________________
(૫૪) પુષ્પચૂલાની કથા
૨૧૫
પુષ્પચૂલાની કથા
કે
પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ નામે રાજા હતો. તેને પુષ્પવતી નામે પટ્ટરાણી હતી. એકદા તેણે બે બાળકોને (પુત્રપુત્રીરૂપ જોડકાને) જન્મ આપ્યો. તેમાં પુત્રનું નામ પુષ્પચૂલ અને પુત્રીનું નામ પુષ્પચૂલા પાડ્યું. અનુક્રમે તે બન્ને યૌવનાવસ્થા પામ્યા અને સર્વ કળામાં કુશળ થયા. તેઓને પરસ્પર અતિ સ્નેહ બંધાયો, તેથી એક બીજા વિના તેઓ એક ક્ષણ પણ રહી શકતા નહોતા. તે જોઈને એકદા તેના પિતાએ વિચાર કર્યો કે ‘આ સાથે જન્મેલા પુત્રપુત્રી પરસ્પર અત્યંત સ્નેહવાળા છે, તેથી જો તેમાંથી પુત્રીને બીજે પરણાવીશ તો તેમના સ્નેહનો ભંગ થશે; માટે એ બન્નેનો જ પરસ્પર લગ્ન સંબંધ થાય તો તેમને વિયોગ ન થાય.' એ પ્રમાણે ચિંતવી નાગરિક લોકોને બોલાવીને રાજાએ પૂછ્યું કે ‘અંતઃપુરમાં ઉત્પન્ન થયેલા રત્નને સ્વેચ્છાથી જોડવા કોણ સમર્થ છે તે કહો.’ તે સાંભળીને તેનો આશય નહીં જાણનારા પ્રઘાન પુરુષોએ કહ્યું કે ‘હે રાજન્! સંસારમાં જે જે રત્ન ઉત્પન્ન થાય છે તેને બીજાની સાથે જોડવા રાજા સમર્થ થાય છે, તો અંતપુરમાં ઉત્પન્ન થયેલા રત્નને જોડવા રાજા સમર્થ થાય તેમાં તો શું કહેવું! એ પ્રમાણે છળવડે તેઓની અનુજ્ઞા મેળવીને અંતઃપુરની સ્ત્રીઓએ અટકાવ્યા છતાં પણ રાજાએ તે બન્ને ભાઈબહેનનો લગ્નસંબંધ કર્યો. એ કાર્ય ઘણું જ અસમંજસ (અયોગ્ય) થયેલું જોઈ તેમના માતા પુષ્પવતીએ વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. પછી તે તપ તપી કાળ કરીને દેવપણે ઉત્પન્ન થઈ. પુષ્પકેતુ રાજા પણ અનુક્રમે પરલોકમાં ગયો. એટલે પુષ્પસૂલ કુમાર રાજા થયો. તેણે પોતાની પરણેલી બહેન પુષ્પચૂલાને પટ્ટરાણી કરી અને તેની સાથે વિષયસુખ ભોગવતો સતો ઘણો કાળ વ્યતીત કર્યો.
એકદા તેમની માતાનો જીવ જે દેવ થયો છે તેણે અવધિજ્ઞાનથી જોયું, એટલે તેને પૂર્વભવના પુત્રપુત્રી ઉપર પ્રીતિ ઉત્પન્ન થવાથી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ‘આ મારા પૂર્વભવના પુત્ર અને પુત્રી આવા પ્રકારનું પાપકર્મ કરી નરકમાં જશે, તેથી હું તેમને પ્રતિબોધ પમાડું.' એમ વિચારી તેણે પોતાની પુત્રી પુષ્પચૂલાને રાત્રિએ સ્વપ્નમાં નરકનાં દુઃખો દેખાડ્યાં. તે જોઈને તે ભયભીત થઈ ગઈ. સવારે તેણે રાજાની આગળ સ્વપ્નની હકીકત કહી. રાજાએ પણ નરકનું સ્વરૂપ પૂછવા માટે અન્યદર્શની યોગીઓ વગેરેને બોલાવ્યા અને નરકનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે તેઓએ જણાવ્યું કે ‘હે રાજન્! શોક, વિયોગ અને ભોગમાં પરાધીનતા વગેરે નરકનાં દુ:ખો જાણવાં.' ત્યારે પુષ્પચૂલા રાણીએ કહ્યું કે મેં જે દુઃખો રાત્રે સ્વપ્નમાં જોયાં છે તે તો જુદાં છે.' પછી અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી રાજાએ પૂછ્યું–‘હે સ્વામિન્! નરકનાં દુઃખો કેવા હોય છે?” તેના ઉત્તરમાં આચાર્યો, રાણીએ જેવાં નરકના દુઃખો સ્વપ્નમાં જોયાં હતાં તેવાં જ કહી બતાવ્યાં. તે