Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૦ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છે
25 આકાશમાં વાદળા આવે ને જાય. ધોળા વાદળ પણ આવે ને કાળા વાદળ પણ આવે. વાદળા વરસે પણ ખરા, ને ના પણ વરસે. પણ વાદળના ભરોસે ચાલી ન શકાય. છલાંગ લગાવીને વાદળ ઉપર બેસી ન જવાય. બાકી હાડકાં ભાંગી જતાં વાર ન લાગે. એ જ રીતે વિચાર અને વિકલ્પો પણ વાદળ જેવા છે. ચિત્તાકાશમાં તે આવે ને જાય. તે પ્રશસ્ત પણ હોય ને અપ્રશસ્ત પણ હોય. તે સફળ પણ બને અને ક્યારેક નિષ્ફળ પણ બને. પરંતુ પ્રશસ્ત વિચાર-વિકલ્પસ્વરૂપ વાદળના ભરોસે મોક્ષમાર્ગે ચાલી ન શકાય. તેમાં લાંબો સમય રોકાણ ન કરાય. અતીતના દર્દમય સંસ્મરણોમાં અને અનાગતની મહત્ત્વાકાંક્ષાપૂર્ણ કલ્પનામાં રસપૂર્વક ખોવાઈ જવું તે વિકલ્પના વાદળ ઉપર આસન જમાવવા સમાન છે. એનાથી આત્માના સાધનારૂપી હાડકાંનો ઘણી વાર ચૂરેચૂરો થઈ ગયેલ છે.
વિવેકી માણસ વાદળાને જોવામાં ખોટી થવાના બદલે (વાદળાની આસપાસ કે વાદળાની વચ્ચે દેખાવા છતાં પણ) વાદળોની પેલે પાર આકાશમાં રહેલા એવા ઉગતા સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાને જોવા દ્વારા પોતાની આંખને વધુ તેજસ્વી બનાવે છે. તે રીતે દેહાત્મભેદજ્ઞાનરૂપી વિવેકદૃષ્ટિને ધરાવનાર આત્માર્થી સાધક વિચાર-વિકલ્પાત્મક વાદળમાં અટવાયા વિના, વિકલ્પવાદળની આસપાસ જણાવા છતાં પણ વિકલ્પવાદળની પેલે પાર ચિદાકાશમાં રહેલા એવા મતિજ્ઞાનરૂપી ટમટમતા તારલા, શ્રુતજ્ઞાનસ્વરૂપ નમણાં નક્ષત્રો, અવધિજ્ઞાનાત્મક તેજસ્વી ગ્રહો, મન:પર્યવજ્ઞાનરૂપ સૌમ્ય ચન્દ્ર તથા કેવલજ્ઞાનસ્વરૂપી ઉગતા સૂર્યના દર્શન કરવા દ્વારા પોતાની વિવેકદૃષ્ટિને વધુ તેજસ્વી અને નિર્મળ બનાવે છે. આશય એ છે કે મતિજ્ઞાનાદિમાં વણાયેલી શુદ્ધચેતના ઉપર સાધકની રુચિ ઉપાદેયપણે દૃઢ બને છે. મતિજ્ઞાનાદિની સાથે સંકળાયેલા વિકલ્પો યોગી માટે ઉપાદેય નહિ પણ માત્ર શેય હોય છે. તેથી જ ક્વચિત્ પ્રયોજનભૂત એવા પ્રશસ્તવિચારવાદળની વચ્ચે શુદ્ધચૈતન્યના તેજકિરણોના સહારે સર્જાતા કુશલાનુબંધી પુણ્યસ્વરૂપ સપ્તરંગી મેઘધનુષ્ય પણ સાધક માટે માત્ર દર્શનીય બની રહે છે. પ્રશસ્તવિચારવાદળની આસપાસ સંધ્યાના કે ઉષાના સોનેરી-રૂપેરી-ગુલાબી પ્રકાશ સ્વરૂપે પ્રગટેલી શાસનપ્રભાવક શક્તિ, લબ્ધિ, ઋદ્ધિ, સિદ્ધિ વગેરેના પણ અપ્રમત્તચારિત્રધર એવા યોગી માત્ર જ્ઞાતા-દષ્ટા-મૂકસાક્ષી બની રહે છે.
અનુભવના સ્તરે પ્રતીયમાન મોક્ષમાર્ગની અન્વયમુખે વાત કરી. હવે વ્યતિરેકમુખે વિચારીએ.
પૂર્વે અનેક વખત સંયમજીવનને સ્વીકાર્યા બાદ પણ સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયની સમજણ મેળવવાપૂર્વક પોતાની ચિત્તવૃત્તિને અંતર્મુખ કરવાનું કાર્ય આ જીવે કર્યું નહિ. વિભિન્ન પ્રશસ્ત પ્રવૃત્તિના ભારબોજ નીચે દબાઈને, કચડાઈને આ મહત્ત્વનું અંગત કર્તવ્યપાલન જીવ ચૂકી ગયો. ચિત્તવૃત્તિપ્રવાહને સ્વાત્મદ્રવ્યની સન્મુખ કરવાનું પ્રણિધાન ન કર્યું. લોકકલ્યાણ, સંઘસેવા, શાસનપ્રભાવના, જનજાગૃતિ, ધર્મકથા, તીર્થરક્ષા, સમુદાયનું સંચાલન-સંવર્ધન, શ્રુતસંરક્ષણ, મહોત્સવ વગેરે રૂપાળા નામે પણ એક યા બીજી પ્રવૃત્તિને વળગવા દ્વારા અહંભાવને પુષ્ટ કરીને પ્રાયઃ બહિર્મુખતાને જ આ જીવે પુષ્ટ કરી છે.
બાહ્ય સાધુવેશ મેળવીને પોતાને કૃતકૃત્ય માનવાની ભૂલ બાલદશામાં કરી. ત્યાંથી આગળ વધતાં મોટા ભાગે બાહ્ય ધર્મપ્રવૃત્તિને જ તાત્ત્વિક ધર્મ માની લીધો. ક્યારેક પુણ્યોપાર્જનમાં ધર્મદષ્ટિને તીવ્ર કરી. ક્યારેક પુણ્યોદયમાં સંયમજીવનની સાર્થકતા માની. સાધુજીવનમાં વિદ્વત્તા મેળવીને માત્ર દ્રવ્યસ્યાદ્વાદને ૧. ષોડશક – ૧/૨.