________________
(૬૨) કંડરિક અને પુંડરિકની કથા
૨૫૧
તેથી તે અનુક્રમે નીરોગી થયા, એટલે સ્થવિરોએ વિહાર કરવા માટે રાજાની રજા માગી, પરંતુ મિષ્ટ ખાનપાનમાં મૂર્છા પામેલા કંડરીકે રાજા પાસે વિહાર કરવાની રજા માગી નહીં. ત્યારે પુંડરીક રાજા સ્થવિરને વંદના કરી પોતાના ભાઈની પ્રશંસા કરવા લાગ્યો કે ‘હે ભાઈ! તમે ધન્ય છો, પુણ્યવાન છો અને તમે કૃતાર્થ છો. તમે ઉત્તમ મનુષ્યજન્મનું અને જીવનનું ફળ પામ્યા છો. કેમકે તમે ચારિત્ર ગ્રહણ કરી તપ અને સંયમનું આરાધન કરો છો. હું તો અધન્ય છું અને અપુણ્યવાન છું કેમકે રાજ્યમાં મૂર્છા પામીને રહેલો છું.' આ પ્રમાણે રાજાએ તે કંડરીક મુનિની ઘણી સ્તુતિ કરી, પરંતુ તે મનમાં જરા પણ આનંદ પામ્યો નહીં, છતાં તેણે લજ્જિત થઈને રાજાની આજ્ઞા લઈ સ્થવિર સાથે વિહાર કર્યો.
એ પ્રમાણે એક હજાર વર્ષ સુધી કંડરીક મુનિ ચારિત્રનું પાલન કરતાં છતાં છેવટે ભ્રષ્ટ પરિણામવાળો થયો. તેથી તે એકલો જ ગુરુની આજ્ઞા લીધા વિના પુંડરીકિણી નગરીમાં આવ્યો, અને રાજાના મહેલની પાસેના અશોક વનમાં અશોક વૃક્ષની શાખાપર પોતાનાં ઉપકરણો મૂકીને તે વૃક્ષની નીચે દુભાયેલા મનવાળો તે ચિંતાતુરપણે બેઠો. તે વખતે તેને રાજાની ઘાવમાતાએ જોયો, એટલે તેણે આવીને પુંડરીક રાજાને તે વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજા તેની પાસે ગયો. તેને જોઈને જ તેણે તેનો અભિપ્રાય જાણી લીધો એટલે એકાંતમાં રાજાએ તેને પૂછ્યું કે ‘હે ભાઈ! તને ભોગ ભોગવવાની અભિલાષા થઈ છે?' તે બોલ્યો કે ‘હા, મને રાજ્ય ભોગવવાની ઇચ્છા થઈ છે.’ તે સાંભળીને પુંડરીક રાજાએ પોતાના કુટુંબીઓને બોલાવીને કંડરીકનો રાજ્યાભિષેક કર્યો, એટલે કંડરીક રાજા થયો. તે જ દિવસે કૃશ શરીરવાળા તે કંડરીકે અતિ રસવાળો આહાર કર્યો; તેથી દેહમાં મહા વેદના ઉત્પન્ન થઈ, પણ તેનું કોઈએ કાંઈ પણ ઔષધ કર્યું નહીં. બધાએ જાણ્યું કે ‘આ પાપિઠે ચારિત્ર છોડીને રાજ્ય ગ્રહણ કર્યું છે, તે અમને શું સુખ આપવાનો હતો ?’ આ પ્રમાણે થવાથી કંડરીકને પ્રઘાન વગેરે ઉપર અત્યંત ક્રોધ ચડ્યો. તેથી તેણે વિચાર કર્યો કે “ઠીક છે, હમણાં કોઈ પણ મારી સેવા કરતું નથી, પરંતુ જ્યારે હું સારો થઈશ ત્યારે આ સર્વનો નિગ્રહ કરીશ.” એ પ્રમાણે અત્યંત રૌદ્ર ધ્યાન કરતો તે જ રાત્રિએ મૃત્યુ પામીને તે સાતમી નરકે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયો.
આ પ્રમાણે જે કોઈ ચારિત્રનો ત્યાગ કરીને વિષયની અભિલાષા કરે છે તે કંડરીકની જેમ દુર્ગતિને પામે છે.
કંડરીકને રાજ્ય આપીને તરત જ પુંડરીક પોતાની મેળે ચાર મહાવ્રતો ઉચ્ચરીને, તે કંડરીકનાં જ ઉપકરણો લઈ, સ્થવિરને વંદન કર્યા પછી જ આહાર
૧. મહાવિદેહ ક્ષેત્રમાં ચાર જ મહાવ્રત હોય છે, બાવીશ પ્રભુની જેમ.