________________
८६
શોધ-ખોળની પગદંડી પર અનુસારપ બિલ્વમંગલની ‘બાલગોપાલસ્તુતિ ની સચિત્ર હસ્તપ્રતો ઈ.સ. ૧૪૨૫થી ગુજરાતમાં તૈયાર થયેલી છે, જે બિલ્વમંગલની કૃષ્ણભક્તિની ગુજરાતમાં લોકપ્રિયતા હોવાનું દર્શાવે છે. ભક્ત વિષ્ણુપુરી અને તેની ભક્તિરત્નાવલિ એ લેખમાં મંજુલાલ મજમુદારે એ હકીકત પ્રત્યે ધ્યાન દોર્યું છે કે કૃષ્ણભક્તિને લગતાં ખ્યાતિપ્રાપ્ત કાવ્યોનો ગુજરાતમાં પ્રચાર થયો તે દ્વારકાની યાત્રાએ ભારતભરમાંથી સંતો અને ભક્તો આવતા હતા તેને આભારી છે.
આમ, પંદરમી શતાબ્દીથી, ગુજરાતના કવિઓની સમક્ષ “હરિવંશ', વિષ્ણુપુરાણ’ અને ‘ભાગવત' (‘દશમસ્કંધ') એ કૃષ્ણભક્તિના પ્રશિષ્ટ સંસ્કૃત મૂલગ્નોતો હતા એટલું જ નહીં, પણ તે ઉપરાંત પ્રાકૃત-અપભ્રંશ જૈન-જૈનેતર સાહિત્યની પરંપરા અને જયદેવ, બિલ્વમંગલ અને બોપદેવની મધ્યકાલીન સંસ્કૃત રચનાઓ પણ હતી. આ ગ્રંથોનો આધાર લઈને પ્રથમ ગુજરાતી ભક્તકવિ નરસિંહ મહેતાના પુરોગામીઓ અને સમકાલીન કવિઓએ કૃષ્ણચરિતને લગતી જે રચનાઓ જૂની ગુજરાતીમાં કરી છે, તેમાં “કૃષ્ણકર્ણામૃત” અને “વિષ્ણુપુરાણ” જેવામાંથી ઉદ્ધરણો આપેલાં છે. આવી કેટલીક રચનાઓને પ્રકાશમાં લાવવાનું શ્રેય અધ્યાપક ભાયાણીને ફાળે જાય છે. આ કૃતિઓના સંદર્ભે ભીમ, કેશવદાસ અને ભાલણની ‘ભાગવતના દશમ સ્કંધને લગતી રચનાઓ ફરી તપાસવાની જરૂર છે.
રાઉલ કાકૃત “કૃષ્ણક્રીડિત' પંદરમી શતાબ્દીમાં ૧૦૮ શાર્દૂલવિક્રીડિત છંદોમાં રચેલું કાવ્ય છે. તેના શરૂઆતના ૩૪ પદ્યોમાં કૃષ્ણ અને ચંદ્રાવલીનો વિયોગ, કૃષ્ણ અને રાધાનો વિયોગ અને અંતે ત્રણેયનું પુનિર્મિલન વર્ણવ્યાં છે. ૩૫થી ૭૧ સુધીના પદ્યોમાં વસ્ત્રહરણસહિત રાસલીલાનું વર્ણન છે. ૭૨થી ૭૫ પદ્યોમાં યશોદાના જનનીસ્નેહની સ્તુતિ છે. કાવ્યના શેષભાગમાં કૃષ્ણની અને કૃષ્ણભક્તિની સ્તુતિ છે. છેલ્લાં આઠ પદ્યો સંસ્કૃતમાં છે. કાવ્યની શૈલી ઉપર “ગીતગોવિંદ'નો પ્રભાવ છે. ભાયાણીએ ભારતીય સંસ્કૃતિ વિદ્યમંદિર અને ગુજરાત વિદ્યાસભાના સંગ્રહોમાંથી પ્રાપ્ત ત્રણ હસ્તપ્રતોને આધારે “કૃષ્ણક્રીડિત'નું સંપાદન ૧૯૮૮માં કર્યું. તેમના પુસ્તક રાસલીલા' માં જે બીજી કૃતિ પ્રકાશિત કરી છે તે છે આશરે સોળમી શતાબ્દીનું અજ્ઞાતકર્તક “હરિવિલાસ-ફાગુ', જેનો આધાર ભારતીય વિદ્યા ભવનના સંગ્રહમાં મળતી એકમાત્ર હસ્તપ્રત છે. ૨૯ “હરિવિલાસની શરૂઆતની ૩૧ કડીઓમાં કૃષ્ણની બાલચેષ્ટા અને પૂતના, કેશી, પ્રલંબ, વૃષ વગેરે અસુરોનો બાળકૃષ્ણ કરેલો વધ વર્ણવ્યો છે. ઉપરાંત કાલિયદમન, ગોવર્ધનધરણ અને યશોદાનું વિશ્વરૂપદર્શન પણ આવરી લેવાયાં છે. કવિએ ૨૪થી ૩૧ કડીમાં દાણલીલા અને ૩૨થી ૧૩૨ કડીમાં રાસલીલા નિરૂપી છે, જેમાં શરદવર્ણન, કૃષ્ણનું રૂપ, વેણુવાદન, ગોપીઓનું ગમન, એમનો કૃષ્ણવિયોગ,