________________
આત્મવિશુદ્ધિ ♦ ૨૫
જેમ ચંદ્ર સૂર્ય પોતાની અસ્ખલિત ગતિમાં નિરંતર પર્યટન કરતા રહે છે, દેવનદીની ધારાનો પ્રવાહ જેમ અખંડ વહ્યા કરે છે, વ્યવહાર અને કાળની ગતિ અવિચ્છિનપણે ચાલ્યા કરે છે, દ્રવ્યમાં જેમ પર્યાયો કાયમ જોડાએલા રહે છે અને જેમ તીર્થંકરાદિની ઉત્પત્તિ નિયમિત થયા કરે છે તેમ ‘હું જ્ઞાન સ્વરૂપ છું' એવું અખંડ આત્મભાન મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભૂલીશ નહિ.
પરમ શાંત દશામાં રહી શુદ્ધ આત્માનું સ્મરણ કરતાં, મન વચન કાયાની ક્રિયા મને અત્યંત નિઃસાર દેખાય છે. દરેક ક્ષણે શુદ્ધ ચિત્રૂપના સ્મરણ સિવાય મને બીજું કાંઈ ઉત્તમ લાગતું નથી.
આ બાહ્ય અને અત્યંતર વસ્તુઓનો સંગ, સુંદર શરીર, દેવો અને મનુષ્યોના રાજાનું પદ, વિદ્યા, વિજ્ઞાન, બળ, શોભા, કીર્તિ, રૂપ, પ્રતાપ, આભૂષણો અને તીર્થંકરપણું પણ મને અનિત્ય લાગે છે. કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપમાં લીન થવું તે જ પરમ અચળ અને શાંતિરૂપ લાગે છે.
·
પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણનારે વસ્તુઓ મળે કે ન પણ મળે છતાં તેને માટે તેણે જરા પણ રાગદ્વેષ કરવો ન જોઈએ અને તે સ્વરૂપમાં જ નિરંતર એકતાર થવામાં આનંદ માનવો જોઈએ.
હું જ્ઞાનસ્વરૂપ છું માટે તે જ વસ્તુ મારી છે. તેને જ