં દેખાય છે એ તો સર્વજ્ઞ છે. સર્વ ભાવને જાણે છે. એટલે દેહને તથા મન, વચન, કાયાના ભાવને પણ જાણે છે. હવે આના શ્વાસોચ્છશ્વાસ ઘટવા માંડ્યા છે અને એવો છેલ્લો શ્વાસ જ્યારે પાંચ હ્રસ્વસ્વર રહે, ત્યારે દેહ છોડે તે પહેલાં આત્મા એમાંથી નીકળી જાય છે. આ ચૌદમા ગુણસ્થાનકનું અપૂર્વ પરાક્રમ. આત્માનો છેલ્લો બળપૂર્વકનો, એવો જબરજસ્ત પુરુષાર્થ કરે છે કે એ અયોગીનો પુરુષાર્થ સામાન્ય જીવોનાં લક્ષમાં ન આવી શકે. અયોગીકરણનો પુરુષાર્થ છે કે તે સમયે એ આયુષ્યના છેલ્લા શ્વાસને પારખે છે. સામાન્ય જ્ઞાની પણ છેલ્લા ત્રણ દિવસ પહેલાં પોતાના જીવનનો અંત સમય જાણી શકે છે. આ જ્ઞાનનું લક્ષણ છે. જો આત્માની જાગૃતિ હોય તો શરીર સાથેના કર્મના બંધનો હળવાં થતાં જાય છે એ જીવને પોતાને ખ્યાલમાં આવે. જો જ્ઞાનદશા હોય તો. બાકી તો છેલ્લે સુધી જ મૂર્છા રહે અને દેહ ઉપરની જ મમતા રહે. ઉદયગત સર્વસંગ પરિત્યાગ હોય અને ન પણ હોય. જીવ કદાચ
૧૫૬
અપૂર્વ અવસર
ગૃહસ્થપણામાં હોય, સંસારી હોય, ગમે તે અવસ્થામાં હોય પણ જાગૃતિ હોય તો એને છેલ્લી દેહ છૂટવાની અવસ્થાનું ભાન થાય અને તે તે અવસ્થામાં સમાધિસ્થ થાય. અને જો આ જાગૃતિ ન હોય અને દેહની આળપંપાળમાં હોય તો એ જ્ઞાનીનું લક્ષણ નથી. આત્માની પણ ત્યાં સત્તા છે. દરેક વખતે ઉદય શબ્દ નહીં વાપરવાનો. ઉદય વખતે આત્મા જાગૃત કેટલો છે? ઉદય તો અનાદિકાળથી છે. પણ આત્માની જાગૃતિ છે તે જ ઉદયનો નાશ કરશે. એક કર્મ ભોગવાય ત્યાં બીજું બંધાય. એટલે જ અનાદિ અનંતનું પરિભ્રમણ કીધું છે કે ભાઈ! જો તું જાગૃત નહી થાય તો તારો ઉદય કંઈ સમાપ્ત નહીં થાય. તારી જાગૃતિ હશે તો જ ઉદય સમાપ્ત થશે. જો આત્મજાગૃતિનો પુરુષાર્થ ન હોય તો જીવ એમ કહે કે, ‘કર્મો જ્યારે ખપવાના હશે ત્યારે ખપશે.' આ તો અનાદિનું ચક્કર છે, આ કર્મોનો Stock ક્યારેય ખૂટશે નહીં. માટે ઉદય ઉપર પણ આત્મશક્તિનો વિજય મેળવો. જ્ઞાનની અંતિમ અવસ્થા એ એનું પરિક્ષણ છે. અહિંયા એ પરિક્ષણની કેવળી અવસ્થાની અંદર ચૌદમું ગુણસ્થાનક આપ્યું છે. કે જ્ઞાનદશા યુક્ત જીવને દેહના પોતાના બધા ઘાતી કર્મો પણ જઈ રહ્યા છે. અને બધા જ ભાવને જાણનાર એ સર્વજ્ઞ પરમાત્મા એ ભાવને પણ જાણે છે કે આ દેહનો મન, વચન, કાયાના, પરમાણુનો સંબંધ આ આત્માથી છૂટી રહ્યો છે. એટલે પાંચ હ્રસ્વસ્વરનો ઉચ્ચાર કરીએ એટલી વારમાં, છેલ્લો ઉચ્છશ્વાસ - એટલી વારમાં આ આત્મા બળ કરીને ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે. અને આવું ગુણસ્થાનક જેને કૃપાળુદેવે તો ત્રણ શબ્દોમાં કહી દીધું - મહાભાગ્ય, સુખદાયક, પૂર્ણ અબંધ.
અહીં અબંધ અને પૂર્ણ અબંધનો ભેદ સમજવો. અબંધ-કેવળજ્ઞાની અબંધ છે પણ પૂર્ણ અબંધ નથી. એને ઈર્ષ્યાપથિકી ક્રિયાનો બંધ ચાલુ છે અને એ કારણબંધનું કારણ એમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ટળ્યા છે. પણ ‘યોગ’ વિદ્યમાન છે. યોગ એ બંધનું કારણ છે. અને કારણ વિદ્યમાન હોય તો કાર્ય બને જ. કારણ Effect invariably follows the cause. કારણ હોય તો કાર્ય અવશ્યમેવ પરિણમે. માટે અહિં યોગનું કારણ છે. પણ હવે અયોગી અવસ્થા જે ચૌદમા ગુણસ્થાનકમાં છે તેને કહે છે ‘પૂર્ણ અબંધ’ ક્રિયા છતા બંધ નહીં. એની ક્રિયા દેખાવમાં ન આવે તો પણ પરિણામથી પરખાય. અને પ્રત્યેક પદાર્થ અર્થ
૧૫૭